જસદણના યુવાનનું શંકાસ્પદ સંજોગોમાં મોત, ફોરેન્સિક પીએમ કરાવાયું
ખાનપર ગોળાઈ પાસે ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં મળેલ ; બાઈક ક્ષતિગ્રસ્ત મળતાં અકસ્માતની સંભાવના
અગ્ર ગુજરાત, રાજકોટ
જસદણના યુવાન સમીર રાઠોડનું શંકાસ્પદ સંજોગોમાં મોત થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ખાનપર ગોળાઈ નજીક રોડની સાઈડ પરથી તેઓ ગંભીર ઇજાઓ સાથે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. હોસ્પિટલમાં ખસેડાયા બાદ તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની પ્રાથમિક સ્થિતિ અકસ્માત તરફ ઈશારો કરતી હોવા છતાં શરીર પરની ઇજાઓ અને પરિવારજનોની શંકાને ધ્યાનમાં રાખી મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે.
મળતી વિગતો મુજબ, જસદણના ખાટકી ચોક વિસ્તારમાં સરકારી હોસ્પિટલ પાછળ રહેતા 38 વર્ષીય સમીરભાઈ રજાકભાઈ ઉર્ફે જીણાભાઈ રાઠોડ રોજગાર તરીકે ઊંટવડ ગામમાં નાસ્તા અને પકોડાની લારી ચલાવતા હતા. મંગળવારે રાત્રે તેઓ રોજની જેમ લારી બંધ કરીને બાઈક પર જસદણ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રે આશરે 11:30 વાગ્યે ખાનપર ગોળાઈ નજીક તેઓ રોડની સાઈડમાં ગંભીર હાલતમાં પડેલા મળી આવ્યા હતા.
સ્થાનિક લોકોની જાણ બાદ તેમને તાત્કાલિક જસદણ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ફરજ પરના તબીબે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ તેમજ પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતકના માથા, ચહેરા, હોઠ તથા શરીરના અન્ય ભાગોમાં ઇજાના નિશાન હોવાનું સામે આવ્યું છે. ઘટનાસ્થળેથી તેમનું બાઈક પણ રોડ પર પડેલું મળી આવ્યું હતું, જેમાં આગળનો ભાગ (મોરો) તૂટી ગયેલો હોવાનું જાણવા મળ્યું છે. આથી અકસ્માતની સંભાવના નકારી શકાય તેમ નથી.
પરંતુ ઇજાઓ અકસ્માતથી થઈ છે કે પછી અન્ય કોઈ કારણ જવાબદાર છે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. પરિવારજનોએ પણ ઘટનાને લઈને શંકા વ્યક્ત કરતાં પોલીસે મૃતદેહને વધુ તપાસ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પોલીસ તપાસ બાદ જ સમીર રાઠોડના મોતનું સાચું કારણ બહાર આવશે.


