“દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ દ્વારા સતત ૯મા વર્ષે “વહાલુડીના વિવાહ”નું જાજરમાન આયોજન
૨૨ અનાથ દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડશે : પ્રત્યેક દીકરીઓને ૩૦૦થી વધુ લાખેણો કરીયાવરરૂપી વસ્તુઓની ભેટ અપાશે
વહાલુડીના વિવાહનું ફોર્મ વિતરણ તા.૨૪ જુલાઈથી ૨૮ ઓગષ્ટ સુધી થશે : આયોજકો ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજથી અને ઘરથી તરછોડાયેલા નિરાધાર માવતરોની છેલ્લા ૨૮ વર્ષથી સેવા કરી રહેલું “દીકરાનું ઘર” વૃદ્ધાશ્રમ તેની વિવિધ સેવાકીય પ્રવૃતિથી સમગ્ર દેશ અને દેશની બહાર પ્રચલિત છે. હંમેશા નોખું-અનોખું કરવું અને સમાજને કાંઈક નવું જ આપવું એ દીકરાનું ઘરની ટીમનો મીજાજ રહયો છે. સમાજ ઉપયોગી પ્રવૃતિ એ દીકરાનું ઘરની ઓળખ બની ગઈ છે. સામાજિક, સાંસ્કૃતિક, રચનાત્મક, શૈક્ષણિક અને માનવતાવાદી પ્રવૃતિથી ધમધમતું દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ હંમેશા નોખું—અનોખું કાર્ય કરવા તૈયાર હોય છે. કુદરતી કે માનવસર્જિત આફતના સમયે “દીકરાનું ઘર” હંમેશા અગ્રેસર રહયું છે. સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે “દીકરાનું ઘર” દ્વારા સતત સેવા પ્રવૃતિ થઈ હતી. “દીકરાનું ઘર” દ્વારા ૨૦૧૮ થી માતાપિતા વિહોણી કે પિતાની છત્રછાયા ગુમાવેલ નિરાધાર, નિઃસહાય, લાચાર, અત્યંત ગરીબ પરિવારની દીકરીઓના લગ્નનો અનેરો ઉત્સવ ઉજવવામાં આવે છે. વહાલુડીના વિવાહ શીર્ષક હેઠળ યોજાતો આ લગ્નોત્સવ આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સ્વીકૃત બન્યો છે. વહાલુડીના વિવાહ એ માત્ર દીકરાનું ઘરનો પ્રસંગ ન બની રહેતા સમગ્ર સમાજનો પ્રસંગ હોય એ રીતે દિવ્ય અને ભવ્ય બની રહે છે. છેલ્લા આઠ વર્ષથી વહાલુડીના વિવાહ અત્યંત જાજરમાન રીતે એક શ્રીમંત પિતા જે રીતે પોતાની દીકરીનો પ્રસંગ ઉજવે એ રીતે ઉજવવામાં આવે છે. ચાલુ સાલ પણ સતત નવમાં વર્ષે આ અદકેરું આયોજન હાથ ધરાયું છે અને તેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી ૨૦ ડિસેમ્બર ના રોજ સતત નવમાં વર્ષે વહાલુડીના વિવાહ-૯ “દીકરાનું ઘર’ દ્વારા અત્યંત ભવ્યાતીભવ્ય છતાં ગરીમાપૂર્ણ રીતે યોજાશે. ચાલુ સાલ ફરી એક વખત ૨૨ દીકરીઓને જરૂરીયાત મુજબનો સમૃદ્ધ કરીયાવર અર્પણ કરી તેના સાંસારિક જીવનમાં સુખી થાય એવા આશિર્વાદ સાથે વિદાય અપાશે. સતત નવમાં વર્ષે દીકરાનું ઘરની ટીમને આવી દીકરીઓના માતા-પિતા કે ભાઈ બનવાનું સદભાગ્ય મળ્યું છે જેમાં સમાજના સુખી સંપન્ન દાતાઓનો અનેરો સહયોગ મળતો રહે છે.
