પ્રશ્નો પરમાત્માના અભાવનો પુરાવો નથી; પરંતુ એ તરફ જવા માટેની સીડી છે : અપૂર્વમુનિ સ્વામી
“પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?” વિષયક પ્રવચનમાં શ્રદ્ધા, જવાબદારી અને જીવનઘડતરનો ઊંડો સંદેશ
માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે માનવ ઉત્કર્ષ મહોત્સવની પૂર્ણાહુતિ
અગ્ર ગુજરાત, રાજકોટ
BAPS સ્વામિનારાયણ મંદિર, રાજકોટ દ્વારા તા. 11 થી 17 એપ્રિલ દરમિયાન રેસકોર્સ મેદાન ખાતે આયોજિત “માનવ ઉત્કર્ષ મહોત્સવ” ના પંચમ દિવસે આધ્યાત્મિકતા અને પ્રેરણાનો અનોખો માહોલ સર્જાયો હતો. આ પ્રસંગે BAPS સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત અને ગાંધીનગર અક્ષરધામના મહંત પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામીની પાવન ઉપસ્થિતિમાં કાર્યક્રમનો પ્રારંભ ભગવાનની ધૂન, પ્રાર્થના, વૈદિક પારાયણ, પૂજન વિધિ અને આરતી સાથે થયો હતો. તેમની ઉપસ્થિતિએ સમગ્ર મહોત્સવને વિશેષ પવિત્રતા અને દિવ્યતા બક્ષી હતી.
કાર્યક્રમમાં યુવાવૃંદ દ્વારા પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી સાથે પ્રેરક પ્રશ્નોત્તરી યોજાઈ હતી. આ દરમ્યાન સ્વામીએ “સુખ અને દુઃખની સાચી સમજ” વિષે માર્ગદર્શન આપતાં જણાવ્યું કે, જ્યારે જીવનમાં સાચા સુખનો અનુભવ થાય છે, ખાસ કરીને ગુરુહરીના આશીર્વાદથી, ત્યારે દુનિયાનાં અન્ય બધા સુખ નગણ્ય લાગે છે.
પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ આજના પ્રવચન “પરમાત્મા છે તો પ્રશ્નો કેમ?” માં માનવજીવનના અત્યંત જટિલ અને ચિંતનપ્રેરક વિષયને સરળ, અસરકારક અને આધ્યાત્મિક દૃષ્ટિકોણથી સમજાવ્યો હતો. તેઓએ પરમાત્માનું સ્વરૂપ, અસ્તિત્વ, સર્વવ્યાપકતા અને માનવજીવનમાં દુઃખ-પ્રશ્નોના સ્થાન પર શાસ્ત્રીય, તર્કસંગત અને અનુભૂતિ આધારિત વિચાર રજૂ કરી એ વાત પર ભાર મૂક્યો કે, પ્રશ્નો અને સંઘર્ષો માણસને દંડ આપવા માટે નથી આવતા, પરંતુ તેને વધુ મજબૂત, શુદ્ધ, જાગૃત અને જીવનમૂલ્યોમાં દૃઢ બનાવવા માટે આવે છે. જીવનની મુશ્કેલીઓને સોનાના તાપ, બાળકના ચાલતા શીખવાના પ્રયત્ન અને પતંગિયાના સંઘર્ષ જેવી ઉપમાઓથી સમજાવી, પ્રશ્નોને ઘડતરની પ્રક્રિયા તરીકે રજૂ કરવામાં આવ્યા. સમગ્ર પ્રવચન દ્વારા પૂજ્ય અપૂર્વમુનિ સ્વામીએ શ્રોતાઓને શ્રદ્ધા, સમજ, સહનશક્તિ અને જીવનપ્રત્યેની જવાબદારીનો સશક્ત સંદેશ આપ્યો હતો.
આજે માનવ ઉત્કર્ષ મહોત્સવના અંતિમ દિવસે પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી માનવને મોજમાં રહેવાના સોનેરી સૂત્રો સાથે મહોત્સવની પૂર્ણાહુતિ કરાવશે.
રાજકોટમાં પ્રથમવાર આ પ્રકારનો વિશિષ્ટ યજ્ઞ યોજાયો છે, જેમાં 48 યજ્ઞકુંડો દ્વારા દરરોજ આશરે 200 પરિવારો એકસાથે બેસીને યજ્ઞમાં આહુતિ આપે છે. BAPS સારંગપુર સંસ્કૃત મહાવિદ્યાલયના વિદ્વાન પંડિતો દ્વારા વૈદિક વિધિ શાસ્ત્રોક્ત રીતે કરાવવામાં આવે છે, જે ભક્તોને આધ્યાત્મિક શાંતિનો અનોખો અનુભવ કરાવે છે.
આ યજ્ઞનું સૌથી હૃદયસ્પર્શી દ્રશ્ય નાના બાળકોના કંઠે ગુંજતા સંસ્કૃત શ્લોકો છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના છઠ્ઠા આધ્યાત્મિક વારસદાર મહંતસ્વામી મહારાજ દ્વારા રચિત સત્સંગ દીક્ષા ગ્રંથના સંસ્કૃત શ્લોકોના પવિત્ર ગાન સાથે યજ્ઞમાં આહુતિ આપવામાં આવે છે. 3 થી 13 વર્ષની ઉંમરના લગભગ 400 બાળકો દ્વારા સત્સંગ દીક્ષાના 315 શ્લોકોનું મુખપાઠ કરવામાં આવ્યું છે, જેમાંથી દરરોજ 100 જેટલા બાળકો યજ્ઞમાં ભાગ લઈને મંત્રોચ્ચાર સાથે આહુતિ આપે છે.
આ સમગ્ર આયોજનમાં 160થી વધુ બાળ-બાલિકા કાર્યકરો સેવા આપી રહ્યા છે, જે બપોરથી સાંજ સુધી નિષ્ઠાપૂર્વક યજ્ઞની વ્યવસ્થા સંભાળે છે. સાંજે 5:30 થી 7:30 દરમિયાન યોજાતા આ યજ્ઞનો સમાપન આરતી અને પૂર્ણાહુતિ સાથે થાય છે, જે સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવે છે. આજના વ્યસ્ત અને દોડધામભર્યા જીવનમાં જ્યાં પરિવારો વચ્ચેનો સંવાદ ધીમે ધીમે ઘટતો જાય છે, ત્યાં આ પારિવારિક શાંતિ યજ્ઞ એક નવી દિશા દર્શાવે છે.


