ગુરૂ જીવનમાં જ્ઞાન, સંસ્કાર અને સફળતાના સાચા શિલ્પી : ધારાસભ્ય ઉદય કાનગડ
દરેક પળને સુશોભિત કરનાર પથદર્શકને યાદ કરવાનો અવસર એટલે ગુરૂપૂર્ણીમા
અગ્ર ગુજરાત, રાજકોટ
વિધાનસભા-૬૮, રાજકોટના ધારાસભ્ય ઉદય કાનગડએ ગુરૂપુર્ણીમા શુભ અવસરે ગુરૂનો મહિમા વર્ણવતા જણાવ્યું હતું કે ધ્વાપર યુગમાં મહર્ષિ વેદવ્યાસનો જન્મ અષાઢ માસની પૂર્ણિમાના દિવસે થયો હતો. આ જ કારણે આ તિથિને ગુરૂ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. આપણા દેશની વિશેષતા એટલે ગુરૂ-શિષ્યની પરંપરા. ગુરુ એટલે ભારતીય સંસ્કૃતિની એક શાશ્વત આધારશિલા, સંસ્કૃતિની ચેતનાને ટકાવી રાખનારું એક વિરલ પરિબળ, જે ઉપનિષદોના સમયથી લઈને આજ પર્યત વિશ્વ સમસ્તને પ્રેરણા આપતું રહયું છે. ગુરૂ આપણા જીવનમાં અજ્ઞાનતારૂપી અંધકારથી બહાર કાઢી જ્ઞાનરૂપી પ્રકાશ ફેલાવે છે.આજે આપણે ગુરૂ પૂર્ણિમાની પવિત્ર ઉજવણી કરી રહ્યા છીએ. આ દિવસ આપણા જીવનમાં પ્રકાશ પાથરનારા ગુરૂજનોને સમર્પિત છે. ગુરૂ એટલે અંધકારમાં આપણને માર્ગ બતાવનાર દીપક. તેઓ માત્ર શાળાના શિક્ષક જ નહી પરંતુ આપણા જીવનમાં દરેક પાસામાં માર્ગદર્શન આપનાર દરેક વ્યકિત છે. બાળક નાનું હોય અને શાળાના પગથિયા ભરે ત્યારથી ગુરૂનું કાર્ય શરૂ થઈ જાય છે. જીવનની દરેક પળે ગુરુની જરૂરીયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહાન આત્માને યાદ કરવાનો અવસર એટલે ગુરૂપૂર્ણીમા.ગુરુ એટલે પ્રેરણાની મૂર્તિ. આ પાવન અવસરે ગુરુનું ધ્યાન કરવું અને ગુરુની પૂજા કરવી. ભગવાન રામ હોય કે કૃષ્ણ તેઓને પણ જીવન નો ઉપદેશ આપનારા ગુરુઓ હતા. ગુરુનું કામ દિશા આપવાનું છે. ગુરુ એટલે દિવ્યતાના માર્ગ ઉપર દોરી જનાર પથદર્શક.
સદગુરૂ શિષ્યના જીવનને દિશા આપે છે તેમજ જીવનની દરેક પળે ગુરૂની જરૂરિયાત વર્તાય છે અને દરેક પળને સુશોભિત કરનાર આ મહામાનવને યાદ કરવાનો અવસર એવા ગુરૂપુર્ણિમાના શુભ દિવસે ગુરૂનો મહિમા ગાવા, ગુરૂ ૠણનું સ્મરણ કરવા અને ગુરૂપ્રાપ્તિનો પરમાનંદ માણવા ગુરૂ પ્રત્યે કૃતજ્ઞતા વ્યકત કરતા ધારાસભ્ય ઉદય કાનગડએ અંતમાં જણાવેલ હતું.


