ગિરનારમાં એન્ટ્રી-એકઝીટ ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રથમ દિવસે જ ધબાય નમ:…!
દાતાર-ગિરનાર સાયલન્ટ ઝોન જાહેર : લાઉડ સ્પીકર-ડીજે ઉપર પ્રતિબંધ
ગીરનાર એન્ટ્રીમાં તંત્ર જ નીંદ્રામાં? કોઇ સ્કેનર-ઇન-આઉટ વ્યવસ્થા કે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ થઇ નથી
અગ્ર ગુજરાત, રાજકોટ
જૂનાગઢ ગિરનાર પર્વત પર યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાને રાખીને વહીવટી તંત્ર દ્વારા આજથી(18 જુલાઈ) જ અવરજવર માટે ‘IN/OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. તંત્ર દ્વારા દાવો કરાયો હતો કે યાત્રાળુઓ સ્થળ પર પણ QR કોડ સ્કેન કરી સરળતાથી રજીસ્ટ્રેશન કરી શકશે. રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે વાસ્તવિકતા કંઈક જુદી જ સામે આવી હતી. ગિરનાર ચડવાના શરૂઆતના પગથિયા પર કોઈપણ પ્રકારના સ્કેનર, ઇન-આઉટ વ્યવસ્થા કે ઓનલાઇન રજીસ્ટ્રેશનની કોઈ કામગીરી જોવા મળી ન હતી. વહીવટી તંત્રની આ જાહેરાત માત્ર કાગળ પર જ રહી ગઈ હોય તેમ પ્રથમ દિવસે જ રજીસ્ટ્રેશન પ્રક્રિયાનો ધબડકો વળ્યો હતો અને તંત્રની ઉદાસીનતા સાફ નજરે પડતી હતી.
અહીં આવેલા પ્રવાસીઓ પોતે ડિજિટલ રજીસ્ટ્રેશન કરવા માટે ખૂબ જ ઉત્સુક દેખાતા હતા, પરંતુ ગ્રાઉન્ડ પર કોઈ વ્યવસ્થા જ ઉપલબ્ધ ન હોવાના કારણે તેમને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પ્રશાસન દ્વારા જે પ્રકારની જાહેરાત કરાઈ હતી તેનાથી વિપરીત સ્થળ પર ઇન અને આઉટ માટેના QR કોડ હજુ સુધી લગાવવામાં જ આવ્યા નથી, જેના લીધે પ્રક્રિયા વધુ ગૂંચવણભરી બની ગઈ છે. વર્તમાન સમયમાં જ જો આવી સ્થિતિ હોય, તો આગામી વેકેશન અને દિવાળીના તહેવારો દરમિયાન જ્યારે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડશે, ત્યારે રજીસ્ટ્રેશનની આ અસ્પષ્ટ પ્રક્રિયાના કારણે પર્વત પર અરાજકતા અને મોટી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે તેવી ભીતિ સેવાઈ રહી છે.
પુણેથી ગિરનારની યાત્રાએ આવેલા પ્રવાસી જણાવ્યું હતું કે તેઓ પર્વત પર ચડવા આવ્યા ત્યારે એન્ટ્રી પોઇન્ટ પર પ્રવાસીઓની નોંધણી માટેની કોઈ વ્યવસ્થા કાર્યરત ન હતી. તેમના મતે, વન વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ગેટ પાસ અથવા ફરજિયાત રજીસ્ટ્રેશનની સિસ્ટમ લાગુ કરવી જ જોઈએ, જેથી ચોક્કસ આંકડો મળી શકે કે કેટલા પ્રવાસીઓ ઉપર ગયા, કેટલા પરત ફર્યા અને કેટલો સમય રોકાયા. તેઓ જ્યારે પર્વત પર ગયા ત્યારે રસ્તામાં વન વિભાગના કોઈ કર્મચારી કે પોલીસ પણ તહેનાત જોવા મળ્યા ન હતા, જે સુરક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ગંભીર બાબત છે.
અન્ય એક પ્રવાસી જણાવ્યું હતું હતું કે ઉપર જતી વખતે તેમનું કોઈ સ્કેનિંગ કે ઓફલાઇન રજીસ્ટ્રેશન થયું ન હતું, વન વિભાગ દ્વારા હાલ આ પ્રક્રિયા બંધ રાખવામાં આવી છે અને માત્ર સામાનની સામાન્ય તપાસ જ કરાય છે. તેમણે પર્વત પર પ્રવાસીઓની સુરક્ષા તાકીદે વધારવા પર ભાર મૂકતા ઉમેર્યું હતું કે, જ્યારે તેઓ રાત્રે 12 વાગ્યે પર્વત પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે વાતાવરણ એકદમ ભયભીત હતું. સિંહોના હુમલાના ડરને કારણે યાત્રાળુઓ ભારે ફફડાટ સાથે ડરી-ડરીને ચાલી રહ્યા હતા. ગિરનાર જેવા સંવેદનશીલ વિસ્તારમાં પ્રવાસીઓ સુરક્ષિત અને ભયમુક્ત રહી શકે તે માટે વન વિભાગના કર્મચારીઓ પર્વત પર ચોવીસ કલાક હાજર રહે તે અત્યંત અનિવાર્ય છે.
‘IN/OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ આજથી અમલમાં
ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા, તેમની ચોક્કસ સમયસર માહિતી મેળવવા અને કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીના સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે ‘IN/OUT’ ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ નવીન સિસ્ટમનો અમલ આજ 18 જુલાઈથી શરૂ કરવામાં આવ્યો છે. દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.
ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ સ્થળ પર જ કરાવી શકાશે
જે યાત્રિકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નહીં હોય અથવા જેમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેમની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેમની સુવિધા માટે સ્થળ પર જ વહીવટી તંત્ર અને વન વિભાગનો સ્ટાફ ફરજરત રહેશે. આ સ્ટાફની મદદથી આવા યાત્રિકોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર જ વિનામૂલ્યે અને સરળતાથી કરી આપવામાં આવશે.
આઈડી પ્રૂફ ફરજિયાતપણે સાથે રાખવું પડશે
આ નવી રજીસ્ટ્રેશન વ્યવસ્થા ગિરનાર પર્વત પર જનારા તમામ યાત્રાળુઓ માટે લાગુ પડશે, પછી ભલે તેઓ નવી સીડી, જૂની સીડી કે રોપવે મારફતે યાત્રા કરતા હોય. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે જ શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહકાર આપે. યાત્રાળુઓની સરળતા ખાતર રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને ખૂબ જ સહેલી બનાવવામાં આવી છે. આ ઓનલાઈન પોર્ટલ અને સિસ્ટમનું નિર્માણ જિલ્લા NIC ટીમના ડીઆઈઓ ભુવનેશ્વર બુડગયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત પરામર્શથી કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ બંને માટે કટિબદ્ધ છે અને તેથી જ દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે.
યાત્રાળુઓને ફરજીયાત IN/OUT કરવાનું રહેશે
આ વેબસાઈટ કે ક્યુઆર કોડ મારફતે પોર્ટલ પર પોતાની જરૂરી વિગતો ભરીને યાત્રા શરૂ કરતી વખતે ઓનલાઈન નોંધણી કરી ‘IN’ (એન્ટ્રી) નોંધાવવાની રહેશે. ત્યારબાદ, જ્યારે યાત્રિક પોતાની યાત્રા અને દર્શન પૂર્ણ કરીને હેમખેમ નીચે પરત ફરે ત્યારે તેમણે ફરજિયાતપણે ફરીથી આ જ પોર્ટલ પર ‘OUT’ (એક્ઝિટ) એન્ટ્રી કરાવવાની રહેશે. આનાથી તંત્રને પર્વત પર હાલમાં કેટલા યાત્રિકો છે તેની ચોક્કસ સંખ્યા મળતી રહેશે.
14 સપ્ટેમ્બર સુધી ‘સાયલન્સ ઝોન’ જાહેર કરતું જાહેરનામું પ્રસિધ્ધ
ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં બાળકનું મૃત્યુ થયા બાદ વન વિભાગ અને જિલ્લા પ્રશાસન દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. ગિરનાર અને દાતાર પર્વત પર પ્રવાસીઓની વધતી સંખ્યા, ઇલેક્ટ્રોનિક સાધનો અને મ્યુઝિક સિસ્ટમના ઉપયોગને કારણે વન્યજીવોની શાંતિ ખોરવાતી હતી, જેનાથી માનવ-વન્યજીવ સંઘર્ષની સંભાવના વધી ગઈ છે. આગામી સમયમાં વિશ્વ જૈન સંગઠન, રૈવતક સમિતિ, શ્રી ગુરુ દત્તાત્રેય ભક્ત મંડળ અને શ્રી ગોરક્ષનાથજી સેવા સંઘ જેવા સંગઠનો દ્વારા ગિરનાર ખાતે પાદૂકા પૂજન, પગથિયા પૂજન અને નિર્વાણ લાડુ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. શ્રદ્ધાળુઓ અને વન્યપ્રાણીઓની સુરક્ષાને ધ્યાને રાખીને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ દ્વારા તત્કાલિક અસરથી 14 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારને ‘સાયલન્સ ઝોન’ જાહેર કરતું ખાસ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આગામી 19 અને 20 જુલાઈ દરમિયાન ગિરનાર પર નિર્વાણલાડુ મહોત્સવની ઉજવણીને ધ્યાનમાં રાખીને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ભવનાથ વિસ્તારથી લઈને દત્તાત્રેય ટૂંક સુધી 3 દિવસ માટે વિશેષ સુરક્ષા વ્યવસ્થા ઊભી કરાઈ છે.
ગિરનાર પર્વત પર પહેલીવાર SDRFની ટીમ તહેનાત
આ સુરક્ષા વ્યવસ્થામાં ડીવાયએસપી હિતેશ ધાંધલ્યા અને રવિરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ 445 પોલીસ કર્મીઓ તહેનાત રહેશે, જેમાં 20 પીઆઈ, 35 પીએસઆઈ, એલસીબી અને એસઓજીની મળીને 4 ટીમો, તેમજ 1 એસઆરપી કંપનીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગિરનાર પર્વત પર પહેલીવાર એસડીઆરએફ (SDRF) ની ટીમ પણ તૈનાત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા વ્યવસ્થા જાળવવા માટે 8 નાયબ મામલતદારોની પણ નિમણૂક કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા પર નજર રાખવા માટે 150 સીસીટીવી કેમેરા ગોઠવવામાં આવ્યા છે. આ સાથે પ્રવાસીઓની ઈમરજન્સી સ્વાસ્થ્ય સેવાઓ માટે અંબાજી, ગૌમુખી અને કમંડલ કુંડ ખાતે 3 મેડિકલ ટીમો પણ તૈનાત રાખવામાં આવી છે.


