પાસપોર્ટ નાગરિકતા સાબિત કરવાનો પૂરાવો નથી : સરકારની સ્પષ્ટતા
માત્ર મુસાફરી માટેનો એક મહત્વનો પ્રવાસ દસ્તાવેજ : વિદેશ મંત્રાલય
અગ્ર ગુજરાત, રાજકોટ
વિદેશ મંત્રાલય (MEA) દ્વારા દેશમાં પાસપોર્ટ સેવાઓ અને ભારતીયોની વૈશ્વિક મુસાફરીને લઈને કેટલાક ખૂબ જ મહત્વના અપડેટ્સ આપવામાં આવ્યા છે. મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે પાસપોર્ટ એ તમારી નાગરિકતા સાબિત કરવાનો પુરાવો નથી, પરંતુ વિદેશ મુસાફરી માટેનો એક મહત્વનો પ્રવાસ દસ્તાવેજ છે.
આ ઉપરાંત, ભારતીયો માટે દુનિયાભરમાં મુસાફરી હવે વધુ આસાન બની ગઈ છે, કારણ કે હવે 27 દેશોમાં ભારતીયોને વિઝા વગર (વિઝા-ફ્રી) એન્ટ્રી મળી રહી છે. સરકારે પાસપોર્ટ કઢાવવાની પ્રક્રિયા પણ એટલી સરળ અને પારદર્શક બનાવી દીધી છે કે પોલીસ વેરિફિકેશનનો સમય બાદ કરતા માત્ર 6 જ દિવસમાં પાસપોર્ટ તૈયાર થઈ જાય છે.
વિદેશ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર, વર્ષ 2025 માં મંત્રાલયે કુલ 15 મિલિયન પાસપોર્ટ અને તેને લગતી સેવાઓ પૂરી પાડી હતી. આશ્ચર્યની વાત એ છે કે આમાંથી 13.9 મિલિયન તો માત્ર પાસપોર્ટ જ ઇશ્યૂ કરવામાં આવ્યા હતા. કામગીરી એટલી ઝડપી બની છે કે પાસપોર્ટ સેવા કેન્દ્રો (PSKs) અને પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો (POPSKs) પર અરજદારોનો સરેરાશ વેઇટિંગ સમય ઘટીને 45 મિનિટથી પણ ઓછો થઈ ગયો છે. 10 વર્ષ પહેલાં દેશમાં માત્ર 77 પાસપોર્ટ કેન્દ્રો હતા, જે આજે 6 ગણા વધીને 545 સુધી પહોંચી ગયા છે.
મંત્રાલયે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, લોકોની સુવિધા માટે ગયા વર્ષે 10 નવા પોસ્ટ ઓફિસ પાસપોર્ટ સેવા કેન્દ્રો ખોલવામાં આવ્યા હતા અને આ વર્ષે વધુ 10 નવા કેન્દ્રો ખુલવા જઈ રહ્યા છે. દુનિયાભરમાં ભારતીય પાસપોર્ટની તાકાત સતત વધી રહી છે. વર્ષ 2019 માં ભારતીય નાગરિકોને માત્ર 16 દેશોમાં વિઝા-મુક્ત (વિઝા-ફ્રી) પ્રવેશ મળતો હતો, જે સંખ્યા હવે વધીને 27 દેશોની થઈ ગઈ છે. આ સિવાય, 47 દેશો એવા છે જે ભારતીયોને ‘વિઝા-ઓન-અરાઇવલ’ (એરપોર્ટ પર પહોંચ્યા પછી વિઝા) ની સુવિધા આપે છે, જ્યારે 66 દેશો ઈ-વિઝા ઓફર કરે છે.
વિદેશી મુસાફરીને વધુ સરળ બનાવવા માટે સરકારે યુરોપિયન દેશો સાથે ખાસ ‘મોબિલિટી કરારો’ કર્યા છે. વિદેશ મંત્રાલયના અધિકારીએ જણાવ્યું કે, આ કરારોને કારણે વિદેશમાં ભણવા જતા વિદ્યાર્થીઓ, શિક્ષકો, તાલીમાર્થીઓ, સામાન્ય પ્રવાસીઓ અને વેપારીઓ માટે ત્યાં જવું અને રહેવું ખૂબ જ સરળ બની ગયું છે. સાથોસાથ, જે લોકો ગેરકાયદેસર રીતે ત્યાં વસવાટ કરી રહ્યા છે, તેમને સુરક્ષિત રીતે સ્વદેશ પરત લાવવા માટે પણ એક વ્યવસ્થિત અને સરળ સિસ્ટમ ઊભી કરવામાં આ કરારો મદદરૂપ સાબિત થઈ રહ્યા છે.


