મોરબી રોડની કરોડોની જમીન મામલે કરાર પાલનનો દાવો અદાલતે રદ કર્યો
સમય મર્યાદા બહાર દાખલ થયેલ દાવા પર કોર્ટે આપ્યો નિર્ણય : પ્રતિવાદી તરફની દલીલો માન્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં મોરબી રોડ ઉપર આવેલી કિંમતી ખેતીની જમીન સંબંધિત કરારના વિશિષ્ટ પાલન મુદ્દે દાખલ થયેલો દાવો અદાલતે રદ કરી દીધો છે. રાજકોટની એડિશનલ સિવિલ કોર્ટ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સમય મર્યાદા (લિમિટેશન) બહાર દાખલ થયેલ દાવાને ધ્યાને લઈ વાદી પક્ષને રાહત આપવામાં આવી નથી.
આ કેસમાં વાદી મુકેશભાઈ બાબુભાઈ શિરોયા સહિતના અરજદારોએ પ્રતિવાદી દિનેશભાઈ સોમાભાઈ ઉકેડીયાના વારસદાર અલ્પાબેન ઉકેડીયા વિરુદ્ધ કરારના વિશિષ્ટ પાલન માટે આર.સી.એસ. નંબર 239/2024 તરીકે દાવો દાખલ કર્યો હતો. વાદી પક્ષે દલીલ કરી હતી કે, તેમના અને મૂળ પ્રતિવાદી દિનેશભાઈ વચ્ચે જમીન અંગે સાટાખત (એગ્રીમેન્ટ ટુ સેલ) થયેલ હતો.
કરાર મુજબ, રાજકોટના મોરબી રોડ ઉપર આવેલી જમીનનો કુલ સોદો રૂ. 10 લાખમાં નક્કી થયો હતો, જેમાંથી રૂ. 6 લાખ વાદીએ ચૂકવ્યા હતા અને બાકી રહેલા રૂ. 4 લાખ પ્રતિવાદીએ કરારની શરતો પૂર્ણ કર્યા બાદ ચૂકવવાના હતા. આ શરતોમાં જમીન બિનખેતીમાં રૂપાંતરિત કરવી, બોજામુક્ત બનાવવી તથા પરિવારજનોનો કન્સેન્ટ એગ્રીમેન્ટ તૈયાર કરવો સમાવેશ થતો હતો.
વાદી પક્ષનું કહેવું હતું કે પ્રતિવાદીએ આ શરતો પૂર્ણ કરી નહોતી અને કરારની સમયમર્યાદા વધાર્યા છતાં જવાબદારી નિભાવવામાં નિષ્ફળ રહ્યા હતા. આ દરમિયાન મૂળ પ્રતિવાદી દિનેશભાઈનું અવસાન થઈ ગયું હતું અને તેમના વારસદારો જમીન અન્યને વેચવાના પ્રયાસો કરી રહ્યા હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા.
તેથી વાદીએ વર્ષ 2023માં નોટિસ પાઠવી અને ત્યારબાદ 24 સપ્ટેમ્બર 2024ના રોજ અદાલતમાં દાવો દાખલ કર્યો હતો. જોકે પ્રતિવાદી પક્ષના વકીલ મિતરાજસિંહ એ. જાડેજાએ દલીલ કરી હતી કે આ દાવો કાયદેસરની સમય મર્યાદા બહારનો છે. તેમના જણાવ્યા મુજબ, કરારની મુદત પૂર્ણ થયા બાદ ત્રણ વર્ષની અંદર દાવો દાખલ થવો જરૂરી હતો, જે અહીં કરવામાં આવ્યો નથી.
અદાલતે પ્રતિવાદી પક્ષની દલીલો તથા ઉચ્ચ અદાલતોના ચુકાદાઓને ધ્યાનમાં લઈને નિષ્ણાત રીતે વિચારણા કરી હતી. અંતે, સીપીસી ઓર્ડર 7 રૂલ 11(ડી) હેઠળ દાવો સમય મર્યાદા બહારનો ગણાવી રદ કરવાનો હુકમ કર્યો હતો.
આ કેસમાં પ્રતિવાદી તરફથી મિતરાજસિંહ એ. જાડેજા, જયરાજસિંહ કે. ગોહિલ, રાજવિરસિંહ પી. ઝાલા, અશોક જી. વાઘેલા સહિતના વકીલોએ મજબૂત દલીલો રજૂ કરી હતી, જેને અદાલતે માન્ય રાખી આ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ નિર્ણયથી જમીન સોદા અને કરાર પાલન સંબંધિત કેસોમાં સમય મર્યાદાનું મહત્વ ફરી એકવાર સ્પષ્ટ થયું છે.


