શાપરમાં સાઢુના હાથે સાઢુની હત્યા : છત પરથી ફેંકી મોતને ઘાટ ઉતાર્યો
મારા પુત્રને અહીં કેમ રાખ્યો છે?, કહી ઉશ્કેરાયેલા અમરેન્દ્રસિંહે દંપતી પર હુમલો કર્યો : વચ્ચે પડેલી સાળીને પણ માર મારી માથું ફોડી નાખ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
શાપર-વેરાવળ ઔદ્યોગિક વિસ્તારમાં સાઢુ-સાઢુ વચ્ચેના પારિવારિક ઝઘડાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં એક યુવાનનો જીવ ગયો હોવાની ચકચારી ઘટના સામે આવી છે. ‘મારા પુત્રને અહીં કેમ રાખ્યો છે?’ તેવો સવાલ કરી ઉશ્કેરાયેલા એક શખ્સે તેના સાઢુ સાથે મારામારી શરૂ કરી હતી. દરમિયાન છોડાવવા વચ્ચે પડેલી સાળીને પણ આરોપીએ ધક્કો મારી નીચે પછાડી દીધી હતી અને તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારબાદ આરોપીએ સાઢુને મારતા-મારતા કારખાનાની છતની દીવાલ પાસે લઇ જઇ નીચે ફેંકી દીધો હતો. ગંભીર રીતે ઘવાયેલા 40 વર્ષીય યુવાનનું રાજકોટની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજતાં પોલીસે નોંધેલી હત્યાની કોશિશનો ગુનો હવે હત્યામાં ફેરવવાની કાર્યવાહી શરૂ કરી છે.
મળતી વિગતો મુજબ મૂળ ઉત્તરપ્રદેશના કુશીનગર જિલ્લાના વતની અને હાલ શાપરના ઉર્જા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કારખાનાની ઓરડીમાં રહેતા બ્રિજવિહારીસિંગ ધૂપનારાયણસિંગ તેમની પત્ની સંજુબેન અને બે પુત્રો સાથે રહેતા હતા. બ્રિજવિહારીસિંગ શાપર વિસ્તારમાં આવેલા શ્રીરામ ફેબ્રિકેશન કારખાનામાં મજૂરીકામ કરતા હતા, જ્યારે તેમની પત્ની સંજુબેન જનકભાઇના પુઠાના કારખાનામાં કામ કરતા હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
ગત રાત્રે આશરે સાડા દસ વાગ્યાના અરસામાં સંજુબેન પોતાના પતિ તથા બાળકો સાથે ઓરડીએ હાજર હતા. તે સમયે તેમની બહેન શીતલનો પુત્ર હિતેશસિંગ ત્યાં આવ્યો હતો અને તેના પિતા અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ઉશ્કેરાયેલા હોવાની વાત કરી હતી. હિતેશસિંગની પાછળ-પાછળ અમરેન્દ્રસિંહ પણ ત્યાં આવી પહોંચ્યો હતો.
અમરેન્દ્રસિંહે પોતાના પુત્રને અહીં કેમ રાખ્યો છે તે મુદ્દે સંજુબેન તથા બ્રિજવિહારીસિંગ સાથે બોલાચાલી શરૂ કરી હતી. વાત વણસતાં બ્રિજવિહારીસિંગે ઝઘડો કરવાની ના પાડતાં અમરેન્દ્રસિંહ વધુ ઉશ્કેરાયો હતો અને તેણે બ્રિજવિહારીસિંગ સાથે ઢીકાપાટુનો માર મારવાનું શરૂ કરી દીધું હતું.
પતિને બચાવવા માટે સંજુબેન વચ્ચે પડતાં આરોપીએ તેમને પણ જોરદાર ધક્કો મારી દીધો હતો. જેના કારણે તેઓ નીચે પટકાયા હતા અને માથામાં ઇજા થતાં લોહી વહેવા લાગ્યું હતું. બીજી તરફ અમરેન્દ્રસિંહે બ્રિજવિહારીસિંગને માર મારવાનું ચાલુ રાખ્યું હતું. મારતા-મારતા તે તેમને છતની દીવાલ નજીક લઇ ગયો હતો અને અચાનક ઉપરથી નીચે જમીન પર ફેંકી દીધા હતા. ત્યારબાદ આરોપી ઘટનાસ્થળેથી નાસી ગયો હતો.
પતિને છત પરથી નીચે ફેંકી દેવાતા સંજુબેન અને બાળકોએ રાડારાડી કરી હતી. અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા. નીચે જઇ તપાસ કરતાં બ્રિજવિહારીસિંગ બેભાન હાલતમાં પડેલા જોવા મળ્યા હતા અને તેમના માથા તથા કપાળના ભાગેથી લોહી વહી રહ્યું હતું. સંજુબેનને પણ માથામાં ઇજા થઇ હોવાથી બંનેને પતિના મિત્ર હંસરાજ પ્રસાદ સારવાર માટે શાપર સરકારી હોસ્પિટલમાં લઇ ગયા હતા.
પ્રાથમિક સારવાર બાદ બ્રિજવિહારીસિંગની હાલત ગંભીર જણાતાં તબીબોએ તેમને વધુ સારવાર માટે રાજકોટની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. બીજી તરફ બનાવની જાણ થતાં શાપર પોલીસ પણ હોસ્પિટલ ખાતે પહોંચી હતી અને સંજુબેનની ફરિયાદના આધારે અમરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વિરુદ્ધ હત્યાની કોશિશ સહિતની કલમો હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી.
દરમિયાન સારવાર હેઠળ રહેલા બ્રિજવિહારીસિંગે આજે સવારે અંતિમ શ્વાસ લેતાં સમગ્ર બનાવે હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે. બનાવની ગંભીરતા ધ્યાને લઇ શાપર પોલીસે આરોપી અમરેન્દ્રસિંહને સકંજામાં લીધો હોવાનું જાણવા મળે છે. હવે ગુનામાં હત્યાની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી આગળ ધપાવવામાં આવી રહી છે. પારિવારિક મામલે શરૂ થયેલો સામાન્ય ઝઘડો ગણતરીની મિનિટોમાં જીવલેણ બની જતાં શાપર પંથકમાં ભારે ચકચાર મચી છે.


