ગાંડી વેલ તો દૂર ન થઇ પણ કરોડોની મશનરીમાં ધૂળના થર
આજી નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા 3.૨૦ કરોડના ખર્ચે ખરીદવામાં આવેલ બે મશીન ધૂળધાણી થયા : યાર્ડ નજીક ગાંડીવેલનો નિકાલ નહી થતાં ઝેરી મચ્છરનો આતંક યથાવત
અગાઉ અનેક વખત રજુઆત અને વિરોધ પ્રદર્શન કરવા છતાં પરિસ્થિતિ જૈસે થે જેવી જ : લોકોના આરોગ્ય પર મંડરાતો ખતરો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના બેડી યાર્ડ નજીક આજી નદીમાં ગાંડી વેલનું સામ્રાજય થતા મચ્છરોનો બેફામ ત્રાસ વધ્યો હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા. આ મચ્છરોનો ત્રાસ શહેરના કેટલાક વિસ્તારોમાં પણ જોવા મળ્યો હતો. ત્યારે ગાંડી વેલને દૂર કરવા મનપા દ્વારા કરોડોના ખર્ચે આધુનિક મશીન ખરીદવામાં આવ્યો હતો. જો કે ગાંડીવેલ તો દૂર ન થઇ પરંતુ કરોડોની મશીનરી પર ધૂળના થર જામી ગયા છે.
શહેરની ભાગોળે આજી નદીથી મચ્છરોના ઝુંડના ઝુંડનું આક્રમણ થવા લાગ્યું હતું. કોર્પોરેશન દ્વારા થતો કરોડોનો ખર્ચ અને અનેક પ્રયાસો પાણીમાં ગયા હોય તેમ આજી નદીમાં ગાંડી વેલ ચાદર પથરાઈ ગઈ છે. જેને કારણે તેની અંદર જ જીવલેણ મચ્છરોએ પોતાનું ઘર બનાવી લીધું છે. અને ઝૂંડ સ્વરૂપે મચ્છરો શહેરની અંદર આક્રમણ કરી રહ્યા છે. મનપાની સાથે જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા પણ મુકપ્રેક્ષક બની હોય તેમ શહેર પર મચ્છરજન્ય જીવલેણ રોગચાળાનો ખતરો તોળાઈ રહ્યો છે. આજી નદીમાં ચારથી પાંચ જગ્યાએ એવો વિસ્તાર છે જ્યાં ગાંડી વેલનો ફેલાવો થાય છે.
હાલ બેડી ચોકડી પાસે પાણી પણ દેખાય નહીં એ રીતે ગાંડી વેલ ચાદર પથરાઇ ગઇ છે અને તેમાંથી જ મચ્છરોના ઝુંડ રાજકોટમાં ઘૂસી રહ્યા છે, ત્યારે મચ્છરો શહેરમાં જીવલેણ રોગચાળો ફેલાવે એ પહેલાં તંત્રએ આંખ ઉઘાડવી જરૂરી છે. જો આમ નહીં થાય તો શહેરમાં મચ્છરજન્ય રોગચાળો માથું ઉંચકશે તે નિશ્ચિત છે. આ મશીન મોટરબોટ ઉપર ફીટ કરાયેલું હોય છે. જેમાં 13 ઘનમીટરની સંગ્રહ ટાંકી હોય છે. ગાંડી વેલને મૂળમાંથી ઉખેડીને આ મશીનની સ્ટોરેજ ટેન્ક ભરાય એટલે કિનારે ઠાલવીને એક કલાકમાં જ અનેક ફેરાં કરી શકાય છે. જોકે, આ મશીન ચલાવવા માટે 2 મીટર એટલે કે આશરે 7 ફૂટની ઉંડાઈ હોવી જરૂરી છે, પરંતુ મોટી સમસ્યા ઉંડા જળમાં થતી ગાંડી વેલ દૂર કરવાની જ હોય છે.
