રાજુભાઈ ધ્રુવ ‘અગ્ર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે
ભાજપ પ્રવક્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઐતિહાસિક કાર્યકાળને બિરદાવ્યો
લોકશાહી રીતે ચૂંટાયેલા સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બનવા બદલ પાઠવ્યા અભિનંદન; વિકાસ, સુશાસન અને રાષ્ટ્રનિર્માણના કાર્યોની કરી વિગતવાર ચર્ચા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ભાજપના પ્રવક્તા અને મીડિયા સેલના અગ્રણી રાજુભાઈ ધ્રુવ આજે ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન અગ્ર ગુજરાતના એડિટર અતુલભાઈ સુરાણી તથા રિપોર્ટર અસીમભાઈ અઘામ દ્વારા તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના લાંબા અને ઐતિહાસિક રાજકીય કાર્યકાળ, દેશના વિકાસમાં તેમના યોગદાન તેમજ રાષ્ટ્રીય સ્તરે થયેલા પરિવર્તનો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, ભારતના રાજકીય ઇતિહાસમાં 10 જૂનનો દિવસ સુવર્ણ અક્ષરે લખાય તેવો દિવસ છે. લોકશાહી પદ્ધતિથી ચૂંટાયેલા વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ સૌથી લાંબા સમય સુધી સેવા આપવાનો ઐતિહાસિક રેકોર્ડ સ્થાપ્યો છે. દેશના 140 કરોડ લોકોના વિશ્વાસ અને આશીર્વાદના બળ પર તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના કાર્યકાળનો રેકોર્ડ પાછળ છોડી નવો ઇતિહાસ રચ્યો છે.
તેમણે જણાવ્યું કે, નરેન્દ્ર મોદીએ 26 મે 2014ના રોજ પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા અને ત્યારથી સતત સેવા આપી રહ્યા છે. આજે તેમનો કાર્યકાળ 4,399 દિવસથી વધુનો થઈ ગયો છે, જે ભારતના લોકશાહી ઇતિહાસમાં એક વિશિષ્ટ સિદ્ધિ ગણાય છે. રાજુભાઈએ જણાવ્યું કે, આ સિદ્ધિ માત્ર વ્યક્તિગત સફળતા નથી પરંતુ દેશની જનતાએ વિકાસની રાજનીતિ પર મૂકેલા અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી સતત 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી અને 12 વર્ષ દેશના વડાપ્રધાન તરીકે સેવા આપી કુલ 25 વર્ષથી વધુ સમયથી જાહેર જીવનમાં નેતૃત્વ કરી રહ્યા છે. વિશ્વના લોકશાહી ઇતિહાસમાં આ પ્રકારનો સતત લોકસમર્થન અને જનવિશ્વાસ અત્યંત દુર્લભ ગણાય છે. તેમની રાજકીય સફર સામાન્ય પરિવારમાંથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની પ્રેરણાદાયી ગાથા છે.
રાજુભાઈ ધ્રુવે કહ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં દેશમાં અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાયા છે. જનધન યોજના દ્વારા કરોડો લોકોને બેંકિંગ વ્યવસ્થા સાથે જોડવામાં આવ્યા, જ્યારે મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને જીએસટી જેવા મહત્વપૂર્ણ સુધારાઓ દ્વારા દેશની અર્થવ્યવસ્થાને નવી દિશા આપવામાં આવી છે. આજે ભારત વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમ બની ગયું છે અને યુપીઆઈ દ્વારા નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગો સુધી ડિજિટલ વ્યવહારો સરળ બન્યા છે.
તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન દેશના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં અભૂતપૂર્વ વિકાસ થયો છે. લાખો કિલોમીટર રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું નિર્માણ, રેલવેનું વીજળીકરણ, વંદે ભારત જેવી આધુનિક ટ્રેનોની શરૂઆત અને ઉડાન યોજના હેઠળ નાના શહેરોમાં એરપોર્ટ સુવિધાઓનો વિસ્તાર એ વિકાસના જીવંત ઉદાહરણો છે.
રાજુભાઈએ કલમ 370 અને 35A દૂર કરવાના ઐતિહાસિક નિર્ણયને પણ યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આ નિર્ણયથી જમ્મુ-કાશ્મીર અને લદ્દાખને દેશના મુખ્ય પ્રવાહ સાથે વધુ મજબૂત રીતે જોડવામાં સફળતા મળી છે. આ ઉપરાંત અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ, વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ તથા રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવનારા અનેક પગલાં વડાપ્રધાન મોદીના કાર્યકાળની મહત્વપૂર્ણ ઉપલબ્ધિઓ છે.
