વોર્ડમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણ જાળવી રાખવા કોર્પોરેટરને તાલીમ અપાઇ
“Sustainable Urban Development through Implementing National Missions” વિષય પર કાર્યક્રમ યોજાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારત સરકારના ગૃહ અને શહેરી બાબતોના મંત્રાલય (MoHUA)ના સહયોગથી ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ (AIILSG)ના પ્રાદેશિક શહેરી અને પર્યાવરણીય અધ્યયન કેન્દ્ર (RCUES) દ્વારા રાજકોટ ખાતે “Sustainable Urban Development through Implementing National Missions” વિષય પર પ્રાદેશિક સ્તરનો વિશેષ તાલીમ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો.
આ તાલીમ કાર્યક્રમ મેયર ડૉ. નેહલ શુક્લના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષ દંડક સંજયસિંહ રાણા, રાજકોટ મહાનગરપાલિકાના કોર્પોરેટરો તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં મહારાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય સચિવ અને ભૂતપૂર્વ રાજ્ય ચૂંટણી કમિશનરશ્રી જે. એસ. સહારિયા, AIILSG, મુંબઈના RCUESના ડિરેક્ટર ડૉ. અજિત સાલ્વી, AIILSG રાજકોટના પ્રાદેશિક નિયામક ડૉ. ચંદન કરકરે તેમજ AIILSG, મુંબઈના RCUESના સિનિયર રિસર્ચ ઓફિસર શ્રીમતી મલિકા અંસારી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ વિષયો પર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
તાલીમ કાર્યક્રમ દરમિયાન સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમો–૨૦૨૬, સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા તથા તેના અસરકારક અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તાલીમનો મુખ્ય ઉદ્દેશ કોર્પોરેટરોને નવા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ નિયમોથી માહિતગાર કરી શહેરમાં કચરા વ્યવસ્થાપનની વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં તેમની સક્રિય ભૂમિકા સુનિશ્ચિત કરવાનો હતો. સાથે જ પોતાના વોર્ડ અને વિસ્તારના નાગરિકોમાં સ્વચ્છતા, કચરાના વૈજ્ઞાનિક નિકાલ અને પર્યાવરણ સંરક્ષણ અંગે વધુ અસરકારક જનજાગૃતિ ફેલાવી શકે તે માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તાલીમ દરમિયાન સ્ત્રોત પર જ કચરાનું વિભાજન, ભીના, સૂકા, ઘરેલુ જોખમી અને સેનિટરી કચરાના ચાર પ્રકારના વિભાજનની પ્રક્રિયા, કચરાના વૈજ્ઞાનિક નિકાલની પદ્ધતિઓ, રિસાયક્લિંગ, પુનઃઉપયોગ, પરિપત્ર અર્થતંત્ર તેમજ પર્યાવરણ પર તેની સકારાત્મક અસરો અંગે વિસ્તૃત રજૂઆતો કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાષ્ટ્રીય શહેરી મિશનના અસરકારક અમલીકરણ અને વિવિધ યોજનાઓ વચ્ચે વધુ સારા સંકલન દ્વારા ટકાઉ, સમાવિષ્ટ અને સ્થિતિસ્થાપક શહેરી વિકાસ કેવી રીતે સુનિશ્ચિત કરી શકાય તે અંગે ચૂંટાયેલા પ્રતિનિધિઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ટેકનિકલ સત્રોમાં રાષ્ટ્રીય શહેરી મિશનની દ્રષ્ટિ અને સંકલન, ટકાઉ શહેરોના વિકાસનો પાયો, ટકાઉ શહેરી માળખાગત સુવિધાઓ અને સેવા વિતરણ, સ્વચ્છતા, જાહેર આરોગ્ય અને સમાવેશી શહેરી સેવાઓ તેમજ મિશન આધારિત ટકાઉ શહેરી વિકાસ માટે કાર્યયોજના તૈયાર કરવા અંગેની ગ્રુપ એક્સરસાઇઝ જેવા મહત્વપૂર્ણ વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
આ તાલીમ કાર્યક્રમ દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને કેન્દ્ર સરકારની વિવિધ શહેરી વિકાસ યોજનાઓ, સ્વચ્છતા વ્યવસ્થાપન અને પર્યાવરણલક્ષી અભિગમ અંગે વધુ વ્યાપક સમજ પ્રાપ્ત થઈ હતી, જે ભવિષ્યમાં રાજકોટ શહેરને વધુ સ્વચ્છ, સુવ્યવસ્થિત, પર્યાવરણમૈત્રી અને ટકાઉ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થશે.


