સોમનાથ સોસાયટીમાં જમીનના પૈસાની તકરારમાં બે સગા ભાઈઓની હત્યા
સાત વર્ષથી ચાલતા જમીનના સેટલમેન્ટના વિવાદે લીધો લોહિયાળ વળાંક; એકનું ઘટનાસ્થળે અને બીજાનું સારવાર દરમિયાન મોત
કુટુંબી ભત્રીજાના છરીના હુમલામાં બે સગા ભાઈના મોતથી ભારે ચકચાર ; સામા પક્ષે પણ હત્યાની કોશિશનો ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરના યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ પાછળ આવેલી સોમનાથ-2 સોસાયટીમાં મોડી રાત્રે જમીનના ભાગના પૈસાની સાત વર્ષ જૂની અદાવત લોહિયાળ બની જતાં કુટુંબી ભત્રીજાએ છરી વડે હુમલો કરતાં બે સગા ભાઈઓના કરુણ મોત નીપજ્યાં છે. હુમલામાં એક યુવાનને પણ ઇજા પહોંચી છે, જ્યારે હુમલો કરનાર આરોપી પણ વળતા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થતાં સારવાર હેઠળ છે. ઘટનાને પગલે સમગ્ર ભરવાડ સમાજ અને વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.
પોલીસના જણાવ્યા મુજબ વૈશાલીનગરમાં રહેતો હાર્દિક ધુળાભાઈ ધોળકીયા મોડી રાત્રે સોમનાથ-2 સોસાયટીમાં રહેતા તેના કુટુંબી રાજેશભાઈ બાલાભાઈ ધોળકીયાના ઘરે પહોંચી ગાળાગાળી કરવા લાગ્યો હતો. રાજેશભાઈએ આ અંગે પોતાના મોટા ભાઈ સુરેશભાઈ બાલાભાઈ ધોળકીયાને ફોન કરી તાત્કાલિક બોલાવ્યા હતા. સુરેશભાઈ પોતાના પુત્ર લાખાભાઈ સાથે ત્યાં પહોંચ્યા હતા. પરિવારજનો અને અન્ય સગાઓએ હાર્દિકને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે વધુ ઉશ્કેરાઈ ગયો હતો.
આરોપ છે કે હાર્દિકે અચાનક પોતાના કપડામાંથી છરી કાઢી સુરેશભાઈની છાતીમાં ઘા ઝીંક્યો હતો. ગંભીર રીતે ઘાયલ સુરેશભાઈ ઢળી પડ્યા હતા. તેમને બચાવવા વચ્ચે પડેલા રાજેશભાઈ પર પણ આડેધડ છરીના ઘા મારવામાં આવ્યા હતા. વચ્ચે પડેલા લાખાભાઈને પણ ઇજા પહોંચી હતી. ત્યારબાદ થયેલા વળતા હુમલામાં હાર્દિકને પણ ઇજાઓ પહોંચી હતી. ઘાયલ સુરેશભાઈ અને રાજેશભાઈને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સુરેશભાઈને મૃત જાહેર કરવામાં આવ્યા હતા, જ્યારે ગંભીર હાલતમાં સારવાર લઈ રહેલા રાજેશભાઈનું સવારે મોત નિપજતાં ઘટના ડબલ મર્ડરમાં ફેરવાઈ હતી.
લાખાભાઈ ધોળકીયાની ફરિયાદના આધારે યુનિવર્સિટી પોલીસે હાર્દિક ધુળાભાઈ ધોળકીયા સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. બીજી તરફ ગંભીર હાલતમાં સારવાર હેઠળ રહેલા હાર્દિકની ફરિયાદ પરથી મૃતક સુરેશભાઈ, રાજેશભાઈ, લાખાભાઈ અને શીવા નથુભાઈ ડોંડા સામે હત્યાની કોશિશનો ગુનો પણ નોંધવામાં આવ્યો છે. બંને ફરિયાદોના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે લગભગ સાત વર્ષથી જમીનના સેટલમેન્ટના પૈસાને લઈને વિવાદ ચાલતો હતો. ધોળકીયા સ્કૂલ નજીક આવેલી આશરે 2500 વાર જમીનના સોદા બાદ હાર્દિકના પરિવારને નક્કી કરાયેલો ભાગ મળ્યો ન હોવાનો આક્ષેપ હતો. અનેક બેઠકો અને સમાધાનના પ્રયાસો છતાં મામલો ઉકેલાયો નહોતો. પખવાડિયા અગાઉ પણ બંને પક્ષ વચ્ચે બેઠક મળી હતી, પરંતુ પરિણામ ન આવતાં હાર્દિક પૈસાની માંગણી કરવા રાજેશભાઈના ઘરે ગયો હતો અને ત્યારબાદ ઝઘડો જીવલેણ બન્યો હતો.
ડબલ મર્ડરની ઘટનાની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરી, પીઆઈ સી.એન. દવે સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરી આગળની તપાસ હાથ ધરી છે.
સાત વર્ષની અદાવતે બે પરિવાર ઉજાડી નાખ્યા
જમીનના સેટલમેન્ટ બાદ ભાગના પૈસા ન મળ્યાનો વિવાદ છેલ્લા સાત વર્ષથી ચાલી રહ્યો હતો. અનેક વખત સમાધાનના પ્રયાસો અને બેઠકો છતાં ઉકેલ ન આવતા આખરે આ વિવાદે બે સગા ભાઈઓનો જીવ લઈ લીધો.
બંને મૃતક પાછળ છ સંતાનો નિરાધાર બન્યા
મૃતક સુરેશભાઈ ધોળકીયાને બે પુત્રો છે, જ્યારે રાજેશભાઈને બે પુત્ર અને બે પુત્રીઓ છે. એક જ પરિવારના બે કમાઉ ભાઈઓના મોતથી કુલ છ સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
સામસામે નોંધાયા ગંભીર ગુના
લાખાભાઈ ધોળકીયાની ફરિયાદ પરથી હાર્દિક સામે ડબલ મર્ડરનો ગુનો નોંધાયો છે. જ્યારે હાર્દિકની ફરિયાદ પરથી મૃતક સુરેશભાઈ, રાજેશભાઈ, લાખાભાઈ અને શીવા ડોંડા સામે હત્યાની કોશિશનો ગુનો નોંધાતા કેસ વધુ જટિલ બન્યો છે.
આરોપી પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ
હુમલા દરમિયાન વળતા પ્રતિકારમાં હાર્દિક ધોળકીયાને પણ છરી અને લોખંડના પાઇપના ઘા વાગ્યા હતા. હાલ તે ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાથી પોલીસ તેની તબિયત સ્થિર થયા બાદ વધુ પૂછપરછ કરશે.
મોડી રાત્રે પોલીસનો કાફલો દોડી આવ્યો
ઘટનાની જાણ થતાં ડીસીપી રાકેશ દેસાઈ, એસીપી બી.જે. ચૌધરી, પીઆઈ સી.એન. દવે સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક પુરાવા એકત્ર કરી બંને ફરિયાદોના આધારે સમગ્ર ઘટનાક્રમની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.