બેડી નદીમાંથી ગાંડી વેલ દૂર કરવા માટે લાખો રૂપિયાની મશીનરી વસાવવામાં આવી હતી, ત્યારે મનપા, કલેક્ટર તંત્રએ એવો દાવો કર્યો હતો કે, ગાંડી વેલ ઉખેડવાની સાથે નદીમાં કેરોસીન-કેમિકલનો છંટકાવ પણ કરવામાં આવશે. જેથી ગાંડી વેલ મૂળથી દૂર થઈ જશે. જોકે, આ દાવો ખોટો સાબિત થયો છે અને ગતવર્ષ કેમિકલનો છંટકાવ કર્યા છતાં ગાંડી વેલ બેકાબૂ બની હોય તેમાંથી જીવલેણ મચ્છરો ઉત્પન્ન થવા લાગ્યા છે. આ મચ્છરોનાં ત્રાસથી આસપાસની સોસાયટીમાં લોકોને દિવસે પણ બારી-બારણા બંધ રાખવા પડે છે. હાલ મહાનગરપાલિકા પાસે એવા કોઈ નક્કર સાધનો અથવા તો નક્કર આયોજન નથી જેનાથી ગાંડી વેલના દૂષણને દૂર કરી શકાય. બેડી નાકા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં હાલ આ 2 મશીનને રાખી દેવામાં આવ્યા છે અને સાવ નોન યુઝ મશીન હોવાથી તેની હાલત પણ અત્યંત બિસ્માર બની ગઈ છે.
તજજ્ઞોના જણાવ્યા અનુસાર આ વિભાગના અધિકારીઓને પણ ખબર નહીં હોય કે છેલ્લે ક્યારે આ મશીનનો ઉપયોગ ગાંડી વેલને દૂર કરવા માટે કરવામાં આવ્યો હતો. આવનારા દિવસોમાં હવે આ વેલનો ઉપદ્રવ ન વધે તે માટે મહાનગરપાલિકા પાસે કોઈ નક્કર આયોજન હાલ નથી. ઊલટું સંબંધિત વિભાગના અધિકારીઓ તો એવું કહી રહ્યા છે કે, આ દુષણને દૂર કરવું જ અશક્ય છે. કારણકે જો આ દુષણને દૂર કરવું હોય તો પાણીની નીચે રહેતા જે વન્ય નાના નાના જીવો છે તેને તેની મોટી અસરનો સામનો કરવો પડશે. મતલબ એ જ થયો કે એ જીવોને નુકસાન ન પહોંચાડવા માટે શહેરમાં ભલે રોગચાળો ફાટી નીકળે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
બીજી સૌથી મોટી વાત એ છે કે, મહાનગરપાલિકા પાસે આ અંગે કોઈ નક્કર આયોજન નથી કે ક્યારે આ વેલને દૂર કરવા માટે મશીનનો ઉપયોગ કરવામાં આવે. અધિકારીઓના જણાવ્યા અનુસાર માત્રને માત્ર જ્યારે રજૂઆત અથવા તો ફરિયાદ ઉઠે કે ગાંડી વેલનું દુષણ વધ્યું છે, ત્યારે જ એ મશીનનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, ત્યારે આવનારા દિવસોમાં આ પ્રશ્ન અત્યંત વિકટ બની રહેશે તેમાં કોઈ શંકાને સ્થાન નથી. મશીનની હાલત પણ અત્યંત દયનિય થઈ ગઈ છે. જો હજુ પણ આનો ઉપયોગ કરવામાં નહીં આવે તો નુકસાની થશે. તેનો માર કોના ઉપર તે પણ સૌથી મોટો પ્રશ્ન છે. કરોડો રૂપિયાનો ખર્ચ કરીને મહાનગરપાલિકા દ્વારા આ 2 મશીન લેવામાં આવ્યા હતા, પરંતુ તેનો જે ઉપયોગ થવો જોઈએ તે થયો નથી. ઊલટું આજી નદી આજુબાજુ ગાંડી વેલ ફરી જોવા મળી રહી છે. ત્યારે જો આ અંગે કોઈ નક્કર નિર્ણય અથવા તો આયોજન હાથ ધરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ફરી રાજકોટમાં રોગચાળો ફાટી નીકળશે, ત્યારે તેનું જવાબદાર કોણ તે જવાબદારી પણ ફિક્સ થવી જોઈએ તેમ લોકો અને તજજ્ઞ જણાવી રહ્યા છે.
