અરવિંદ મણિઆર ટ્રસ્ટમાં સ્નેહસ્પર્શ કાર્યક્રમ યોજાયો
RSSના વરિષ્ઠ કાર્યકર્તા પી.વી.દોશીની જન્મ જયંતિની ઉજવણી કરાઈ: બાળકોએ રજૂ કરેલી કૃતિઓથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બન્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યની અગ્રણી એનજીઓ અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના ઉપક્રમે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વરિષ્ઠ રાષ્ટ્રીય અગ્રણી ડોક્ટર પી. વી.દોશી ( પપ્પાજી )ની જન્મ જયંતી નિમિત્તે દિવ્યાંગ બાળકોનો રંગારંગ ટેલેન્ટ શો “સ્નેહસ્પર્શ” તાજેતરમાં યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં કુલ 11 સંસ્થાઓના 250 દિવ્યાંગ બાળકોએ પોતાની કલાશક્તિને ખીચોખીચ ભરાયેલા હોલમાં સતત ત્રણ કલાક સુધી રજૂ કરીને શ્રોતાઓની ભરપૂર દાદ સંપ્રાપ્ત કરી હતી. વિવિધ 22 કૃતિઓ ઉપરાંત સેન્ટ ગાર્ગી સ્કૂલના વિદ્યાર્થીઓએ પિતા પુત્રીનો સંબંધ વ્યક્ત કરતું હૃદય સ્પર્શી નાટક પ્રસ્તુત કરેલ હતું.
આ તકે ઉપસ્થિત રાજકોટના મેયર ડોક્ટર નેહલ શુક્લએ દીપ પ્રાગટ્ય કરીને બાળકોમાં રહેલી સુસુપ્ત શક્તિઓને બિરદાવી હતી ધારાસભ્ય ડોક્ટર દર્શિતાબેન શાહે પોતાના દાદાજીની સ્મૃતિમાં પ્રતિવર્ષ યોજાતા આ કાર્યક્રમ માટે સંસ્થાનો આભાર માન્યો હતો.
અરવિંદભાઈ મણીયાર જનકલ્યાણ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વલ્લભભાઈ કથીરીયાએ મહેમાનોને આવકારીને ટ્રસ્ટની પ્રવૃત્તિઓ બારામાં માહિતી આપેલ હતી આ તકે દિવ્યાંગ બાળકોની ક્ષમતા બહાર લાવવા તથા તેમના વિકાસમાં અગત્યનો જેઓ ભાગ ભજવે છે તેવા ડી.વી .મહેતા જીનિયસ ગ્રુપ, દીનાબેન મોદી વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ, અપુલભાઈ દોશી જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશન તેમજ ફ્રીડમ યુવા ગ્રુપના ભાગ્યેશભાઈ વોરાનું શાલ તેમજ મોમેન્ટો આપીને મેયર તેમજ અન્ય મહેમાનોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ પ્રમુખ માધવભાઈ દવે, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા ઉપરાંત અધ્યક્ષ સ્થાને ફાલ્કન ગ્રુપના જગદીશભાઈ કોટડીયા મુખ્ય મહેમાન તરીકે હરેશભાઈ વોરા,જીતુભાઈ બેનાણી ડી.કે .સખીયા અને રાજકોટ મધ્યસ્થ જેલના અધિક્ષક વીરભદ્રસિંહ ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા .આ સર્વે મહેમાનોનું પુસ્તક તેમજ પુષ્પગુચ્છ અર્પણ કરીને મેનેજિંગ ટ્રસ્ટી ડોક્ટર વલ્લભભાઈ કથીરિયા, ટ્રસ્ટી હંસિકાબેન મણીયાર શિવુભાઈ દવે અને રાજુભાઈ ધ્રુવના હસ્તે અભિવાદન કરાયું હતું. રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમની વચ્ચે યોજાયેલા આ સ્નેહ પર્વનું સંચાલન પ્રોજેક્ટ ઇન્ચાર્જ નિલેશભાઈ શાહે કર્યું હતું. કલ્પક ભાઈ મણિયાર બહારગામ હોવાથી તેમણે શુભેચ્છા પાઠવી હતી. આભાર વિધિ રાજુભાઈ ધ્રુવે કરેલ હતી.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિરાણી બહેરા મૂંગા શાળા, અંધ મહિલા વિકાસ ગૃહ, સ્નેહનિર્ઝર, મંત્ર ફાઉન્ડેશન, જીનીયસ સુપર કિડ્સ, સેતુ ફાઉન્ડેશન, એકરંગ સંસ્થા, પ્રયાસ પેરેન્ટ્સ, પરમાર્થ એજ્યુકેશન, નવ શક્તિ વિદ્યાલય તથા પાર્થ ફાઉન્ડેશન વગેરેના બાળકો સામેલ થયા હતા અને તેમણે પોતાની કલાશક્તિને ખૂબ સુંદર રીતે પ્રસ્તુત કરેલ હતી.
