કણસાગરા મહિલા કોલેજના NSS વિભાગ દ્વારા નાણાકીય સાક્ષરતા અને પર્યાવરણ જાગૃતિ પર સેમિનાર યોજાયો
નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને માર્ગદર્શન અપાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
કે.એસ.એન. કણસાગરા મહિલા કોલેજ, રાજકોટના એસ.એન.એસ. (NSS) વિભાગ દ્વારા વિદ્યાર્થીનીઓના સર્વાંગી વિકાસ, આર્થિક સાક્ષરતા અને પર્યાવરણીય જાગૃતિને વેગ આપવાના ઉદ્દેશ્યથી આજે તારીખ ૨૨ જુલાઈ, ૨૦૨૬ ના રોજ બે અત્યંત ઉપયોગી અને પ્રેક્ટિકલ સેમિનારોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્યા ડૉ. સ્નેહલ કોટકના પ્રેરણાદાયી માર્ગદર્શન અને NSS પ્રોગ્રામ ઓફિસર ડૉ. રેણુકા બી. ચાવડાના કુશળ આયોજન હેઠળ આ બંને કાર્યક્રમો સફળતાપૂર્વક સંપન્ન થયા હતા.
દિવસના પ્રથમ ચરણમાં વિદ્યાર્થીનીઓ વિદ્યાર્થીકાળથી જ નાણાકીય બાબતોમાં આત્મનિર્ભર અને સજાગ બને તે હેતુથી “FIN-START” સેમિનારનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્ય વક્તા તરીકે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિક્યોરિટીઝ માર્કેટ્સ (NISM) ના ટ્યુટર વૈભવ પુરાણિક અને બંસીબેન કાનાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીનીઓને મની મેનેજમેન્ટ, બચતની સાચી પદ્ધતિઓ અને સુરક્ષિત રોકાણના મહત્વ વિશે અત્યંત સરળ અને વ્યવહારુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ૭૦ થી વધુ NSS સ્વયંસેવિકાઓ અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.બીજા ચરણમાં પર્યાવરણ સંરક્ષણ અને ઓર્ગેનિક જીવનશૈલીને પ્રોત્સાહન આપવા માટે “ગ્રીન અર્થ કેમ્પેઇન” અંતર્ગત પ્લાન્ટ કેર અને હોમ ગાર્ડનિંગ સેમિનાર યોજાયો હતો. આ સત્રમાં નવરંગ નેચર ક્લબના સ્થાપક અને જાણીતા પર્યાવરણવિદ્ વી. ડી. બાલા સાહેબે નિષ્ણાત વક્તા તરીકે હાજરી આપી હતી. તેમણે વૃક્ષોનો ઉછેર, માટીની તૈયારી, કુદરતી ખાતર અને ગૃહ વાટિકા (Kitchen Garden) બનાવવાની સરળ ટેકનિક્સ વિશે રસપ્રદ માહિતી આપી હતી. આ સેમિનારમાં ૨૦૦ થી વધુ વિદ્યાર્થીનીઓ અને NSS સ્વયંસેવિકાઓએ હાજરી આપી પોતાના ઘરઆંગણે હરિયાળી ઉગાડવાનો સંકલ્પ લીધો હતો.
NSS ના “Not Me But You” (હું નહીં પણ આપ) ના સૂત્રને ચરિતાર્થ કરતા આ બંને પ્રોગ્રામ્સ થકી વિદ્યાર્થીનીઓમાં વ્યાવહારિક જ્ઞાન, નાણાકીય આત્મનિર્ભરતા અને સામાજિક-પર્યાવરણીય જવાબદારીની ભાવના વધુ પ્રબળ બની હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ કોલેજની વિદ્યાર્થીનીઓએ પ્રોગ્રામ ઓફિસર ડૉ. રેણુકા બી. ચાવડા તથા નિષ્ણાત વક્તાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.