છેલ્લા ઘણાં વર્ષોથી ગાંડીવેલની સમસ્યા યથાવત
સમગ્ર મામલે વેપારી અગ્રણીએ જણાવ્યું હતું કે, છેલ્લા સાત વર્ષથી ગાંડીવેલની સમસ્યા યથાવત જોવા મળી રહી છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ સતત વધતો જોવા મળી રહ્યો છે. ત્યારે વહેલામાં વહેલી તકે વેલને દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવે અને કાયમી સમસ્યાનો નિકાલ લાવવામાં આવે તે જરૂરી છે. ત્યારે આજી નદીમાં પથરાયેલ ગાંડીવેલની સમસ્યા કાયમ માટે દૂર થાય છે કે કેમ તે જોવું અતિ મહત્ત્વનું બની રહેશે.
મહત્વના પ્રોજેકટને ભારે અસર
સૌરાષ્ટ્રનું પાટનગર મનાતું રાજકોટ શહેર સતત વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. શહેર ચારેય દિશાઓમાં વિકાસ કરી રહ્યું છે. પરંતુ વિકાસની આ અવિરત યાત્રા વચ્ચે શહેરના એક ચોક્કસ વિસ્તારમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. શહેરના મોરબી રોડ પરના રોણકી વિસ્તારમાં આજી નદીમાં ગાંડી વેલની સમસ્યાના લીધે બેડી સહિતના ગામ આસપાસ કે જયાં રિયલ એસ્ટેના અનેક પ્રોજેકટ આકાર લઇ રહ્યાં છે તેને પ્રતિકૂળ અસર પડી રહી છે. ગાંડી વેલની સમસ્યાના લીધે અહીં મચ્છરોનો ઉપદ્રવ અસહય બની રહ્યો છે. જેના લીધે અહીં રહેવા આવતા પૂર્વે લોકો આ સમસ્યા બાબતે ગંભીરતા વિચારે છે.
અગાઉ વિરોધ થયો હતો
રાજકોટનું બેડી માર્કેટીંગ યાર્ડ કે જે સૌરાષ્ટ્રમાં સૌથી મોટી માર્કેટીંગ યાર્ડ પૈકીનું એક છે તે અગાઉ પાંચ દિવસ બંધ રહ્યું હતું અને બાદમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું હતું તેની પાછળનું કારણ હતું અહીં મચ્છરોનો ઉપદ્રવ. બેડી માર્કેટીંગ યાર્ડમાં સાંજના સમયે મચ્છરોના ઉપદ્રવના કારણે મજૂરો કામ કરી શકતા નથી જેના કારણે વેપારીઓના કામકાજ પર અસર પડે છે અને આજી નદીમાં પથરાયેલી ગાંડી વેલના લીધે મચ્છરના ઉપદ્રવની સમસ્યા કાયમી બની ચુકી છે જેના પગલે તેઓ ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતાં.
લેવલ ડાઉન હોવાથી હાલ મશિન બંધ છે : જે.એલ.શિંગાળા
મનપાના સેન્ટ્રલ વર્કશોપના નાયબ કાર્યપાલક ઇજનેર જે.એલ.શિંગાળાએ જણાવ્યું હતું કે એક પણ મશીન બંધ નથી. ચોમાસા દરમ્યાન કામગીરી બંધ રાખવામાં આવતી હોય છે. ઉપરાંત હાલ જયાં ગાંડીવેલ છે ત્યાં પાણીનું સ્તર ડાઉન છે. જેથી ત્યાં મશીન ચલાવી શકાય તેમ નથી. જેના કારણે કામગીરી સ્થગિત રાખવામાં આવી છે. લેવલ વધશે એટલે કામગીરી ફરી શરૂ કરાશે.


