જેતપુરના સગર્ભા મહિલાના હત્યા કેસમાં સંડોવાયેલા આરોપીને આજીવન કેદની સજા
સેશન્સ કોર્ટે કડક સજા સાથે વારસદારોને વળતર ચૂકવવાનો પણ આપ્યો હુકમ
અગ્ર ગુજરાત, રાજકોટ
જેતપુર શહેરમાં વર્ષ 2022 દરમિયાન બનેલા સગર્ભા મહિલાના હત્યા કેસમાં જેતપુર સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. સાથે જ દંડની રકમ તથા મૃતક મહિલાના પરિવારજનોને વળતર ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, નવાગઢ વિસ્તારમાં બળદેવધાર પાસે ગણપતિ દાદાના મંદિર પાછળ રહેતા વિધાન ભરતભાઈ સોલંકીએ તા. 1 જાન્યુઆરી 2022ના રોજ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અનુસાર આરોપી મુના કનુભાઈ પટોળીયાની પત્નિ સાથે અગાઉ પ્રેમસંબંધ હોવાના મુદ્દે વિવાદ સર્જાયો હતો. બંને પક્ષ વચ્ચે સમાધાન પણ થયું હતું, પરંતુ સમાધાનમાં નક્કી કરાયેલી રૂપિયા બે લાખની રકમ આરોપીએ ફરિયાદીની માતા પાસે માંગતા તેમણે રૂપિયા આપવાનો ઇનકાર કર્યો હતો.
આ બાબતનો ખાર રાખી આરોપી મુનાએ ફરિયાદીની માતા રેખાબેન પર તેમના જ ઘરે જઈ છરી વડે હુમલો કર્યો હતો. છાતીના ભાગે બે ઘા મારતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી રેખાબેનનું મોત નીપજ્યું હતું. તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે ઘટનાના સમયે રેખાબેન બે થી ત્રણ મહિનાના ગર્ભ સાથે સગર્ભા હતા.
પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી ચાર્જશીટ અદાલતમાં રજૂ કરી હતી. કેસ દરમિયાન પ્રોસિક્યુશન તરફથી કુલ 19 સાક્ષીઓની તપાસ કરવામાં આવી હતી. ફરિયાદી પક્ષ તરફે એડવોકેટ પારૂલ જી. સિંધવડે દલીલો રજૂ કરી હતી.
ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષે આરોપીની નાની ઉંમર ધ્યાને લઈ ઓછી સજા આપવા અપીલ કરી હતી, જ્યારે ફરિયાદી પક્ષે ગુનાની ગંભીરતા, નિર્દયી હુમલો અને સગર્ભા મહિલાની હત્યાની હકીકતને ધ્યાનમાં રાખી કડક સજાની માંગ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ જેતપુરના એડિશનલ સેશન્સ જજ આર.એસ. પુરાણીએ આરોપી મુના કનુભાઈ પટોળીયાને આજીવન કેદની સજા, રૂપિયા 1000નો દંડ તથા મૃતકના વારસદારોને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે.