તમામ સંસ્થાઓને અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટ તરફથી રૂપિયા ૪૦૦૦/જીતુભાઈ બેનાણી અમિધારા ડેવલપર્સ તરફથી રૂપિયા ૫૦૦૦/, ડો.રેખાબેન ઉદાણી તરફથી રૂપિયા ૫૦૦૦/, માતુશ્રી વસંતબેન મોદી હસ્તે ઉપેનભાઈ મોદી તરફથી રૂપિયા ૨૦૦૦/ એમ કુલ મળી રૂપિયા ૨૧૦૦૦ / ભેટ સ્વરૂપે આપવામાં આવ્યા હતા. ટ્રસ્ટના કમિટી મેમ્બર રમેશભાઈ પરમારની પ્રેરણાથી ડી.કે. સખીયાએ દરેક સંસ્થાને રૂપિયા ૫૦૦૦/ ભેટ આપવાની જાહેરાત સ્થળ ઉપર જ કરી .તેમજ આ કાર્યક્રમ માટે મુકેશભાઈ દોશીએ રૂપિયા ૧૧૦૦૦ /, તથા અવનિબેન ઝાટકિયાએ રૂપિયા ૫૦૦૦/ તેમજ અરવિંદભાઈ મણીઆર જનકલ્યાણ ટ્રસ્ટના કમિટી મેમ્બર જયંતીભાઈ પટેલ તરફથી તમામ બાળકોને ભેટ, ઇન્દ્રવદનભાઇ રાજ્યગુરુએ રૂપિયા ૫૦૦૦/-, હસુભાઈ ગણાત્રાએ રૂપિયા ૫૦૦૦/ ટ્રસ્ટને અર્પણ કરેલ હતા. તમામ બાળકોને હસુભાઈ સોનછત્રા તરફથી નાસ્તો આપવામાં આવેલ હતો.
ઉપરોક્ત વૈવિધ્યસભર કાર્યક્રમનું સંચાલન પ્રોજેક્ટ ઇન્ચાર્જ જાહનવીબેન લાખાણીએ કરીને શ્રોતાઓની પ્રશંસા પ્રાપ્ત કરી હતી . “સ્નેહ સ્પર્શ” ના કમિટી મેમ્બર્સ તરીકે રાજુલભાઈ દવે,હસુભાઈ ગણાત્રા,ઉમેશભાઈ દફતરી અને પ્રભાતભાઈ ડાંગર કાર્યરત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં રજનીભાઇ બાવીશી, નરેન્દ્રભાઈ દવે, ડો.બળવંતભાઈ જાની, હર્ષલભાઈ મણીઆર, મિહિરભાઈ મણીઆર, તૃપ્તિબેન મણિઆર, મુકેશભાઈ દોશી, ડો.રેખાબેન ઉદાણી, અવનિબેન ઝાટકિયા,ઉપેનભાઈ મોદી, કાન્તાબેન કથીરીયા,જયંતભાઈ ધોળકિયા, રમાબેન હેરભા સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા.


