રવિવારે વૈશાખ સુદ દશમ પ્રભુ મહાવીર સ્વામીનો જ્ઞાન કલ્યાણક મહોત્સવ દિવ ઉજવાશે
સોમવારે વૈશાખ સુદ અગિયારસ જિન શાસનનો ૨૫૮૨ મો સ્થાપના દિવસ તથા ગણધર ભગવંતોનો દીક્ષા દિવસ: પ્રાર્થના,પ્રવચન,પ્રતિક્રમણ,તપ – જપના ધર્મ સ્થાનકોમાં આયોજનો થશે
અગ્ર ગુજરાત, રાજકોટ
પ્રભુ મહાવીર સ્વામીની 30 વર્ષની વયે ક્ષત્રિય કુંડ નગરમાં દીક્ષા થયાબાદ તરત કુમાર ગામ તરફ વિહાર,સાડા બાર વર્ષ પ્રાય : મૌન રહ્યાં,કોઈ પૂછે કે તમે કોણ છો ? હું ભિક્ષુક છું,શ્રમણ છું,સાધુ છું એમ કહેતા.અદીનભાવે ભિક્ષાના સ્થળે સ્વયં ગોચરી માટે જતાં.ધર્મ ધ્યાન અને શુકલ ધ્યાનમાં લીન રહેતાં.અનેક પ્રકારના ઉપસર્ગો હસતાં મુખે સહન કર્યા,પરિષહોને જીતી પારગામી થયા,42 મા વર્ષે કેળજ્ઞાન – કેવળ દર્શન પ્રાપ્ત થયું. વૈશાખ સુદ અગિયારસ એટલે જિન શાસનનો ૨૫૮૨ મો સ્થાપના દિવસ અને ગણધર ભગવંતોનો દીક્ષા દિવસ..
જૈન દર્શનમાં જે જે તીથઁકરો થાય છે તે નવું તીર્થ ઊભું નથી કરતાં પણ માત્ર તીર્થનો પુનરુધ્ધાર કરે છે. પ્રભુ મહાવીર પણ અનંતા તીથઁકરોની પરંપરાને અનુસર્યા. મનોજ ડેલીવાળાએ જણાવ્યું કે અત્યારે વિશ્વમાં મહાવીરના નામે અનેક લોકો પંથ,વાડા અને પોતાનો અલગ ચોકો જમાવવાનો પ્રયત્ન કરે છે તે દરેક માટે આ વાત ખૂબ જ મનનીય છે. જે ઉપદેશ આ ચોવીસીના પ્રથમ તીથઁકર આદીનાથ ઋષભદેવ ભગવાને આપેલો તે જ ઉપદેશ ચોવીસમાં તીથઁકર પ્રભુ મહાવીર આપે છે એટલું જ નહીં પરંતુ આવતી ચોવીસીના દરેક તીથઁકર પરમાત્મા પણ આ જ ઉપદેશ આપશે એટલે જ જિનવાણીને ત્રિકાલાબાધિત કહેવાય છે.
અનંત ઉપકારી ચરમ અને પરમ ત્રિલોકીનાથ તીથઁકર પરમાત્મા પ્રભુ મહાવીર સ્વામીએ 30 માં વર્ષે દીક્ષા અંગીકાર કરી.સાડા બાર વર્ષ અને એક પખવાડીયુ પ્રભુ મૌન રહી આર્ય તેમજ અનાર્ય ક્ષેત્રોમાં વિચરણ કરી અજબ – ગજબની સાધના – આરાધના કરી. કડાઝૂડ અને કઠોર સાધનાની ફલશ્રુતિ રૂપે શ્યામક ગાથાપતિની સુથાર શાળામાં ઋજુવાલિકા નદીના ઉત્તર તટ પર ગોદુ આસને વૈશાખ સુદ દશમના પ્રભુને કેવળજ્ઞાન અને કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ ત્યારે ધર્મ દેશના અર્થાત્ ઉપદેશ આપવાનું ચાલુ કર્યું પરંતુ પ્રભુની પ્રથમ દેશના નિષ્ફળ ગઇ કારણકે માત્ર દેવોની જ ઉપસ્થિતિ હતી.અવ્રતી હોવાને કારણે કોઈ જીવાત્માએ વ્રત – પચ્ચખાણ અંગીકાર કર્યા નહીં,જેને અભાવિત પરિષદ કહેવાય છે.આ ઘટના જૈન દર્શનમાં આશ્ચર્યકારક ઘટના એટલે કે શાસ્ત્રની પરીભાષામાં અચ્છેરા તરીકે નોંધાણું.
બીજે દિવસે વૈશાખ સુદ અગીયારસના પાવન દિવસે પ્રભુએ ધર્મ દેશના – સદ્દબોધ આપ્યો. પાવાપુરીના પુનિત પ્રાંગણે પ્રભુની વાણીથી પ્રભાવિત થઇ ઈન્દ્રભુતિ આદિ અગિયાર બ્રાહ્મણો પોતાના શિષ્ય પરિવાર સાથે દીક્ષિત થયા.અનેક આત્માઓએ બાર વ્રત અંગીકાર કર્યા. આ જ દિવસે તારક તીથઁકર પ્રભુએ તીર્થની સ્થાપના કરી એટલે કે સાધુ,સાધ્વી,શ્રાવક અને શ્રાવિકા. પ્રભુના શાસનમાં ૧૪૦૦૦ શ્રમણો, ૩૬૦૦૦ શ્રમણીઓ, ૧૫૯૦૦૦ શ્રાવકો તથા ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ હતી.
વૈશાખ સુદ અગિયારસના જિન શાસનનો ૨૫૮૨ મો સ્થાપના દિવસ છે તથા ઉપકારી ૧૧ ગણધર ભગવંતોનો દિક્ષા દિવસ પણ છે.પ્રભુ મહાવીર નિર્વાણ પધાર્યા ને ૨૫૫૨ વર્ષ થયા,હજુ પંચમ આરાના ૧૮૪૪૮ વર્ષ આ જિન શાસન ઝગમગતું, ઝળહળતું,વિજયવંતુ,જયવંતુ રહેવાનું છે.


