દરિયાકાંઠાના વિસ્તારોમાં સર્જાશે રોજગારીની તકો
સૌરાષ્ટ્રમાં પાંચ નવા ખાનગી બંદરો વિકસાવાશે, ૧૨ હજાર કરોડનું રોકાણ કરાશે
માંડવીનું નાના લાથની, કલ્યાણપુરનું ભોગત, જાફરાબાદનું વાઢેરા, ગીર સોમનાથનું વડોદરા ઝાલા અને ઘોઘાના લાખણકા ગામનો સમાવેશ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત સરકાર રાજ્યના દરિયાકાંઠાના વિકાસને વધુ વેગ આપવા માટે મોટું આયોજન કરી રહી છે. ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા રાજ્યમાં 6 નવા ખાનગી બંદરો અને 3 નવા શિપયાર્ડ વિકસાવવા માટે એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ (EOI) મંગાવવામાં આવ્યા છે. આ પ્રોજેક્ટ્સના અમલથી રાજ્યમાં રૂ.12 હજાર કરોડથી વધુનું રોકાણ આવવાની સંભાવના છે. સાથે જ નવા ઉદ્યોગો, વેપાર અને રોજગારીની તકોમાં પણ નોંધપાત્ર વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા પીપીપી મોડલ અથવા ખાનગી ભાગીદારી હેઠળ નવા બંદરો વિકસાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારનો હેતુ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આધુનિક બંદર સુવિધાઓ ઉભી કરીને નવા રોકાણકારોને આકર્ષવાનો છે. આ આયોજન હેઠળ કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના નાના લાથની ગામ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભોગત ગામ, અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના વાઢેરા ગામ, ગીર સોમનાથ જિલ્લાના કલ્યાણપુર તાલુકાના વડોદરા ઝાલા ગામ, ભાવનગર જિલ્લાના ઘોઘા નજીક લાખણકા ગામ અને સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના દામકા ગામે નવા ખાનગી બંદરો વિકસાવવામાં આવશે.
બંદરો ઉપરાંત રાજ્યમાં 3 નવા શિપયાર્ડ વિકસાવવાની પણ યોજના તૈયાર કરવામાં આવી છે. આ શિપયાર્ડમાં જહાજોના નિર્માણ, મરામત અને મેન્ટેનન્સ માટે આધુનિક સુવિધાઓ ઉભી કરવામાં આવશે. સરકાર શિપબિલ્ડિંગ ક્ષેત્રમાં ગુજરાતને દેશનું અગ્રણી કેન્દ્ર બનાવવા માટે મેગા ક્લસ્ટર પણ વિકસાવવા માંગે છે. આ સમગ્ર પ્રક્રિયાનું સંચાલન ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા કરવામાં આવશે અને તેના માટે જરૂરી ટેન્ડર તથા EOI પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
નવા બંદરો અને શિપયાર્ડના વિકાસથી રાજ્યમાં રૂ.12 હજાર કરોડથી વધુનું રોકાણ આવવાની શક્યતા છે. આ પ્રોજેક્ટ્સના કારણે હજારો લોકોને સીધી અને પરોક્ષ રીતે રોજગારી મળશે તેમજ લોજિસ્ટિક્સ, ટ્રાન્સપોર્ટ, શિપિંગ અને મેન્યુફેક્ચરિંગ જેવા ક્ષેત્રોને નવી ગતિ મળશે. ગુજરાત પહેલાથી જ દેશના અગ્રણી પોર્ટ રાજ્ય તરીકે ઓળખાય છે અને આ નવા પ્રોજેક્ટ્સ અમલમાં આવ્યા બાદ રાજ્યનું પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વધુ મજબૂત બનશે. સરકારને આશા છે કે આ પહેલ ગુજરાતને વૈશ્વિક વેપાર અને મેરીટાઈમ ક્ષેત્રમાં વધુ સ્પર્ધાત્મક બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.


