અગાઉના હથિયાર કેસમાં ફરાર આરોપી 4 હથિયાર સાથે ઝડપાયો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી: દેશી બનાવટની 2 પિસ્ટલ અને 2 તમંચા મળી કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે; અગાઉના 4 સહિત કુલ 8 હથિયાર ઝડપાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં ગેરકાયદેસર હથિયારો ધરાવતા શખ્સો સામે પોલીસ દ્વારા કાર્યવાહી તેજ કરવામાં આવી છે. દરમિયાન રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે અગાઉ હથિયારના ગુનામાં પકડવાનો બાકી રહેલા આરોપીને વધુ ચાર ગેરકાયદેસર હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. આરોપી પાસેથી દેશી બનાવટની બે પિસ્ટલ અને બે તમંચા મળી કુલ ચાર હથિયાર કબજે કરવામાં આવ્યા છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, અધિક પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, નાયબ પોલીસ કમિશનર (ક્રાઇમ) જગદીશ બાંગરવા તથા મદદનીશ પોલીસ કમિશનર (ક્રાઇમ) ભરત બી. બસિયાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા ગેરકાયદેસર હથિયારો શોધવા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તા.17 ઓગસ્ટના રોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એન. પરમાર તથા સ્ટાફ પેટ્રોલિંગમાં હતા ત્યારે પોલીસ હેડ કોન્સ્ટેબલ જયદેવસિંહ પરમાર, હરસુખભાઇ સબાડ અને મોહિલરાજસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે અગાઉ ડી.સી.બી. પોલીસ સ્ટેશનના હથિયારના ગુનામાં પકડવાનો બાકી આરોપી ધીરાભાઇ મોહનભાઇ કુકડીયા રાજકોટ તરફ આવી રહ્યો છે.
બાતમીના આધારે પોલીસે માલિયાસણ ચોકડીથી સોખડા ચોકડી તરફ જતા માર્ગ પર વોચ ગોઠવી આરોપી ધીરાભાઇ મોહનભાઇ કુકડીયા (ઉ.વ.40, રહે. ગરાંભડી ગામ, તા. સાયલા, જિ. સુરેન્દ્રનગર)ને ઝડપી પાડ્યો હતો. તેની તલાશી લેતા દેશી બનાવટની બે પિસ્ટલ અને બે દેશી બનાવટના તમંચા મળી આવ્યા હતા.
પોલીસે આરોપી પાસેથી રૂ.50 હજારની કિંમતની બે દેશી બનાવટની પિસ્ટલ તથા રૂ.30 હજારની કિંમતના બે દેશી બનાવટના તમંચા મળી કુલ રૂ.80 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી બાદ અગાઉના ગુનામાં ઝડપાયેલા ચાર હથિયારો અને હાલના ચાર હથિયારો મળી આ કેસમાં કુલ આઠ ગેરકાયદેસર હથિયારો પોલીસના હાથે આવ્યા છે. આ મામલે ડી.સી.બી. પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની કલમ 25(1-B)એ, 29, ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 223 તથા જી.પી. એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. આરોપીનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ પોલીસ ચોપડે નોંધાયેલો છે. ધજાળા પોલીસ સ્ટેશનમાં વર્ષ 2021માં IPCની કલમ 323, 504, 506(2), 114 તથા જી.પી. એક્ટ કલમ 135 હેઠળ તેની સામે ગુનો નોંધાયો હોવાનું પોલીસે જણાવ્યું છે. આ સમગ્ર કામગીરી ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરો એ.એસ. ચાવડા, એમ.એલ. ડામોર અને સી.એચ. જાદવના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એ.એન. પરમાર તથા પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.


