ગુજરાતમાં ઘૂસણખોરો સામે મિડનાઇટ સર્જિકલ સ્ટ્રાઈક
રાજકોટમાં 13 ટીમોનો રાતોરાત સપાટો, 31 શંકાસ્પદોની અટકાયત; અમદાવાદમાં 131 બાંગ્લાદેશીઓ ઝડપાયા, રાજ્યભરમાં મેગા ઓપરેશન યથાવત
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને શોધી કાઢવા માટે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર દ્વારા રાજ્યવ્યાપી મેગા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે શરૂ થયેલા આ વિશેષ ઓપરેશન હેઠળ રાજકોટ શહેર પોલીસ, ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, એલસીબી તેમજ સ્થાનિક પોલીસની 13 ટીમોએ શહેરના વિવિધ વિસ્તારોમાં એકસાથે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરી 31 જેટલા શંકાસ્પદ લોકોને અટકાયતમાં લીધા છે. આ કાર્યવાહી બાદ ગેરકાયદેસર રીતે રહેતા તત્વોમાં ભારે ફફડાટ ફેલાયો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગુપ્તચર એજન્સીઓ અને ટેકનિકલ સર્વેલન્સ મારફતે છેલ્લા કેટલાક સમયથી મળતી માહિતીના આધારે આ કાર્યવાહીનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજકોટ શહેરમાં આશરે 200 જેટલા શંકાસ્પદ મોબાઈલ નંબરો ચિહ્નિત કરવામાં આવ્યા હતા. આ નંબરો પરથી થતા સ્પામ કોલ્સ, શંકાસ્પદ સંપર્કો અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટીના આધારે પોલીસને કેટલાક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા લોકો અંગે મહત્વપૂર્ણ કડીઓ મળી હતી.
આ માહિતીના આધારે ઈન્ચાર્જ પોલીસ કમિશ્નર ચૈતન્ય માંડલીકના માર્ગદર્શન હેઠળ ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા સહિતના ઉચ્ચ અધિકારીઓએ મોડી રાત્રે વિશેષ ઓપરેશન માટે વ્યૂહરચના ઘડી હતી. રાત્રે 11 વાગ્યે જ શહેર એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની અલગ-અલગ 13 ટીમો મેદાનમાં ઉતરી હતી.
ટીમોએ શહેરના ઔદ્યોગિક વિસ્તારો, બાંધકામ સાઇટો, શ્રમિક વસાહતો, ઝૂંપડપટ્ટીઓ અને ભાડાના મકાનો ધરાવતા વિસ્તારોમાં એકસાથે દરોડા અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અનેક સ્થળોએ લોકોના ઓળખપત્રો, રહેઠાણના પુરાવા અને અન્ય દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. શંકાસ્પદ જણાતા લોકોને વધુ પૂછપરછ માટે ક્રાઈમ બ્રાન્ચ કચેરીએ લાવવામાં આવ્યા હતા.
આ ઓપરેશન દરમિયાન કુલ 31 જેટલા શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. તેમાં પાંચ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. પોલીસ દ્વારા તેમની ઓળખ, મૂળ વતન, ભારતમાં પ્રવેશની રીત અને રાજકોટમાં રહેવાની વ્યવસ્થા અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં કેટલાક લોકો પાસે ભારતીય નાગરિકત્વના પૂરતા અને વિશ્વસનીય પુરાવા ઉપલબ્ધ ન હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ હાલમાં પકડાયેલા તમામ લોકોના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રહેઠાણના પુરાવા, પાસપોર્ટ અને અન્ય ઓળખદસ્તાવેજોની ઝીણવટભરી ચકાસણી કરી રહી છે. ભૂતકાળમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો દ્વારા નકલી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો તૈયાર કરાવીને દેશમાં વસવાટ કરવાના અનેક કિસ્સા સામે આવી ચૂક્યા હોવાથી પોલીસ આ મામલે કોઈપણ પ્રકારની ઢીલ રાખવા તૈયાર નથી.
પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ દસ્તાવેજોની ચકાસણી પૂર્ણ થયા બાદ જો કોઈ વ્યક્તિ બાંગ્લાદેશી નાગરિક હોવાનું સાબિત થશે અને તે ગેરકાયદેસર રીતે દેશમાં પ્રવેશી હોવાનું બહાર આવશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા આ અભિયાનને આંતરિક સુરક્ષા સાથે જોડાયેલ અત્યંત મહત્વની કામગીરી તરીકે જોવામાં આવી રહ્યું છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આ માત્ર એક દિવસની કાર્યવાહી નથી, પરંતુ આગામી દિવસોમાં પણ સમગ્ર રાજ્યમાં આ પ્રકારના સર્ચ ઓપરેશન સતત ચાલુ રહેશે. બાકીના શંકાસ્પદ મોબાઈલ નંબરોના આધારે પણ વધુ લોકો સુધી પહોંચવા માટે ટેકનિકલ ટીમો સતત કામગીરી કરી રહી છે.
