ચાંદીપુરા વાયરસનો કહેર વધતા તબીબોની ઈમરજન્સી બેઠક
આરોગ્ય શાખા, મનપા, આયુષ ડોક્ટર્સ અને સિવિલના ડોક્ટરો વચ્ચે મહત્વની બેઠક પૂર્ણ: સંકલન મજબૂત રાખવા અને દર્દીને તાત્કાલિક સારવાર આપવા સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા, આરોગ્ય શાખા અને ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, રાજકોટ તથા પી.ડી.યુ. મેડીકલ કોલેજ દ્વારા ચાંદીપુરા વાયરસ (CHPV) નિવારણ અંગે CMEનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકા અને ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, રાજકોટ અને પી.ડી.યુ. મેડીકલ કોલેજના સંયુક્ત ઉપક્રમે ચાંદીપુરા વાયરસ (CHPV)ની અટકાયત, જનજાગૃતિ અને બાળકોમાં એક્યુટ એન્સેફેલાઇટિસ સિન્ડ્રોમ (AES)ના સમયસર નિદાન અને સારવાર અંગે પૂજ્ય પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે સતત તબીબી શિક્ષણ (CME) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં આરોગ્ય શાખા, રાજકોટ મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારીઓ સાથે રાજકોટ શહેરના આયુષ તબીબોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને CHPV અંગેની તાજેતરની માર્ગદર્શિકા તથા નિવારક પગલાં અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
કાર્યક્રમ દરમિયાન PDU મેડિકલ કોલેજ તરફથી ડો.મનાલી વીરપરિયા, ડો. મધુલિકા મિસ્ત્રી, તથા ડૉ. ભાવેશ કાનાબાર દ્વારા ચાંદીપુરા વાયરસ અંગે જનજાગૃતિ, રોગની વહેલી ઓળખ, સમયસર રિફરલ, અસરકારક સર્વેલન્સ તેમજ સમુદાય સ્તરે અપનાવવાના નિવારક પગલાં અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
કાર્યક્રમમાં ડો. રીંકલ મેઘાણી, ચેરમેન આરોગ્ય સમિતિ રા.મ.ન.પા., ડૉ. શૈલેશ વસાણી, વાઈસ ચેરમેન આરોગ્ય સમિતિ, રા.મ.ન.પા., એમ. વી. વેકરીયા, પ્રેસિડેન્ટ ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, ડૉ. કિશોર દેવાડીયા, સેક્રેટરી ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, ડૉ. નરેન્દ્ર વિસાણી, વાઈસ ચેરમેન ફેડરેશન ઓફ આયુષ ડોક્ટર્સ, ડૉ. સંજય જીવરાજાની, મેમ્બર ગુજરાત આયુર્વેદ કાઉન્સિલ સહિતના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ ચાંદીપુરા વાયરસ સામે આરોગ્ય વિભાગ અને આયુષ તબીબો વચ્ચેના સંકલનને વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
કાર્યક્રમના અંતે તમામ તબીબોને CHPV અંગે શંકાસ્પદ કેસોની તાત્કાલિક જાણ, સમયસર સારવાર, જનજાગૃતિ અને અસરકારક સર્વેલન્સમાં સક્રિય સહભાગી બનવા ડો. આશિષ કોડીયાતર, નાયબ આરોગ્ય અધિકારી, રા.મ.ન.પા. દ્વારા અપીલ કરવામાં આવી.


