‘જય રણછોડ, માખણચોર’ના નાદથી વાતાવરણ ભકિત સભર બન્યું
જગન્નાથજી પર મેઘરાજાનો જલાભિષેક, ભગવાનની નગરચર્ચા
ઠાકોર માંધાતાસિંહના હસ્તે પહિંદવિધિ કરાઇ : શહેરના ૨૨ કિલોમીટરમાં રથયાત્રા ફરી : વિવિધ સ્થળોએ ભગવાન પર પુષ્પવર્ષા : યાત્રા દરમિયાન સાધુ-સંતો અને રાસ મંડળીઓએ લોકોને ભકિતમાં તરબોળ કર્યા
મહાઆરતી, ધ્વજારોહણ, મહાપ્રસાદ, અન્નકુટ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા : ભકતો ભગવાનના દર્શન કરી ધન્ય બન્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
આજે અષાઢી બીજ નિમિતે રાજકોટ શહેરમાં જુદી-જુદી રથયાત્રાઓ યોજાઈ હતી. જેમાં નાનામૌવાથી નીકળેલી રથયાત્રામાં હજારો ભાવિકો જોડાયા હતા. ‘જય રણછોડ માખણચોર’નો નાદ ગુંજી ઉઠ્યો હતો. જેમાં રાજવી માંધાતાસિંહનાં હસ્તે પહિંદવિધિ કરાઈ હતી. જ્યારે સાંસદ પુરુષોત્તમ રૂપાલા, મેયર ડો.નેહલ શુક્લ તેમજ ધારાસભ્ય રમેશ ટીલાળા સહિતનાં આગેવાનો હાજર રહ્યા હતા. સવારે 8.30 વાગ્યે આ રથયાત્રાનું પ્રસ્થાન થયું હતું. જે દિવસભર 22 કિમીના રૂટમાં શહેરના મુખ્ય વિસ્તારોમાં ફરશે અને ભગવાન નગરચર્યા એ નીકળ્યા હતાં. મેઘરાજાએ પણ પોતાની હાજરી પૂરાવતા ભગવાન જગન્નાથજી પર જલાભિષેક ઝરમર ઝરમર વરસ્યા હતાં.
આ તકે કૈલાશધામ આશ્રમ જગન્નાથ મંદિરના મહંત ત્યાગી મનમોહનદાસે કહ્યું હતું કે, ભગવાન જગન્નાથની આ રથયાત્રાનાં રથની વિશેષતા છે કે, તેમાં પ્રથમ રથમાં બલભદ્ર, બીજા રથમાં સુભદ્રાજી અને ત્રીજા રથમાં ભગવાન જગન્નનાથ બિરાજમાન થયા છે. જે ભાવિકો મંદિર આવતા નથી તેમને ભગવાન સામે ચાલીને દર્શન આપે છે. ભગવાનના દર્શન માત્રથી લોકોનું જીવન મંગલમય અને સુખમય બની જાય છે. ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે ત્યારે આ રથને સ્પર્શ કરે તે લોકોનું પણ કલ્યાણ થઈ જાય છે. જો રથના દોરડા ખેંચે તેના હાથની અશુભ રેખાઓ શુભ રેખામાં પરિવર્તન પામે છે. રથમાં ભગવાનનું દિવ્ય રૂપ જોવા મળે છે.
મહંત ત્યાગી મનમોહનદાસે વધુમાં જણાવ્યું હતું રથયાત્રાનો 22 કિલોમીટરનો રૂટ છે અને નિજ મંદિરમાં ભગવાન પરત આવે ત્યારે મહાઆરતી કરવામાં આવશે. બધી જ જગ્યાએ રથયાત્રા થાય છે. પરંતુ રાજકોટની રથયાત્રાની વિશેષતા એ છે કે, તેમાં સાધુ-સંતો અને લોકો કરતબો દેખાડી રહ્યા છે.
કૈલાસધામ આશ્રમ નાનામૌવાથી સવારે 8-30 કલાકે જગન્નાથજી રથયાત્રાનો જય જગન્નાથના જયઘોષ સાથે પ્રારંભ થયો હતો. જેમાં ગામો ગામના સંતો-મહંતો, રાજકીય, સામાજીક, વિવિધ સંસ્થાઓના અગ્રણીઓ રથયાત્રામાં જોડાયા છે. નાનામૌવા મોકાજી સર્કલથી શરૂ થયેલી આ રથયાત્રા વૃંદાવન સોસાયટી, નીલ-દા- ધાબા, પુષ્કરધામ, આલાપ એવન્યુ, શકિતનગર, આકાશવાણી ચોક, યુનિ. રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયા રોડ, તુલસી બંગલો, રૈયા ચોકડી, કિશાનપરા ચોક, સદરબજાર, હરિહર ચોક, પંચનાથ મહાદેવ, લીમડા ચોક, ત્રિકોણ બાગ, સાંગણવા ચોક, ભુપેન્દ્ર રોડ, સ્વામિનારાયણ મંદિર, આશાપુરા મંદિર, કેનાલ રોડ, કેવડાવાડી મેઈન રોડ, સોરઠીયા વાડી સર્કલ, કોઠારીયા રોડ, નિલકંઠ ટોકીઝ, દેવપરા, યાદવનગર, સરકાર મેઈન રોડ, નારાયણનગર, પીડીએમ કોલેજ, સ્વામીનારાયણ ચોક, આનંદ બંગલા ચોક, ફાયર બ્રિગેડ, ચંદ્રેશનગર મેઈન રોડ, રાજનગર ચોક, નાના મૌવા મેઈન રોડ, સર્કલ, શાસ્ત્રીનગર, અલય પાર્ક, ગોવિંદ પાર્ક થઈને કૈલાશધામ આશ્રમ-નીજ મંદિરે સંપન્ન થશે. ત્યારબાદ મહાઆરતી કરવામાં આવી હતી.
૧૮ હજાર પોલીસનો બાંધકામ
રથયાત્રાને લઈ શહેર પોલીસ દ્વારા સુરક્ષા સંબંધી પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. આ થયાત્રાના રૂટ ઉપરની દરેક નાની-મોટી હિલચાલ ઉપર તીક્ષ્ણ નજર રાખવામાં આવી. આ સુરક્ષા વ્યવસ્થામાં 4 DCP, 6 ACP, 23 PI અને 91 PSIની સાથે 900 પોલીસ કર્મચારીઓ જોડાયા છે. આ ઉપરાંત હોમગાર્ડ, SRP અને TRBના જવાનો સહિત 1800થી વધુ સુરક્ષાકર્મીઓનો લોખંડી કાફલો તહેનાત કરવામાં આવ્યો છે. લોકલ પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમ પોલીસની ટીમો પણ બંદોબસ્તમાં સામેલ છે.