આ અંગેની માહિતી આપતા સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, નલીન તન્ના, સુનીલ વોરા, અને કિરીટ આદ્રોજાએ જણાવ્યું છે કે “દીકરાનું ઘર” દ્વારા ફરી એકવખત સતત નવમાં વર્ષે પિતાની છત્રછાયા ગુમાવેલ કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ દીકરીઓના જીવનમાં રંગ પૂરવાનો અવસર ઉભો કર્યો છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે વહાલુડીના વિવાહ આજે સૌરાષ્ટ્રભરમાં ખ્યાતી પ્રાપ્ત બન્યા છે. સમાજના તમામ સ્તરેથી વહાલુડીના વિવાહને વ્યાપક સમર્થન મળી રહે છે. ૨૦૧૮ થી શરૂ થયેલ આ વિવાહમાં શહેરના અસંખ્ય સુખી સંપન્ન દાતાઓ અને પરિવારો આગળ આવી રહ્યા છે. જેમાં ભાવેશભાઈ તળાવિયા પરિવાર, જાણીતા બિલ્ડર ધીરૂભાઈ રોકડ પરિવાર, પાણ ગ્રુપના મનસુખભાઈ પાણ પરિવાર, સંજયભાઈ ધમસાણીયા શહેરનાં જાણીતા ઉદ્યોગપતી કિરીટભાઈ આદોજા ,રાજેશભાઈ કાલરીયા તેમ જ સુનીલભાઈ મહેતા પરિવાર પણ યજમાન પદે રહી ચુકયા છે. ચાલુ સાલ “વહાલુડીના વિવાહ-૯’ અત્યંત ભવ્યાતીભવ્ય રીતે યોજાશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવેલ છે. આ લગ્નની વિશેષતામાં ગુજરાતના કોઈપણ ખૂણે દેશ કાજે શહીદ થયેલ જવાનની દીકરી અમારા ધ્યાને આવશે તો આવી દીકરીના તેમની ઈચ્છા મુજબના લગ્ન સંસ્થા દ્વારા કરાવી આપવામાં આવશે. ઉપરાંત પાંચ લાખથી વધુ રકમનું સમૃદ્ધ કરીયાવર પણ આપવામાં આવશે.
વહાલુડીના વિવાહ-૯ ની માહિતી આપતા મૌલેશભાઈ ઉકાણી, શિવલાલભાઈ આદ્રોજા, ડો.નિદત બારોટ, પ્રતાપભાઈ પટેલ, ધીરૂભાઈ રોકડ, મનસુખભાઈ પાણ, વલ્લભભાઈ સતાણી, વસંતભાઈ ગાદેશા તેમજ હસુભાઈ રાચ્છે વધુમાં જણાવ્યું છે કે દીકરાનું ઘર દ્વારા યોજાતા વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં પ્રત્યેક દીકરીઓને સમૃદ્ધ કરીયાવર ભેટ રૂપે ૩૦૦થી વધુ વસ્તુઓ ભેટ આપવામાં આવશે. જેમાં કબાટ, પલંગ, ટીપાઈ, ગાદલું, ઓશીકું, મીક્ષચર, ફ્રીઝ, એર કુલર, પંખા, સોના-ચાંદીની નાની મોટી વસ્તુઓ, ઈમીટેશન સેટ, સંપૂર્ણ વાસણનો સેટ, ૩૧ જોડી કપડા સહિત લગભગ ૩૦૦ થી વધુ વસ્તુઓ પ્રત્યેક દીકરીને ભેટ સ્વરૂપે આપવામાં આવશે. દીકરાનું ઘર દ્વારા જ્ઞાતિ, જાતિ, ધર્મ કે સંપ્રદાયના ભેદભાવ વગર આ પ્રસંગ ઉજવવામાં આવે છે. “દીકરાનું ઘર” ના કુલ ૨૦૦ થી વધુ કાર્યકર્તાઓ આ લગ્નોત્સવ વહાલુડીના વિવાહ સાથે ઉમંગથી જોડાયેલા છે. દીકરાનું ઘર દ્વારા અત્યાર સુધીમાં ૧૮૯ દીકરીઓના લગ્ન કરવામાં આવ્યા છે. ચાલુ સાલ વધુ ૨૨ દીકરીઓને હોશે હોશે પરણાવવામાં આવશે.
આ ઉપરાંત વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં ભાગ લેનાર પ્રત્યેક દીકરીઓને સરકાર દ્વારા મળતી સહાય કુંવરબાઈનું મામેરું અને સપ્તપદીના સાત ફેરા હેઠળ સમાજ સુરક્ષા ખાતા તરફથી મળતી સહાય પણ અપાવવામાં સંસ્થા નિમિત બનશે તેમ સંસ્થાના સુનીલ મહેતા, ધર્મેશ જીવાણી, હરેશભાઈ પરસાણા, કિરીટ પટેલ, અશ્વિનભાઈ પટેલ, દિપકભાઈ જલુ, ગૌરાંગ ઠકકર દ્વારા જણાવવામાં આવ્યું છે.
દીકરાનું ઘર વૃધ્ધાશ્રમનાં સંસ્થાપક મુકેશ દોશીએ વધુમાં જણાવ્યું છે કે વહાલુડીના વિવાહ પ્રસંગ એ અનાથ દીકરીઓના જીવનમાં રંગ પુરવાનો અવસર છે. વહાલુડીના વિવાહ પ્રસંગ અતી ધામધુમથી ભવ્યથી ભવ્ય રીતે હજારો લોકોની હાજરીમાં ઠાઠમાઠથી ઉજવવામાં આવે છે. એક દિકરીના પિતા જયારે અચાનક દુનિયામાંથી વિદાય લે ત્યારે સમગ્ર કુટુંબમાં અંધારૂ છવાઈ જતુ હોય છે ત્યારે આવી દીકરીઓને સમાજની હુંફ મળે, પ્રેમ મળે, લોકોના આર્શીવાદ મળે એવા ભાવથી આ પ્રસંગ કરવામાં આવે છે. આમ પણ એવું કહેવાયુ છે કે એક અશ્વમેઘ યજ્ઞ કરવાથી જેટલુ પુણ્ય નથી મળતુ એનાથી અનેકગણુ પુણ્યનું ભાથુ એક અનાથ દીકરીના જીવનમાં ખુશી લાવવાથી મળે છે.
