મોલેક્યુલર જિનોમિક તબીબી વિજ્ઞાનમાં પરિવર્તન લાવશે: નિષ્ણાંત
રાજકોટ એઈમ્સમાં NGS વર્કશોપમાં તબીબી ક્ષેત્રના નિષ્ણાંતો દ્વારા આરોગ્ય વિષયક માર્ગદર્શન અપાયું: આવતીકાલે સેમીનારનું સમાપન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સ્થિત ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (AIIMS) ખાતે આરોગ્ય અને સંશોધન ક્ષેત્રે એક અત્યંત મહત્વપૂર્ણ સિદ્ધિરૂપ ચાર દિવસીય રાષ્ટ્રીય હેન્ડ્સ-ઓન વર્કશોપનો પ્રારંભ થયો છે. AIIMS રાજકોટના વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરી (VRDL) તેમજ ક્લિનિકલ માઇક્રોબાયોલોજી અને ઇન્ફેક્શિયસ ડિસીઝ વિભાગ દ્વારા ઇન્ડિયન સોસાયટી ઓફ ક્લિનિકલ વાયરોલોજી (ISCV)ના સહયોગથી “ક્લિનિકલ વાયરોલોજીમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ (NGS) અને બાયોઇન્ફોર્મેટિક્સ” વિષય પર આ ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
25થી 28 જુલાઈ, 2026 દરમિયાન યોજાઈ રહેલા આ રાષ્ટ્રીય કક્ષાના તાલીમ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં ચેપી રોગોના જિનોમિક સર્વેલન્સ, ઝડપી નિદાન અને રોગચાળા સામેની પૂર્વ તૈયારીઓને એક નવી ઊંચાઈ પર લઈ જવાનો છે.
આ વર્કશોપનું વિધિવત ઉદ્ઘાટન AIIMS રાજકોટના કાર્યકારી નિયામક ડૉ. એલ. એન. દોરાયરાજનના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ડૉ. દોરાયરાજને જણાવ્યું હતું કે, વર્તમાન યુગમાં નેક્સ્ટ જનરેશન સિક્વેન્સિંગ અને મોલેક્યુલર જિનોમિક ટેક્નોલોજી આધુનિક તબીબી વિજ્ઞાન અને જાહેર આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી રહી છે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, માત્ર નવી ટેક્નોલોજી વસાવવાથી કામ પૂરું નથી થતું, પરંતુ તેનો ક્લિનિકલ પ્રેક્ટિસ, સંશોધન અને દર્દીઓની સુવિધા માટે પ્રત્યક્ષ ઉપયોગ થઈ શકે તે માટે દેશમાં કુશળ અને તાલીમબદ્ધ માનવસંસાધન તૈયાર કરવું અત્યંત આવશ્યક છે.
આ રાષ્ટ્રીય વર્કશોપ માટે દેશભરના મેડિકલ અને સાયન્ટિફિક સમુદાય તરફથી અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. એક અત્યંત સ્પર્ધાત્મક પસંદગી પ્રક્રિયા બાદ દેશની અગ્રણી મેડિકલ કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, સંશોધન કેન્દ્રો અને વાયરલ રિસર્ચ એન્ડ ડાયગ્નોસ્ટિક લેબોરેટરીઓ (VRDLs)માંથી 25 થી વધુ નિષ્ણાતો અને વૈજ્ઞાનિકોની આ તાલીમ માટે પસંદગી કરવામાં આવી છે.
ગુજરાત, મહારાષ્ટ્ર, તમિલનાડુ, રાજસ્થાન, આંધ્ર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, આસામ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર તેમજ આંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ સહિત દેશના ખૂણે-ખૂણેથી આવ્યા છે. આટલી વિશાળ પ્રાદેશિક વિવિધતા ધરાવતા નિષ્ણાતોને તાલીમ આપવાથી સમગ્ર દેશના હેલ્થકેર નેટવર્કને ગુણાત્મક બળ મળશે.
કાર્યક્રમ દરમિયાન ડૉ. (કર્નલ) અશ્વિની અગ્રવાલે જણાવ્યું હતું કે, જિનોમિક સિક્વેન્સિંગ એ વર્તમાન અને ભવિષ્યની ક્લિનિકલ વાયરોલોજીનું સૌથી મુખ્ય પાસું છે. વાયરસના ઉત્ક્રાંતિ અભ્યાસ, નવા ઉભરતા ચેપી રોગોના જિનોમિક સર્વેલન્સ અને રોગચાળાની ઝડપી તપાસ માટે આ ટેક્નોલોજી અનિવાર્ય છે. AIIMS રાજકોટ ખાતે આયોજિત આ હેન્ડ્સ-ઓન તાલીમ દેશભરની પ્રયોગશાળાઓની ક્ષમતામાં મોટો સુધારો લાવશે.
આ વર્કશોપનું સંકલન ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. અભિષેક પાઘી દ્વારા કરવામાં આવી રહ્યું છે. તેઓને જોઇન્ટ ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી ડૉ. અનિલ ચૌધરી, ટ્રેઝરર ડૉ. મયુરી ભિસે તેમજ વિભાગના તમામ ફેકલ્ટી સભ્યો, રેસિડન્ટ ડોક્ટર્સ અને ટેક્નિકલ સ્ટાફનો પૂર્ણ સહયોગ મળી રહ્યો છે.
આ ચાર દિવસીય વર્કશોપનો સમાપન સમારોહ 28 જુલાઈ, 2026 ના રોજ યોજાનાર “4th National CME on World Hepatitis Day” સાથે થશે. આ અંતિમ સત્રમાં દેશના અગ્રણી વિજ્ઞાનીઓ અને આરોગ્ય નિષ્ણાતો એકત્ર થઈને વાયરલ હેપેટાઇટિસ તથા જિનોમિક મેડિસિન ક્ષેત્રે થયેલા તાજેતરના વૈજ્ઞાનિક વિકાસ અને સારવારની પદ્ધતિઓ અંગે માર્ગદર્શન પૂરું પાડશે.