આરોગ્ય ક્ષેત્રે આયુષ્માન ભારત યોજના દ્વારા કરોડો ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોને મફત સારવારની સુવિધા મળી છે. ડિજિટલ હેલ્થ મિશન અને ઈ-સંજીવની જેવી સેવાઓ દ્વારા આરોગ્ય સુવિધાઓને લોકોના દ્વારે પહોંચાડવામાં સફળતા મળી છે. તેમણે જણાવ્યું કે, વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં ભારત આજે વૈશ્વિક સ્તરે વધુ મજબૂત, આત્મનિર્ભર અને પ્રભાવશાળી રાષ્ટ્ર તરીકે ઉભર્યું છે.
રાજુભાઈ ધ્રુવે અંતમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રહિત, લોકસેવા અને સુશાસનના મંત્ર સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશને સતત વિકાસના માર્ગે આગળ ધપાવી રહ્યા છે. તેમની દૃઢ ઇચ્છાશક્તિ, દૂરંદેશી નેતૃત્વ અને પ્રજાપ્રેમના કારણે આજે ભારતનું ગૌરવ વિશ્વભરમાં વધ્યું છે. તેમણે વડાપ્રધાનને કોટી-કોટી શુભેચ્છાઓ પાઠવતા તેમના લાંબા અને સફળ જાહેર જીવન માટે અભિનંદન વ્યક્ત કર્યા હતા.
લોકશાહી ઇતિહાસમાં નોંધાયો નવો રેકોર્ડ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકશાહી રીતે ચૂંટાયેલા ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા વડાપ્રધાન બન્યા છે. 26 મે 2014થી શરૂ થયેલો તેમનો કાર્યકાળ 4,399 દિવસથી વધુનો થઈ ગયો છે. આ સાથે તેમણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુના લાંબા કાર્યકાળનો રેકોર્ડ પાછળ છોડી નવો ઇતિહાસ રચ્યો છે. ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે આ સિદ્ધિને દેશના 140 કરોડ લોકોના વિશ્વાસની જીત ગણાવી હતી.
25 વર્ષની અવિરત જાહેર સેવા
નરેન્દ્ર મોદીએ 13 વર્ષ ગુજરાતના મુખ્યમંત્રી અને 12 વર્ષ ભારતના વડાપ્રધાન તરીકે સેવા આપી છે. કુલ 25 વર્ષથી વધુ સમય સુધી સતત જાહેર જીવનમાં નેતૃત્વ આપનાર તેઓ વિશ્વના દુર્લભ રાજકીય નેતાઓમાં સ્થાન ધરાવે છે. સામાન્ય પરિવારમાંથી દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની તેમની સફર લાખો યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત બની છે. રાજુભાઈ ધ્રુવે આ સફરને લોકશાહી અને લોકવિશ્વાસની અનોખી ગાથા ગણાવી હતી.
ડિજિટલ ઇન્ડિયાથી આત્મનિર્ભર ભારત સુધી
વડાપ્રધાન મોદીના કાર્યકાળ દરમિયાન જનધન યોજના, મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને જીએસટી જેવા મોટા સુધારાઓ અમલમાં આવ્યા છે. યુપીઆઈ અને ડિજિટલ પેમેન્ટ વ્યવસ્થાએ ભારતને વિશ્વનું સૌથી મોટું ડિજિટલ પેમેન્ટ હબ બનાવ્યું છે. આજે નાના વેપારીઓથી લઈને મોટા ઉદ્યોગો સુધી ડિજિટલ વ્યવહારો સામાન્ય બની ગયા છે. આ પરિવર્તન દેશની અર્થવ્યવસ્થાને નવી મજબૂતી આપનાર સાબિત થયું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રનિર્માણના ઐતિહાસિક નિર્ણયો
વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો, રેલવે અને એરપોર્ટ ક્ષેત્રે ઝડપી વિકાસ થયો છે. વંદે ભારત ટ્રેન, ઉડાન યોજના અને રેલવે વીજળીકરણ જેવા પ્રોજેક્ટ્સે પરિવહન વ્યવસ્થામાં ક્રાંતિ લાવી છે. કલમ 370 દૂર કરવાથી લઈને અયોધ્યામાં રામ મંદિર અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા ઐતિહાસિક કાર્યો સુધી, તેમના કાર્યકાળ દરમિયાન રાષ્ટ્રનિર્માણના અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ કાર્યો દેશની એકતા અને ગૌરવને વધુ મજબૂત બનાવનારા સાબિત થયા છે.
