સરકારી ૧૭,૧૪૧ શાળાઓને લાગ્યા કાયમી તાળા
પાંચ વર્ષના આંકડા જાહેર કરતી કેન્દ્ર સરકાર : દેશના મોટા રાજયોમાં ચિંતાજનક સ્થિતિ, રાજસ્થાન, ગુજરાતમાં સરકારી શાળામાં વધારો
અગ્ર ગુજરાત, નવી દિલ્હી
શું દેશમાં સરકારી શાળાઓ બંધ થઈ રહી છે? જો શાળાઓ ઘટી રહી છે તો બાળકોના શિક્ષણ પર તેની શું અસર પડશે? આવા અનેક સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે લોકસભામાં કેટલાક ચોંકાવનારા આંકડા રજૂ કર્યા છે, જેનાથી સરકારી શાળાઓની સ્થિતિ અંગે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે. લોકસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ આનંદ ભદોરિયાના એક પ્રશ્નનો જવાબ આપતા શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ જણાવ્યું હતું કે 2021-22 ની સરખામણીમાં 2025-26 સુધીમાં દેશભરમાં 17,000 થી વધુ સરકારી શાળાઓ ઓછી થઈ છે.
જોકે, સરકારે આ પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. શિક્ષણ રાજ્યમંત્રી જયંત ચૌધરીએ સંસદમાં આપેલી માહિતી મુજબ વર્ષ 2021-22 માં દેશમાં કુલ 1,022,386 સરકારી શાળાઓ હતી. વર્ષ 2025-26 સુધીમાં આ સંખ્યા ઘટીને 1,005,245 થઈ ગઈ. સીધો અર્થ એ છે કે માત્ર 5 વર્ષના ગાળામાં આશરે 17,141 સરકારી શાળાઓનો ઘટાડો નોંધાયો છે. શાળાઓ ઘટવા અંગે સરકારે સ્પષ્ટતા કરી છે કે કોઈપણ શાળા ખોલવી, બંધ કરવી કે તેને અન્ય શાળા સાથે મર્જ (ભેગી) કરવી, તે નિર્ણય સંપૂર્ણપણે રાજ્ય સરકારો અને કેન્દ્રશાસિત પ્રદેશોના અધિકારક્ષેત્રમાં આવે છે.
સરકારે વધુમાં ઉમેર્યું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 મુજબ, શાળાઓનું મર્જર ખૂબ જ કાળજીપૂર્વક થવું જોઈએ અને તેનાથી બાળકોની શાળા સુધીની પહોંચ કે શિક્ષણ પર કોઈ નકારાત્મક અસર ન પડવી જોઈએ. સરકારના મતે, નજીકની શાળાઓને ભેગી કરીને ક્લસ્ટર બનાવવાનો મુખ્ય હેતુ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાનો અને શાળાના સંચાલનને વધુ અસરકારક બનાવવાનો છે.
આંકડાઓ મુજબ સૌથી મોટો ઘટાડો જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળ્યો છે, જ્યાં શાળાઓ 23,173 થી ઘટીને 18,787 થઈ ગઈ છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશમાં પણ શાળાઓ ઘટી છે. મેઘાલયમાં 7,783 થી ઘટીને 5,620, તેલંગાણામાં 30,023 થી ઘટીને 28,088, પશ્ચિમ બંગાળમાં 83,302 થી ઘટીને 81,591, મધ્યપ્રદેશમાં 92,695 થી ઘટીને 91,199, કર્ણાટકમાં 49,679 થી ઘટીને 48,527, થઇ છે. જયારે રાજસ્થાનમાં 68,948 થી વધીને 69,983, બિહારમાં 75,558 થી વધીને 76,435 થઇ છે. આ સિવાય ગુજરાત અને છત્તીસગઢમાં પણ સરકારી શાળાઓની સંખ્યામાં થોડો વધારો જોવા મળ્યો છે.
કન્યા શિક્ષણ અને ડ્રોપઆઉટના આંકડા
સરકારે દીકરીઓના શિક્ષણ અંગેના આંકડા પણ રજૂ કર્યા હતા:
ધોરણ 3 થી 5: છોકરીઓનો નોંધણી ગુણોત્તર 97 થી ઘટીને 93.5 થયો છે.
ધોરણ 6 થી 8: નોંધણી ગુણોત્તર 92.5 થી ઘટીને 92.3 થયો છે.
ધોરણ 9 થી 12: અહીં સારો સુધારો જોવા મળ્યો છે, નોંધણી 70.5 થી વધીને 74 થઈ છે.
જાળવણી દરની વાત કરીએ તો, પ્રાથમિક સ્તરે તે 93.4 થી ઘટીને 92.2 થયો છે, જ્યારે ઉચ્ચતર માધ્યમિક સ્તરે 49.6 થી વધીને 55 થયો છે.
સુવિધાઓ માટે સરકાર આપે છે ભંડોળ
સરકારે પોતાના બચાવમાં કહ્યું કે ‘સમગ્ર શિક્ષા અભિયાન’ હેઠળ રાજ્યોને નવી શાળાઓ અને વર્ગખંડો બનાવવા, કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય ચલાવવા, મફત પુસ્તકો અને ગણવેશ આપવા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરી ભણતર તરફ લાવવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે. ઉપરાંત, સારો શિક્ષક-વિદ્યાર્થી ગુણોત્તર જાળવવામાં પણ કેન્દ્ર મદદ કરે છે, જોકે શિક્ષકોની ભરતીની જવાબદારી જે તે રાજ્યની જ રહે છે.


