ગોંડલના મોવિયામાં 72 વર્ષીય વૃદ્ધાનું રહસ્યમય સંજોગોમાં મોત
બંધ મકાનમાંથી વૃદ્ધાનો કોહવાયેલો મૃતદેહ મળ્યો, ફોરેન્સિક પીએમ મૃતદેહ રાજકોટ ખસેડાયો
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકાના મોવિયા ગામે કાલરીયા શેરીમાં એક બંધ મકાનમાંથી 72 વર્ષીય વૃદ્ધાનો કોહવાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. પ્રાથમિક અનુમાન મુજબ, વૃદ્ધાનું મૃત્યુ ત્રણથી ચાર દિવસ પહેલા થયું હોઈ શકે છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર, મોવિયાની કાલરીયા શેરીમાં રહેતા રૂડીબેન ભીખાભાઈ અખિયાણી (ઉં.વ. 72) છેલ્લા કેટલાક સમયથી એકલા રહેતા હતા. છેલ્લા ત્રણ-ચાર દિવસથી તેઓ ઘરની બહાર દેખાયા ન હતા. તેમના બંધ મકાનમાંથી અસહ્ય દુર્ગંધ આવવા લાગતા આસપાસના રહીશોને શંકા ગઈ હતી. સ્થાનિકોએ તપાસ કરતા વૃદ્ધાનો મૃતદેહ મળી આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ ગોંડલ તાલુકા પોલીસનો સ્ટાફ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરી વધુ તપાસ હાથ ધરી છે. ASI રવિરાજસિંહ સરવૈયા અને હેડ કોન્સ્ટેબલ રમેશભાઈ વાવડીયા આ કેસની તપાસ કરી રહ્યા છે.
વૃદ્ધાનું મૃત્યુ આશરે ત્રણથી ચાર દિવસ પહેલા થયું હોવાનું અનુમાન છે, જેના કારણે તેમનો મૃતદેહ ફુલાઈ ગયો હતો અને કોહવાયેલી હાલતમાં હતો. મૃતદેહને સૌપ્રથમ ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. મૃત્યુનું સચોટ કારણ જાણવા અને કોઈ શંકાસ્પદ બાબત છે કે કેમ તેની ખાતરી કરવા માટે મૃતદેહને રાજકોટ ફોરેન્સિક લેબ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપવામાં આવ્યો છે. પોલીસ હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેના આધારે વૃદ્ધાના મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.