અમદાવાદ પ્લેન ક્રેશની પ્રથમ પુણ્યતિથિએ વિજયભાઈ રૂપાણીને શ્રદ્ધાંજલિ
ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે યાદ કર્યા સંસ્મરણો; કહ્યું, રાજકોટને સૌની યોજનાનું પાણી પહોંચાડવામાં વિજયભાઈની દૂરંદેશી નિર્ણાયક સાબિત થઈ 12 જૂન ગુજરાતના ઇતિહાસમાં એક કરુણ અને કાળા દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. અમદાવાદ ખાતે સર્જાયેલી ભયાનક વિમાન દુર્ઘટનાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણી સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સમગ્ર રાજ્યમાં આ ઘટનાએ ભારે શોકની લાગણી પ્રસરી હતી અને આજે તેની પ્રથમ પુણ્યતિથિએ અનેક લોકોએ તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
આ પ્રસંગે અગ્ર ગુજરાતની મુલાકાતે આવેલા રાજકોટ ભાજપના પ્રવક્તા અને મીડિયા સેલના અગ્રણી રાજુભાઈ ધ્રુવે સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરતાં તેમની સાથે જોડાયેલા અનેક સંસ્મરણો તાજા કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી માત્ર એક રાજકારણી જ નહીં પરંતુ વિકાસને સર્વોપરી માનનારા અને પ્રજાની સમસ્યાઓના તાત્કાલિક ઉકેલ માટે પ્રતિબદ્ધ એવા લોકનેતા હતા.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે રાજ્યમાં સૌની યોજના અંતર્ગત સિંચાઈ અને પીવાના પાણી માટે મહત્વાકાંક્ષી કામગીરી ચાલી રહી હતી. આ યોજનાનો લાભ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રને મળ્યો છે, પરંતુ રાજકોટ સુધી પાણી પહોંચાડવા પાછળ વિજયભાઈ રૂપાણીની દૃઢ ઇચ્છાશક્તિ અને વિકાસલક્ષી નિર્ણય મહત્ત્વપૂર્ણ રહ્યા હતા.
તેમણે જણાવ્યું કે તે સમયે સૌની યોજનાનો પ્રોજેક્ટ મંજૂર થઈ ગયો હતો, પરંતુ તેની રચના એવી હતી કે રાજકોટ સુધી પાણી પહોંચાડવું શક્ય બનતું ન હતું. સિંચાઈ વિભાગના એક ઉચ્ચ અધિકારી વારંવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને મળીને આ બાબતે રજૂઆત કરવા ઇચ્છતા હતા, પરંતુ વ્યસ્ત કાર્યક્રમોને કારણે તેમને સમય મળતો ન હતો. આ દરમિયાન તે અધિકારીએ રાજુભાઈ ધ્રુવનો સંપર્ક કર્યો હતો અને તેમની મદદ માગી હતી.
રાજુભાઈએ જણાવ્યું કે અરવિંદભાઈ મણિયાર હોલ ખાતે એક કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમણે તે અધિકારીની વિજયભાઈ રૂપાણી સાથે મુલાકાત કરાવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીએ મુખ્યમંત્રીને સમજાવ્યું હતું કે વર્તમાન આયોજન મુજબ સૌની યોજનાનું પાણી આજીડેમ સુધી પહોંચાડવું લગભગ અશક્ય છે. જો પ્રોજેક્ટમાં જરૂરી ફેરફારો કરવામાં આવે તો જ રાજકોટને પૂરતા પ્રમાણમાં પાણી મળી શકે.
આ રજૂઆતને ગંભીરતાથી લેતા વિજયભાઈ રૂપાણીએ બીજા જ દિવસે તે અધિકારીને ગાંધીનગરમાં મળવા માટે સમય ફાળવ્યો હતો. ત્યાં તેમણે સમગ્ર પ્રોજેક્ટની ટેકનિકલ વિગતો અને હકીકતો જાણી હતી. ચર્ચા બાદ તેમણે સૂચન કર્યું હતું કે ત્રંબા સુધી પાઇપલાઇન લંબાવીને પાણી નદીમાં છોડવામાં આવે તો તે આજીડેમ સુધી સરળતાથી પહોંચી શકે. અધિકારીઓએ આ સૂચનને વ્યવહારુ ગણાવતા વિજયભાઈએ તાત્કાલિક પ્રોજેક્ટને મંજૂરી આપી હતી.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે વિજયભાઈ રૂપાણીના આ નિર્ણાયક નિર્ણયના કારણે આજે રાજકોટવાસીઓને તેનો સીધો લાભ મળી રહ્યો છે. ભર ઉનાળામાં પણ આજીડેમ અને ન્યારી ડેમ પાણીથી છલોછલ જોવા મળી રહ્યા છે, જે તેમની દૂરંદેશી અને વિકાસ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત સ્મારક છે.
