ગોંડલ પાસે ઓવરબ્રિજ પર ભયાનક અકસ્માત: પિકઅપ પલટી ખાતા શ્રમિકો 30 ફૂટ નીચે પટકાયા, બેના મોત
ટાયર ફાટતા ડ્રાઇવરે સ્ટેરીંગ પરનો ગુમાવ્યો કાબૂ; સામાન ઉપર સૂતા મજૂરો હવામાં ફંગોળાયા, ચારની હાલત ગંભીર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે પર ગોંડલ નજીક ગુંદાળા ચોકડી પાસે ગતરાતે બનેલી દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ પાથરી દીધો છે. ઓવરબ્રિજ પરથી પસાર થતી એક પિકઅપ ગાડીનું ટાયર અચાનક ફાટી જતાં ચાલકનો કાબૂ છૂટી ગયો અને વાહન પલટી મારીને બ્રિજની સાઇડ વોલ સાથે અથડાયું હતું. આ દરમિયાન ગાડીના ઉપરના ભાગે સામાન પર સૂતા શ્રમિકો જોરદાર અથડામણના ઝટકાથી લગભગ 30 ફૂટ નીચે રોડ પર પટકાયા હતા.
માહિતી મુજબ, બોલેરો પિકઅપ રાજકોટથી જેતપુર તરફ જતી હતી. ગાડીમાં માછીમારી માટેની જાળ તેમજ ગેસના ખાલી સિલિન્ડરો ભરેલા હતા. સામાનની ઉપર લગભગ 15 જેટલા શ્રમિકો આરામ કરી રહ્યા હતા. ઓવરબ્રિજ પર પહોંચતા જ ટાયર ફાટતાં અચાનક પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી અને પળવારમાં આ દુર્ઘટના સર્જાઈ ગઈ.
અકસ્મતમાં બે શ્રમિકોના મોત નીપજ્યા છે, જેમાં રીતેષ સહનીનો સમાવેશ થાય છે, જ્યારે બીજા એક મૃતકની ઓળખ હજુ સુધી થઈ નથી. ઘટનામાં ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. કેટલાક ઘાયલોમાંથી એકની હાલત અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઘટના બાદ આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક આગેવાનો ગણેશ જાડેજા સહિતના લોકોએ માનવતા દાખવીને 108 એમ્બ્યુલન્સની રાહ જોયા વગર જ પોતાની ગાડીઓમાં ઈજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. તેમની ઝડપી કામગીરીના કારણે ઘાયલોને સમયસર સારવાર મળી શકી હતી.
અકસ્માત બાદ પિકઅપમાં રહેલા ગેસના બાટલા બ્રિજ પરથી જોખમી રીતે લટકી રહ્યા હતા, જે વધુ મોટી દુર્ઘટનાનું કારણ બની શકતા હતા. જોકે સ્થાનિક લોકોએ સમજદારીપૂર્વક તેને દૂર કરી વધુ નુકસાન ટાળ્યું હતું. ઘટનાની જાણ થતાં ગોંડલ શહેર B ડિવિઝન પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટ્રાફિકને નિયંત્રિત કરી કાર્યવાહી હાથ ધરી હતી. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે.