આ અંગેની વિશેષ માહિતી આપતા સંસ્થાના ઉપેનભાઈ મોદી, હરદેવસિંહ જાડેજા, હરેન મહેતા, રાકેશભાઈ ભાલાળા, પ્રવિણ હાપલીયા, પ્રજ્ઞેશભાઈ પટેલ, શૈલેષ જાની,ડો. મયંકભાઈ ઠકકર, ધનશ્યામભાઈ રાચ્છ, જયેશભાઈ સોરઠીયા, રાજદિપસિંહ જાડેજા, અજયભાઈ પટેલ, હરીશભાઈ હરીયાણી, દોલતભાઈ ગાદેશા, વિરાભાઈ હુંબલ, સંજયભાઈ દવે, અશ્વીનભાઈ આદ્રોજા, યશવંત જોશી એ જણાવ્યું છે કે સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં ૧૮૯ દીકરીઓને પરણાવવામાં આવેલ છે. ચાલુ સાલ વધુ ૨૨ દીકરી પ્રભુતામાં પગલા માંડશે. સંસ્થાના કાર્યકર્તામાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. સંસ્થાના ૨૦૦ થી વધુ કાર્યકર્તાઓએ આ માટેની તૈયાર શરૂ કરી દીધેલ છે.
વહાલુડીના વિવાહ-૯ નું ફોર્મ વિતરણ તા.૨૪/૭/૨૦૨૬ થી તા.૨૮/૮/૨૦૨૬ સુધી સાંજના ૪.૦૦ થી ૭.૦૦ સુધી ૩૦૫, ગુરૂરક્ષા કોમ્પલેક્ષ, ભારત ટ્રાવેલ્સની બાજુમાં, વિરાણી ચોક, ટાગોર રોડ ઉપર કરવામાં આવશે. જેમાં ફોર્મ લેવા આવનાર દીકરીએ ઉમરનું પ્રમાણપત્ર સાથે લઈ આવવું ફરજિયાત રહેશે.
આ લગ્નોત્સવને સફળ બનાવવા હાર્દિક દોશી, પ્રનંદ કલ્યાણી, જિજ્ઞેશ આદ્રોજા, કેતનભાઈ મેસવાણી, રાજુભાઈ વસંત, જીતુભાઈ ગાંધી, મહેશ જીવરાજાની, પરીમલભાઈ જોશી, જયેન્દ્રભાઈ મહેતા, હસુભાઈ શાહ, પારસ મોદી, પંકજ રૂપારેલીયા, વિપુલભાઈ ભટ, જિજ્ઞેશ પુરોહિત, ધીરજ ટીલાળા, આર.ડી.જાડેજા, ચેતન મહેતા, અતુલ વોરા, ડો. દિપકભાઈ પારેખ, વિમલ પાણખણીયા, સાવન ભાડલીયા, શૈલેષ દવે, મિહિર ગોડલિયા, બ્રિજ વૈશ્નવ, કામેબ માજી સહિતના કાર્યકર્તાઓ ભારે જહેમત ઉઠાવી રહેલ છે.
વહાલુડીના વિવાહ લગ્નોત્સવમાં દીકરીઓની માતાની તેમજ મોટી બહેનની ભૂમિકામાં સંસ્થાની સક્રિય બહેનો ફાલ્ગુનીબેન કલ્યાણી, નીશાબેન મારૂ, ચેતનાબેન પટેલ, વર્ષાબેન આદ્રોજા, કલ્પનાબેન દોશી, કાશ્મીરાબેન દોશી, પ્રીતીબેન વોરા, રાધીબેન જીવાણી, પ્રીતીબેન તન્ના, રૂપા વોરા, વર્ષાબેન પોપટ, ગાર્ગી ઠકકર, શીલ્પાબેન પટેલ, અલ્કાબેન પારેખ, ગીતાબેન એ. પટેલ, વર્ષાબેન આસોદરીયા, કૌશીકાબેન જીવરાજાની, દિનાબેન મોદી, હેમાબેન મોદી, મૌસમીબેન કલ્યાણી, અરૂણાબેન વેકરીયા, કિરણબેન વડગામા, ગીતાબેન વોરા સહિતની બહેનો લગ્નોત્સવને યાદગાર બનાવવા સક્રિયપણે કામગીરી કરી રહી છે.


