રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટના એરોબ્રિજમાં છતમાંથી પાણી ટપક્યું
PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં ચોમાસાની શરૂઆતમાં જ ‘ભ્રષ્ટાચાર’ના દ્રશ્યો: મુસાફરો હેરાન-પરેશાન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટના હિરાસર સ્થિત નવનિર્મિત આંતરરાષ્ટ્રીય હવાઈઅડ્ડા પર તંત્રના દાવાઓની પોલ ખુલતી વધુ એક ઘટના સામે આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન અને ₹1,405 થી ₹2,654 કરોડના કુલ ખર્ચે તૈયાર થયેલા રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં ₹326 કરોડના ખર્ચે બનેલા નવસંકલિત ટર્મિનલ બિલ્ડિંગના એરોબ્રિજમાંથી વરસાદી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું છે. ચોમાસું હજુ પૂરું જામ્યું નથી ત્યાં જ નિર્માણ કાર્યમાં થયેલી લોલમલોલ અને સંભવિત ભ્રષ્ટાચારના દ્રશ્યો છતા થતાં મુસાફરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
વર્ષ 2023માં વડાપ્રધાન દ્વારા આ એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. જોકે, લોકાર્પણના 3 વર્ષ બાદ પણ આ એરપોર્ટ પરથી એક પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થઈ શકી નથી અને એરપોર્ટ માત્ર ‘નામનું જ ઇન્ટરનેશનલ’ રહી ગયું છે. એટલું જ નહીં, ભૂતકાળમાં એરપોર્ટની કેનોપી ધારાશયી થવાની તેમજ ટર્મિનલ અને લગેજ વિસ્તારમાં પાણી ટપકવાની ઘટનાઓ બની ચૂકી છે. હવે મુસાફરોને પવન, તડકો કે વરસાદથી બચાવી સીધા વિમાન સુધી પહોંચાડતા 4 એરોબ્રિજ પૈકીના એક એરોબ્રિજની છતમાંથી શુક્રવારે પાણી ટપકવા લાગતાં તંત્રની આબરૂના ધૂળ-ધોવાણ થયું છે.
રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 13 જેટલી ફ્લાઈટો ઉડાન ભરે છે, જેમાં રોજિંદા અંદાજે 5,000 જેટલા મુસાફરોની અવરજવર રહે છે. હાલમાં મુંબઈ (5 ફ્લાઇટ), નવી મુંબઈ (1 ફ્લાઇટ), દિલ્હી (4 ફ્લાઇટ), હૈદરાબાદ (1 ફ્લાઇટ), બેંગ્લોર (1 ફ્લાઇટ) અને પુણે (અઠવાડિયામાં 4 ફ્લાઇટ)ની સેવાઓ ચાલુ છે. એરોબ્રિજમાંથી પાણી ટપકવાને કારણે વિદેશી મુસાફરો, દિવ્યાંગો અને સામાન્ય પ્રવાસીઓને વિમાનમાં જવા-આવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અહીંથી પસાર થતાં પ્રવાસીઓ એરપોર્ટના નબળા બાંધકામ અને ભ્રષ્ટાચાર સામે ભારે ફિટકાર વરસાવી રહ્યા છે.


