દુબઈમાં પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના હસ્તે સ્વતંત્રતા દિવસ નિમિત્તે ધ્વજવંદન
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતના ૮૦મા સ્વતંત્રતા દિવસના પાવન અવસરે દુબઈ ખાતે વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી ૧૦૮ વ્રજરાજકુમારજી મહોદયના પાવન સાનિધ્યમાં રાષ્ટ્રધ્વજ વંદનનો કાર્યક્રમ દેશભક્તિપૂર્ણ વાતાવરણમાં યોજાયો હતો.
આ પ્રસંગે પૂજ્યના હસ્તે ભારતના રાષ્ટ્રધ્વજ તિરંગાને ફરકાવવામાં આવ્યો અને ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગાન સાથે ભારતમાતાને વંદન કરી સ્વતંત્રતા સેનાનીઓ તથા રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપનાર મહાનુભાવોને કૃતજ્ઞતાપૂર્વક સ્મરણ કર્યા હતા.
આ વિશેષ પ્રસંગે પૂજ્ય વ્રજરાજકુમારજી મહોદયના આશીર્વચન અને પ્રેરક વચનોનું શ્રવણ કરવા માટે દુબઈ તથા આસપાસના વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં વૈષ્ણવો, ભારતીય પરિવારો અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમનો સુંદર સંગમ જોવા મળ્યો હતો.
પૂજ્યએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “સ્વતંત્રતા માત્ર આપણો અધિકાર નથી, પરંતુ રાષ્ટ્ર પ્રત્યેની આપણી જવાબદારીનું પણ સ્મરણ કરાવે છે. આપણે વિશ્વના કોઈપણ દેશમાં વસતા હોઈએ, પરંતુ ભારતની સંસ્કૃતિ, સંસ્કાર અને રાષ્ટ્રપ્રેમ હંમેશાં આપણા હૃદયમાં જીવંત રહેવા જોઈએ.”
પૂજ્યએ વિશેષરૂપે યુવા પેઢીને ભારતીય સંસ્કૃતિ સાથે જોડાયેલા રહેવા, માતૃભૂમિ પ્રત્યે ગૌરવ રાખવા તથા પોતાના કાર્ય અને આચરણ દ્વારા ભારતનું નામ વિશ્વમાં ઉજ્જવળ કરવા પ્રેરણા આપી હતી.


