કોર્પોરેટરને ફીલ્ડમાં ઉતારાયા
મેયરનો પાવર, નગરસેવકો દોડતા થયા ૧૮ વોર્ડમાં વોંકળા સફાઈનું નિરીક્ષણ
તમામ કોર્પોરેટરોએ પોત-પોતાના મતક્ષેત્રમાં આવતા નાળા-વોકળાની સફાઈની સમીક્ષા કરી, લોકોના સુચનો ઘ્યાને લઈ તાકિદે કામગીરી કરવા અધિકારીઓને સૂચના
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને મહાનગરપાલિકા દ્વારા પ્રિ-મોન્સુન કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. મેયર નેહલ શુકલએ બધા અધિકારીઓને પ્રિ-મોન્સુન કામગીરીને પ્રાથમિકતા આપવા અને તેને સમયસર પૂર્ણ કરવા કડક સૂચના આપી છે. સાથે જ આ કામગીરી સમયે હાજર રહેવા કોર્પોરેટરોને પણ આદેશ કરવામાં આવ્યો હતો. જેને લઈ આજે તમામ વોર્ડમાં સવારથી જ પ્રિમોન્સૂન કામગીરી સમયે લોકો હાજર રહ્યા હતા. અને ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા ઓછી થવાની શક્યતા વ્યક્ત કરાઈ હતી.
રાજકોટના બધા 18 વોર્ડના કોર્પોરેટરો પોતપોતાના વિસ્તારોમાં પ્રિ-મોન્સુન અને વોંકળા સફાઈની કામગીરીનું જાત-નિરીક્ષણ કરવા માટે નીકળ્યા હતા. મનપાના શાસકો દ્વારા આ વખતે સોલીડ વેસ્ટ વિભાગની કામગીરીનું વાસ્તવિક ‘વેરીફીકેશન’ કરવાની મહત્વની જવાબદારી જે-તે વોર્ડના કોર્પોરેટરોને સોંપવામાં આવી છે, જેથી ચોમાસા દરમિયાન શહેરમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યાઓથી નાગરિકોને બચાવી શકાય. મનપાના સત્તાવાર આંકડાઓ અનુસાર, શહેરમાં આવેલા કુલ 63 વોંકળામાંથી અત્યાર સુધીમાં 49 વોંકળાની સફાઇ સંપૂર્ણપણે પૂર્ણ કરી લેવામાં આવી છે અને બાકી રહેલા વોંકળાની કામગીરી હાલ પ્રગતિ હેઠળ છે. આ સ્થળ મુલાકાત દરમિયાન જે કોઈ પણ વિસ્તારમાં કામગીરીમાં ઢીલાશ, ક્ષતિ કે બેદરકારી સામે આવી ત્યાં કોર્પોરેટરો દ્વારા સ્થળ પર જ અધિકારીઓને કામ ઝડપી બનાવવા અને જરૂરી સુધારા કરવા કડક આદેશો આપવામાં આવ્યા હતાં.
મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, કોર્પોરેશન દ્વારા દર વર્ષે પ્રી-મોન્સૂન કામગીરી કરવામાં આવતી હોય છે, પરંતુ તેમ છતાં પણ વરસાદ દરમિયાન ક્યાંક ને ક્યાંક પાણી ભરાવવાની સમસ્યાઓ સામે આવતી હોય છે. રાજકોટ શહેરમાં આશરે 54,000 જેટલા મેનહોલ અને 63 જેટલા વોંકળા આવેલા છે. અધિકારીઓના રિપોર્ટ મુજબ, અત્યાર સુધીમાં 50,000 જેટલા મેનહોલની સફાઈ પૂર્ણ કરી લેવામાં આવી છે. પ્રી-મોન્સૂન કામગીરી માટે દર વર્ષે 15 જૂનની ડેડલાઈન રાખવામાં આવતી હોય છે, પરંતુ હવે ચોમાસાની સ્થિતિ બદલાતી હોવાથી આગામી સમયથી આ ડેડલાઈન 15 જૂનને બદલે 20 મે રાખવા માટેની સૂચના પણ આપવામાં આવી છે.
વધુમાં ડો. નેહલ શુક્લએ જણાવ્યું કે, અતિવૃષ્ટિ જેવી સ્થિતિમાં વોંકળાની આસપાસ રહેતા લોકોને મુશ્કેલી ન પડે તે માટે તમામ 18 વોર્ડના કોર્પોરેટરોને આજે સવારે પોતપોતાના વિસ્તારમાં આવેલા વોંકળાઓની રૂબરૂ મુલાકાત લઈ સફાઈનું નિરીક્ષણ કરવા આદેશ અપાયા હતા. સ્થળ નિરીક્ષણ દરમિયાન કોર્પોરેટરો દ્વારા જે પણ સૂચનો આપવામાં આવે, તેને તાત્કાલિક પૂર્ણ કરવા તંત્રને કડક આદેશ કરવામાં આવ્યા છે. અમુક વિસ્તારોમાંથી કોર્પોરેટરોના ફોન દ્વારા મુશ્કેલીઓની રજૂઆતો પણ મળી છે, જેને ધ્યાને રાખીને તંત્રને અટકેલી સફાઈ કામગીરી યુદ્ધના ધોરણે પૂર્ણ કરવા જણાવાયું છે.


