રાજકોટને હાઈકોર્ટની બેંચ આપવા સાંસદ-ધારાસભ્ય સમક્ષ વકિલોની ધા
પરસોતમ રૂપાલા અને રમેશભાઈ ટીલાળાને આવેદન પાઠવી રજૂઆત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે ગુજરાત હાઇકોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપના માટે રાજકોટ બાર એસોસિએશન તથા રાજકોટ રેવન્યુ બાર એસોસિએશન દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ અનુસંધાને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલા તથા રાજકોટ વિધાનસભા મતવિસ્તાર-70ના ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાને રજૂઆત કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્રના મુખ્ય કેન્દ્ર તરીકે રાજકોટની ભૌગોલિક સ્થિતિ, વસ્તી અને સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના વિસ્તારોની ન્યાયિક જરૂરિયાતોને ધ્યાનમાં લેતાં રાજકોટ ખાતે હાઇકોર્ટ બેન્ચની સ્થાપના સ્થાપવાની માંગને મજબૂત આધાર પ્રાપ્ત થાય છે. હાલમાં આ વિસ્તારોના નાગરિકો, વકીલો અને સરકારી અધિકારીઓને હાઇકોર્ટની કામગીરી માટે અમદાવાદ સુધી જવું પડે છે, જેના કારણે સમય અને નાણાંનો મોટો ખર્ચ થાય છે.
રાજકોટ ખાતે હાઇકોર્ટ બેન્ચની સ્થાપના થવાથી ન્યાયિક સેવાઓ નાગરિકોની નજીક ઉપલબ્ધ બનશે તથા “ન્યાય લોકોના ઘરઆંગણે” પહોંચાડવાનો ઉદ્દેશ વધુ અસરકારક રીતે સાકાર થશે.
સાંસદ પુરુષોત્તમભાઈ રૂપાલાએ આ મુદ્દે સકારાત્મક પ્રતિસાદ આપતાં જણાવેલ કે તેઓ અગાઉ પણ રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી ચૂક્યા છે અને દિલ્હી ખાતે પણ આ મુદ્દે યોગ્ય સ્તરે રજૂઆત કરશે.
ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ પણ આ માંગ પ્રત્યે સકારાત્મક અભિગમ વ્યક્ત કરી રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવાની તથા પોતાના સ્તરે શક્ય તમામ પ્રયત્નો કરવાની ખાતરી આપી હતી.
આ રજૂઆતમાં રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખ સુમિતભાઈ વોરા, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્ય દિલીપભાઈ પટેલ, રાજકોટ રેવન્યુ બાર એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ કથીરિયા, સેક્રેટરી વિજયભાઈ તોગડિયા, તેમજ પંકજભાઈ દોંગા , મનુભાઈ ગજેરા અને વિમલભાઈ ડાંગર સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.
રાજકોટ ખાતે હાઇકોર્ટની સર્કિટ બેન્ચની સ્થાપના એ માત્ર વકીલ મંડળોની માંગ નહીં, પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારના નાગરિકોના ન્યાયિક હિત અને ન્યાય સુધી સરળ પહોંચ સાથે સંકળાયેલો મહત્વપૂર્ણ જનહિતનો પ્રશ્ન છે.


