વિરનગર હત્યા કેસમાં એક આરોપીને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન
ચાર્જશીટ દાખલ થઈ કેસ ટ્રાયલ પર પહોંચતાં ગુજરાત હાઈકોર્ટનો આદેશ; મૃતકના અપહરણ અને હત્યાના ગુનામાં ત્રણ આરોપીઓ સામે કાર્યવાહી ચાલુ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લાના વિરનગર ગામની સીમમાં કાઠી યુવાનની હત્યાના ચર્ચાસ્પદ કેસમાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ આદેશ આપ્યો છે. કેસના આરોપી અજય મંગળુભાઈ ભોજકને શરતી જામીન પર મુક્ત કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. કેસની ચાર્જશીટ દાખલ થઈ ગઈ હોવાથી અને ટ્રાયલ શરૂ થવાની સ્થિતિમાં હોવાથી હાઈકોર્ટે કેસની પરિસ્થિતિ તથા બંને પક્ષોની દલીલોને ધ્યાનમાં રાખીને આ રાહત આપી હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ, મૃતક લાલજીભાઈના ભાઈ ધર્મેશભાઈ ધીરૂભાઈ મકવાણાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે 19 ઓગસ્ટ, 2025ના રોજ લાલજીભાઈએ ફોન કરી રૂ.20 હજાર ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું. ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ થઈ ગયો હતો અને પરિવારજનોએ શોધખોળ છતાં કોઈ ભાળ ન મળતા ગુમ થયાની નોંધ કરાવી હતી. થોડા દિવસો બાદ જસદણ પોલીસે અજાણી લાશના ફોટોગ્રાફ બતાવતા પરિવારજનોએ મૃતદેહની ઓળખ લાલજીભાઈ તરીકે કરી હતી. તપાસમાં જાણવા મળ્યું કે વિરનગર ગામની સીમમાં કનેસરા નજીકના જૂના ડુંગર વિસ્તારમાં મૃતદેહ મળી આવ્યો હતો. ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આરોપીઓ લાલજીભાઈને મોટરસાયકલ પર બેસાડી લઈ ગયા હતા અને ત્યારબાદ તેમની હત્યા કરવામાં આવી હતી. મૃતકના પરિવારનો દાવો છે કે અગાઉ લેવાયેલા રૂ.90 હજારની ઉઘરાણીના વિવાદને લઈને આરોપીઓ સતત દબાણ અને ધમકીઓ આપતા હતા, જેના કારણે આ હત્યા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
આટકોટ પોલીસે આ મામલે ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આલ્કુભાઈ અમરૂભાઈ જેબલિયા, અજય મંગળુભાઈ ભોજક અને સિદ્ધરાજભાઈ આલ્કુભાઈ ગીડાની ધરપકડ કરી હતી. ત્યારબાદ આરોપી અજય ભોજકે હાઈકોર્ટમાં નિયમિત જામીન માટે અરજી કરી હતી.
કેસમાં તપાસ પૂર્ણ કરીને ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે અને હવે ટ્રાયલ શરૂ થવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ સંજોગોમાં કેસના દસ્તાવેજો, તપાસની સ્થિતિ અને બચાવ પક્ષની દલીલોને ધ્યાનમાં રાખી ગુજરાત હાઈકોર્ટે અજય મંગળુભાઈ ભોજકને નિર્ધારિત શરતો સાથે જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે.
આરોપી તરફથી ગુજરાત હાઈકોર્ટમાં સિનિયર એડવોકેટ નિરૂપમ નાણાવટીની આગેવાની હેઠળ રાજકોટના એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, મિલન જોષી, ખોડુભા સાકરિયા, જયવીર બારૈયા, ધવલ પુરોહિત, રવિરાજસિંહ જાડેજા, જયપાલસિંહ સોલંકી, યશ ખેર, જય અકબરી અને સહદેવસિંહ રાઠોડ સહિતની વકીલોની ટીમે રજૂઆત કરી હતી.


