રાજકોટમાં હાર્ટ એટેક અને અચાનક બેભાન થવાની ઘટનાથી પાંચના મોત
મેટોડાના બે સહિત 30, 43 અને 54 વર્ષના ત્રણ વ્યક્તિઓના મોત; વૃદ્ધા અને મહિલાનું પણ સારવાર દરમિયાન નિધન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને આસપાસના વિસ્તારોમાં હૃદય સંબંધિત તકલીફો તેમજ અચાનક બેભાન થઈ જવાની ઘટનાઓમાં પાંચ લોકોના મોત થતાં પરિવારોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. મૃતકોમાં મેટોડાના 30 વર્ષીય યુવાન અને 54 વર્ષીય પ્રૌઢ ઉપરાંત રાજકોટના 43 વર્ષીય વેપારીનો સમાવેશ થાય છે. જ્યારે એક વૃદ્ધા અને એક મહિલાનું પણ બેભાન હાલતમાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ, મેટોડા જીઆઇડીસી નજીક અંજલી પાર્ક વિસ્તારમાં રહેતા રાજેશભાઈ અમરૂભાઈ રાઠોડ (ઉ.વ. 30) અચાનક ઘરે બેભાન થઈ જતાં તેમને તાત્કાલિક રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે તબીબોની સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું હોવાનું માનવામાં આવે છે. રાજેશભાઈ પરિવારના બે ભાઈ અને એક બહેનમાં વચેટ હતા અને પાછળ પત્ની તથા બે પુત્રીઓને વિલાપમાં મૂકી ગયા છે.
આ જ વિસ્તારમાં રહેતા મોહનભાઈ વિરજીભાઈ જેઠવા (ઉ.વ. 54) પણ અચાનક બેભાન થઈ જતાં હોસ્પિટલ ખસેડાયા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું પણ નિધન થયું હતું. પરિવારજનોના જણાવ્યા અનુસાર હાર્ટ એટેકના કારણે તેમનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. તેઓ ખાનગી કંપનીમાં નોકરી કરી પરિવારનું ભરણપોષણ કરતા હતા.
બીજી તરફ રાજકોટના ગાયત્રીનગર વિસ્તારમાં રહેતા અને પાનના વેપાર સાથે સંકળાયેલા કલ્પેશભાઈ ચંદુભાઈ ચાવડા (ઉ.વ. 43) વહેલી સવારે ઘરે અચાનક બેભાન થઈ ગયા હતા. હોસ્પિટલ પહોંચાડતા પહેલા જ તેમની સ્થિતિ ગંભીર બની હતી અને તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ તેમને પણ હૃદયરોગનો ગંભીર હુમલો આવ્યો હતો.
અન્ય એક બનાવમાં ઉદ્યોગનગર કોલોની વિસ્તારમાં રહેતા સવિતાબેન શીવાભાઈ ધાણક (ઉ.વ. 75) બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. મૂળ અમદાવાદના રહેવાસી સવિતાબેન છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં પરિવાર સાથે રહેતા હતા. તેમના મોતનું ચોક્કસ કારણ જાણવા પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે.
જ્યારે રેલનગર વિસ્તારના શ્રીરામ પાર્કમાં રહેતા લક્ષ્મીદેવી દુદાનાથ રાજભર (ઉ.વ. 56) પણ ઘરે બેભાન થઈ જતાં હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જોકે સારવાર દરમિયાન તેમનું પણ અવસાન થયું હતું. પરિવારજનોના જણાવ્યા મુજબ તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમ છતાં મૃત્યુનું સાચું કારણ જાણવા પોલીસે પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
આ તમામ બનાવોની જાણ થતાં સંબંધિત પોલીસ મથકો દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સતત સામે આવી રહેલી હાર્ટ એટેક અને અચાનક મોતની ઘટનાઓએ લોકોમાં ચિંતા વધારી છે.