રાજકોટ ગ્રામ્ય પોલીસ પણ રાજ્યવ્યાપી અભિયાનમાં સક્રિય રીતે જોડાઈ હતી. મોડી રાત્રે ગ્રામ્ય પોલીસ, એસઓજી અને એલસીબીની ટીમોએ પડધરી, મેટોડા, શાપર, ગોંડલ, જેતપુર, ધોરાજી અને ઉપલેટા સહિતના વિસ્તારોમાં સઘન તપાસ હાથ ધરી હતી. ફેક્ટરી વિસ્તારો, ઈંટના ભઠ્ઠા, બાંધકામ સાઇટો અને શ્રમિક વસાહતોમાં દરોડા પાડી શ્રમિકોના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી હતી. અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. ગ્રામ્ય પોલીસના જણાવ્યા મુજબ આ ઝુંબેશ આગામી દિવસોમાં વધુ વેગવંતી બનશે અને ગેરકાયદેસર રીતે વસતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં પણ મોડી રાત્રે હાથ ધરાયેલા વિશેષ ઓપરેશન દરમિયાન સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે 291 શંકાસ્પદ લોકોને અટકાયતમાં લીધા હતા. પ્રાથમિક ચકાસણીમાં 131 લોકો બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું છે. હાલ બાકીના 160 લોકોના દસ્તાવેજોની તપાસ અને પૂછપરછ ચાલુ છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ચંડોળા, ગુલાબનગર અને દાણીલીમડાના ખોડિયારનગર સહિતના વિસ્તારોમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પકડાયેલા તમામ લોકોને વધુ તપાસ માટે ક્રાઈમ બ્રાન્ચ કેમ્પસમાં રાખવામાં આવ્યા છે. અમદાવાદ પોલીસના જણાવ્યા મુજબ આધાર કાર્ડ, પાસપોર્ટ, વિઝા અને અન્ય દસ્તાવેજોની સઘન ચકાસણી કરવામાં આવી રહી છે. ગેરકાયદેસર રીતે દેશમાં રહેતા હોવાનું સાબિત થનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી બાદ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.
રાજ્યભરમાં શરૂ થયેલી આ વિશેષ ઝુંબેશને કારણે ગેરકાયદેસર રીતે રહેતા ઘૂસણખોરોમાં ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસ દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ ભાડૂત, શ્રમિક કે અન્ય કોઈ અજાણ્યા વ્યક્તિને રાખતા પહેલાં પોલીસ વેરિફિકેશન કરાવે અને કોઈ શંકાસ્પદ વ્યક્તિ અંગે તાત્કાલિક જાણ કરે.
200 શંકાસ્પદ મોબાઈલ નંબરો બન્યા ઓપરેશનનો આધાર
ટેકનિકલ સર્વેલન્સ દરમિયાન રાજકોટમાં આશરે 200 મોબાઈલ નંબરો શંકાસ્પદ જણાયા હતા. સ્પામ કોલ્સ અને આંતરરાષ્ટ્રીય સંપર્કોના આધારે પોલીસે આખું નેટવર્ક ટ્રેસ કરીને કાર્યવાહી શરૂ કરી.
રાત્રે 11 વાગ્યે એકસાથે 13 ટીમો એક્શનમાં
શહેર એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ, એલસીબી અને સ્થાનિક પોલીસની 13 ટીમોએ એકસાથે શહેરના વિવિધ વિસ્તારોમાં કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને શંકાસ્પદ લોકોની તપાસ કરી.
પાંચ મહિલાઓ પણ પૂછપરછના ઘેરામાં
અટકાયતમાં લેવાયેલા 31 શંકાસ્પદ લોકોમાં પાંચ મહિલાઓનો સમાવેશ થાય છે. તેમની ઓળખ અને દસ્તાવેજોની અલગથી તપાસ ચાલી રહી છે.
નકલી દસ્તાવેજોની શક્યતા પર ખાસ નજર
આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ અને રહેઠાણના પુરાવાની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે. નકલી દસ્તાવેજો બનાવવાના જૂના કિસ્સાઓને ધ્યાનમાં રાખી ચકાસણી કડક બનાવાઈ છે.
રાજકોટ ગ્રામ્યમાં ભઠ્ઠા અને ફેક્ટરીઓ પર ફોકસ
પડધરી, મેટોડા, શાપર, ગોંડલ અને જેતપુર સહિતના વિસ્તારોમાં ફેક્ટરીઓ, બાંધકામ સાઇટો અને ઈંટના ભઠ્ઠાઓમાં વિશેષ તપાસ હાથ ધરાઈ.
અમદાવાદમાં 291 લોકોની અટકાયત
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે 291 શંકાસ્પદ લોકોને ઝડપી લીધા છે. તેમાંથી 131 લોકો બાંગ્લાદેશી હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
ઘૂસણખોર સાબિત થશે તો સીધો ડિપોર્ટ
દસ્તાવેજોની ચકાસણી બાદ ગેરકાયદેસર રીતે ભારતમાં રહેતા હોવાનું સાબિત થનાર લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરીને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવાની પ્રક્રિયા હાથ ધરાશે.
મકાનમાલિકો અને ઉદ્યોગકારોને પોલીસની અપીલ
ભાડૂત, શ્રમિક અથવા કર્મચારી રાખતા પહેલાં તેની ઓળખની ખાતરી કરવી અને પોલીસ વેરિફિકેશન કરાવવું જરૂરી હોવાનું પોલીસ તંત્રએ જણાવ્યું છે.