તેમણે અંતમાં જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણીનું વ્યક્તિત્વ સાદગી, સેવાભાવ અને વિકાસના સંકલ્પનું પ્રતિક હતું. આજે તેમની પ્રથમ પુણ્યતિથિએ સમગ્ર ગુજરાત તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યું છે અને તેમના દ્વારા કરાયેલા વિકાસકાર્યો હંમેશા લોકોને તેમની યાદ અપાવતા રહેશે. તેમના નિધનથી સર્જાયેલી ખોટ ક્યારેય પૂર્ણ થઈ શકે તેમ નથી, પરંતુ તેમણે આપેલું યોગદાન ગુજરાતના ઇતિહાસમાં સદૈવ અવિસ્મરણીય રહેશે.
મુખ્યમંત્રી હોવા છતાં સાદગી ન છોડનાર નેતા હતા વિજયભાઈ રૂપાણી
દિવાળીના ચોપડા પૂજન માટે 14 કારના કાફલાને બદલે બાઈક પર દાણાપીઠ પહોંચ્યા હતા
અમદાવાદ વિમાન દુર્ઘટનાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીને યાદ કરતાં ભાજપ પ્રવક્તા રાજુભાઈ ધ્રુવે તેમના જીવન સાથે જોડાયેલું એક રસપ્રદ અને પ્રેરણાદાયી સંસ્મરણ વર્ણવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પદ પર હોવા છતાં વિજયભાઈ રૂપાણી હંમેશા સાદગી અને સામાન્ય જનજીવન સાથે જોડાયેલા રહેતા હતા.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણી દર વર્ષે દિવાળીના પાવન અવસરે રાજકોટની દાણાપીઠ વિસ્તારમાં આવેલી પોતાની જૂની પેઢીએ ચોપડા પૂજન માટે અચૂક પહોંચતા હતા. મુખ્યમંત્રી તરીકે કાર્યરત હતા ત્યારે પણ તેમણે આ પરંપરા ક્યારેય તોડી નહોતી. તેમણે યાદ કરતાં જણાવ્યું કે, એક વખત દિવાળીના દિવસોમાં વિજયભાઈ રૂપાણી રાજકોટ આવ્યા હતા. તે સમયે રાજકોટના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોત ફરજ બજાવતા હતા. મુખ્યમંત્રીના આગમનને લઈ તેમની સુરક્ષા માટે એસ્કોર્ટ સહિત કુલ 14 કારનો કાફલો તૈયાર રાખવામાં આવ્યો હતો.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું કે, તેમણે વિજયભાઈ રૂપાણીને મળીને રજૂઆત કરી હતી કે દિવાળીના દિવસોમાં બજારમાં ભારે ભીડ રહેતી હોય છે. જો 14 કારના કાફલા સાથે તેઓ દાણાપીઠ વિસ્તારમાં જશે તો ટ્રાફિક સમસ્યા સર્જાશે, વેપારીઓ અને ગ્રાહકોને મુશ્કેલી પડશે તેમજ પોલીસને લોકોને દૂર કરવાની ફરજ પડશે. આ વાત સાંભળતા જ વિજયભાઈએ સામાન્ય નાગરિકોની સુવિધાને પ્રાથમિકતા આપી હતી.
રાજુભાઈના જણાવ્યા મુજબ, મુખ્યમંત્રી હોવા છતાં વિજયભાઈ રૂપાણીએ સરકારી કાફલાનો ઉપયોગ ટાળ્યો હતો અને નીતિનભાઈ ભારદ્વાજના બાઈક પર બેસીને દાણાપીઠ પહોંચ્યા હતા. ત્યાં તેમણે પરંપરાગત રીતે ચોપડા પૂજન કર્યું હતું અને બાદમાં ફરી બાઈક મારફતે જ પરત ફર્યા હતા.
રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, આ ઘટના વિજયભાઈ રૂપાણીના સાદગીભર્યા સ્વભાવ, જનસામાન્ય પ્રત્યેની સંવેદના અને અહંકારવિહોણા વ્યક્તિત્વનું ઉત્તમ ઉદાહરણ છે. મુખ્યમંત્રી જેવા ઉચ્ચ પદ પર હોવા છતાં તેઓ હંમેશા સામાન્ય માણસની લાગણીઓ અને સુવિધાનો વિચાર કરતા હતા, જેના કારણે તેઓ આજે પણ લોકોના હૃદયમાં જીવંત છે.


