ભગવતીપરામાં પ્રેમલગ્નના પાંચ મહિનામાં જ નવોઢાએ સાસરિયાઓના ત્રાસથી જીવન ટૂંકાયું
સાસુ-નણંદના મેણાં, પતિની મારઝૂડ અને ‘મરી જશે તો અમારા ઘરમાં જગ્યા થશે’ જેવા અપમાનજનક શબ્દોથી કંટાળી પરિણીતાએ ગળાફાંસો ખાધો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં સાસરિયાના માનસિક અને શારીરિક ત્રાસનો વધુ એક કરુણ બનાવ સામે આવ્યો છે. ભગવતીપરા વિસ્તારમાં રહેતી 25 વર્ષીય નવોઢાએ પતિ, સાસુ અને નણંદના સતત અપમાન, કંકાસ અને મારઝૂડથી કંટાળી પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાને લઈને મૃતકના પિતાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણા આપ્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ મોચી બજાર વિસ્તારના ચામડીયા ખાટકીવાડમાં રહેતા રિક્ષાચાલક મહમદભાઈ દાઉદભાઈ તરકવાડિયાની પુત્રી રૂમાનાએ લગભગ એક વર્ષ પહેલાં સલીમ ઇબ્રાહિમ બાવનકા સાથે મિત્રતા કરી હતી. બંને લગ્ન કરવા ઇચ્છતા હોવાથી પરિવારની સંમતિથી 8 ફેબ્રુઆરી, 2026ના રોજ તેમના લગ્ન કરાવવામાં આવ્યા હતા. લગ્ન બાદ રૂમાના ભગવતીપરા સ્થિત સાસરિયામાં રહેવા ગઈ હતી.
પરંતુ લગ્નજીવનના થોડા જ મહિનાઓમાં ઘરકામ જેવી સામાન્ય બાબતોને લઈને સાસુ શરીફાબેન અને નણંદ અફસાનાબેન સતત મેણાં-ટોણાં મારવા લાગ્યા હતા. રૂમાના આ અંગે પતિ સલીમને ફરિયાદ કરતી તો તે પત્નીને જ ચૂપ રહેવા કહેતો અને ઘણી વખત મારઝૂડ પણ કરતો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
મૃતકના પિતાના જણાવ્યા મુજબ રૂમાના પિયર આવતી ત્યારે વારંવાર સાસરિયામાં સહન કરવો પડતો ત્રાસ વર્ણવતી હતી. પાડોશી મહિલાઓને પણ તેણીએ કહ્યું હતું કે, માતા-પિતા વૃદ્ધ હોવાથી તેમને દુઃખ ન પહોંચે તે માટે બધું સહન કરે છે, પરંતુ જો આ રીતે ત્રાસ ચાલુ રહેશે તો પોતે જીવતું નહીં રહે.
બે-ત્રણ દિવસ પહેલાં રૂમાનાએ પિતાને ફોન કરીને તરત જ સાસરેથી લઈ જવાની વિનંતી કરી હતી. ત્યારબાદ માતા-પિતા તેને તેડવા માટે સાસરિયામાં પહોંચ્યા હતા. ત્યારે દીકરીને સાથે મોકલવાની વાત કરતાં સાસુએ તેને ઘરકામ આવડતું નથી કહી અપમાનિત કરી હતી. જ્યારે નણંદે તો કથિત રીતે કહી દીધું હતું કે, “તમારી દીકરી મરી જશે તો અમારા ઘરમાં જગ્યા થશે.” આ શબ્દો રૂમાનાના મન પર ભારે અસર કરી ગયા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આ દરમિયાન પતિ સલીમે સસરાને ધક્કો મારી ઘરની બહાર કાઢી દરવાજો બંધ કરી દીધો હતો. પરિણામે માતા-પિતાને દીકરીને લીધા વિના પરત ફરવું પડ્યું.
ઘટનાના દિવસે બપોરે મૃતકના પિતાને ફોન કરીને જાણ કરવામાં આવી હતી કે રૂમાનાએ ઘરના ઉપરના રૂમમાં ગળાફાંસો ખાઈ લીધો છે અને તેને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે. પરિવારજનો હોસ્પિટલ પહોંચ્યા ત્યારે રૂમાનાનું મૃત્યુ થઈ ચૂક્યું હતું.
આ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈ મૃતકના પિતા મહમદભાઈ તરકવાડિયાની ફરિયાદના આધારે બી-ડિવિઝન પોલીસે પતિ સલીમ ઇબ્રાહિમ બાવનકા, સાસુ શરીફાબેન બાવનકા અને નણંદ અફસાનાબેન બાવનકા વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાના ગુનામાં કેસ નોંધ્યો છે. પોલીસે આરોપીઓને કાયદાની જાળમાં લેવા તેમજ સમગ્ર ઘટનાની હકીકત બહાર લાવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


