ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’
વિવિધ રોગના નિષ્ણાંત તબીબો દર્દીઓને નિઃશુલ્ક સલાહ અને તપાસ પૂરી પાડશે: ભવનના હોદેદારો ‘અગ્ર ગુજરાત’ની શુભેચ્છા મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ સંચાલિત ‘શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન’ દ્વારા માનવ સેવાના હેતુસર આગામી રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અને તેઓની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ કેમ્પમાં શહેર અને આસપાસના વિસ્તારના જરૂરિયાતમંદ દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે તબીબી સલાહ અને તપાસ પૂરી પાડવામાં આવશે.
આ નિઃશુલ્ક સર્વ રોગ નિદાન કેમ્પ આગામી તારીખ 28 જૂન ને રવિવારના રોજ સવારે 8-30 થી બપોરે 12-30 સુધી રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર આસ્થા સોસાયટીના ગેટની અંદર આવેલા શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન ખાતે યોજાનાર છે. આ નિદાન કેમ્પમાં 15થી વધુ નિષ્ણાત તબીબો સેવા આપશે.
આ કેમ્પમાં વિવિધ રોગોના નામાંકિત અને નિષ્ણાત ડોક્ટરો પોતાની માનદ સેવાઓ આપશે, જેમાં હૃદય રોગના નિષ્ણાત ડો. મનદીપ ટીલાળા, કેન્સર નિષ્ણાત ડો. શ્વેતા ટીલાળા, કાન, નાક, ગળું તેમજ મોઢાના કેન્સરના નિષ્ણાત ડો. મોનિલ પરસાણા, જનરલ ફિઝિશિયન ડો. ભાવેશ વિરાણી અને ડો. મયુર પટોળીયા, આંખના સર્જન ડો. અનુરથ સાવલિયા, કાન, નાક, ગળાના સર્જન ડો. મનસુખ રંગાણી, પેટ, આંતરડાના નિષ્ણાત તેમજ જનરલ સર્જન ડો. કેવિન અજુડીયા, સ્ત્રી રોગના નિષ્ણાત ડો. શ્રુતિ ચોવટીયા, હાડકાના ફ્રેક્ચર તેમજ સાંધા બદલવાના સર્જન ડો. કલ્પેશ રાણપરીયા, ચામડી, વાળ અને નખના રોગ ડો. હિરેન ઢોલરીયા, દાંત, પેઢા, મોં તેમજ જડબાના નિષ્ણાત/સર્જન ડો. મોહિત પાંભર અને ડો. મિતુલ સોજીત્રા, આયુર્વેદિક પદ્ધતિથી સારવારના નિષ્ણાત ડો. ધ્રુપલ સગપરીયા સેવા આપશે. કેમ્પ દરમિયાન કુંડારીયા કેન્સર પ્રિવેન્શન ફાઉન્ડેશન રાજકોટ કેન્સર સોસાયટીના સહયોગથી વેલસ્કોપ મશીન દ્વારા મોઢાના કેન્સરની ખાસ તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત દર્દીઓ માટે બ્લડ પ્રેશર (BP), ડાયાબિટીસ અને હિમોગ્લોબીનની તપાસ પણ તદ્દન મફત કરી આપવામાં આવશે.
કેમ્પનો લાભ લેવા આવનાર તમામ દર્દીઓએ પોતાના રોગને લગતા તમામ જૂના રિપોર્ટ, એક્સ-રે તથા ફાઇલ (જો હોય તો) સાથે લાવવાના રહેશે. આ કેમ્પ અંગે વધુ વિગતો મેળવવા માટે મોબાઈલ નંબર. 9714026262, 8401088060 પર સંપર્ક કરવા જણાવાયું છે. સર્વે જાહેર જનતાને આ નિઃશુલ્ક કેમ્પનો મહત્તમ લાભ લેવા માટે શ્રી ખોડલધામ ટ્રસ્ટ અને આયોજકો દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કેમ્પને સફળ બનાવવા માટે શ્રી ભોજલરામ ઉત્કર્ષ ભવન તેમજ સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (મેઈન યુવા) ની ટીમ ખૂબ જ જહેમત ઉઠાવી રહી છે તેમ ‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની મુલાકાતે આવેલા હરેશભાઈ સગપરીયા, રહિષભાઈ વિરડીયા, રસીકભાઈ ઠેસીયા અને નિલેશભાઈ કથીરીયાએ જણાવ્યું હતું.


