રાજુ દવે, શિતલ દવે, વિજય જોશી, લોપા મુદ્રા, આશિષ વ્યાસ, સ્વાતિ પાઠક, કલ્પનાબેન મહેતા અને દિવ્યેશ દવેની નિમણુંકને પરિવારવાદ કહેવાય કે નહી? સંઘને સવાલ
સૌરાષ્ટ્ર યુનિ.માં પોતાના પરિવારના લાગતા વળગતા લોકોને નોકરી આપવાના સંઘના સ્થાનિક અગ્રણી નરેન્દ્રભાઇ દવે વગેરે પર આક્ષેપો થઇ રહ્યા છે. કોંગ્રેસના પ્રવકતા રોહિતસિંહ રાજપૂતે સંઘના વડા મોહન ભાગવતને વધુ એક પત્ર પાઠવી નરેન્દ્ર દવે પર પરિવારવાદના આક્ષેપ કર્યા છે.
તેમણે આ પત્રમાં જણાવ્યું છે કે રાજુ દવે, શિતલ દવે, વિજય જોશી, લોપા મુદ્રા, આશિષ વ્યાસ, સ્વાતિ પાઠક, કલ્પનાબેન મહેતા અને દિવ્યેશ દવેની નિમણુંકને પરિવારવાદ કહેવાય કે નહી? રોહિતસિંહ રાજપૂત દ્વારા રાજકોટ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા નરેન્દ્ર દવે સહિતના સંઘ અગ્રણીઓ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને પરિવારની પેઢીમાં પલ્ટી નાખ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે સંઘના વડાને એક બાદ એક પત્ર પાઠવી વિગતોના ખુલાસા પુછયા છે.
જો કે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સ્થાનિક વડા અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું સંકલન સંભાળતા નરેન્દ્ર દવેએ આ અંગે કોઇ ખુલાસા કરવાનું જરૂરી માન્યુ નથી. આટલા ગંભીર આક્ષેપો વચ્ચે તેમણે કોઇ ખુલાસા કર્યા નથી. તેથી રોહિતસિંહ રાજપૂતના આક્ષેપો અંગે યુનિવર્સિટીમાં ખૂબ જ ચર્ચાઓ શરૂ થઇ ગઇ છે. યુનિ.માં સંઘ અને ભાજપના જુદા-જુદા જુથ છે અને કેટલાક જુથ જાહેરમાં નથી. આવતા પરંતુ નરેન્દ્ર દવેની પરિવારવાદની સ્ટાઇલને છાના ખૂણે વખોડી રહ્યા છે. નજીકના દિવસોમાં જ આ અંગે મોટા કડાકા-ભડાકા થવાની પણ શકયતા જોવામાં આવે છે.


