સુરતના નક્ષત્ર સેફ હાઉસમાંથી ૨૦૬ તોલા દાગીનાની ચોરી
પિતા-પુત્ર સહિત ચાર શખ્સોએ ૨.૬૭ કરોડનું ફુલેકુ ફેવ્યું: છેલ્લા ઘણા સમયથી કાવતરુ ઘડાયાની ચર્ચા: વિવિધ બ્રાંચમાં ગ્રાહકોની લાંબી કતારો, પોતાની મૂડી લઈ કસ્ટમર જતા રહ્યા
અગ્ર ગુજરાત, સુરત
સુરતના સિંગણપોરમાં આવેલા નક્ષત્ર સેફ હાઉસમાંથી ગ્રાહકોના 2.67 કરોડના 206 તોલા સોનાના દાગીના ચોરી થયાના અહેવાલો વહેતા થતાં જ આખા શહેરમાં ખડભળાટ મચી ગયો છે. સિંગણપોર બ્રાન્ચમાં સર્જાયેલી અફરાતફરીના પડઘા સમગ્ર સુરતમાં પડ્યા હતા. સિંગણપોર ઉપરાંત વરાછા ખાતે આવેલી નક્ષત્ર સેફની શાખાઓમાં પણ પોતાના કિંમતી ઘરેણાં અને રોકડ સુરક્ષિત છે કે, નહીં તે ચકાસવા માટે બિલ્ડરો સહિત સેંકડો લોકરધારકો તાબડતોબ દોડી ગયા હતા. જેને પગલે દરેક બ્રાન્ચ બહાર લોકોની લાંબી લાઈનો અને દોડધામના દૃશ્યો સર્જાયા હતા.
આ સમગ્ર ચર્ચિત પ્રકરણમાં નક્ષત્ર સેફ હાઉસના સંચાલક મહેશ દિયોરા અને તેના બંને પુત્રો હર્ષ દિયોરા અને હરીકૃષ્ણ દિયોરા તેમજ લોકર બ્રેકર મણીલાલ સામે ચોરીની ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ ચોરી કોઈ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ સંચાલક પિતા-પુત્રોએ નિષ્ણાત લોકર બ્રેકર સાથે મળીને ગ્રાહકોનું કરોડો રૂપિયાનું સોનું પચાવી પાડવા માટે પૂર્વઆયોજિત કાવતરૂં ઘડ્યું છે.
આ ચારેય જણાએ એકબીજાની મદદગારીથી યોજના બનાવીને ગ્રાહકોની બિનહાજરીમાં અને તેમની જાણ બહાર અલગ અલગ સમયે લોકરો તોડાવ્યા હતા. લોકરમાંથી કિંમતી સોનાના દાગીના કાઢીને તેને બજારમાં વેચી મારી રકમ પડાવી પાડવાનું આખો પ્લાન ઘડ્યો હતો.
સિંગણપોર બ્રાન્ચમાં પૂર્વઆયોજિત કાવતરા હેઠળ ગ્રાહકોના સોના-ચાંદીના દાગીના ગાયબ થયા હોવાના વાઇરલ સમાચાર સોશિયલ મીડિયા અને ન્યૂઝમાં ફેલાતાં જ નક્ષત્ર સેફની અન્ય શાખાઓમાં ખાતા ધરાવતા ગ્રાહકોના જીવ તાળવે ચોંટી ગયા હતા. વરાછા સ્થિત નક્ષત્ર સેફની શાખાઓ પર પણ ગ્રાહકો પોતાના લોકરની તપાસ કરવા માટે ધસી આવ્યા હતા. લોકો પોતપોતાની ચાવીઓ લઈને લોકર ખોલવા મથી રહ્યા હતા.
ઘણા ગ્રાહકોના લોકર ખોલવામાં ટેકનિકલ અડચણો આવતાં અને સંચાલકો તરફથી યોગ્ય જવાબ ન મળતાં સ્થિતિ વધુ વણસી હતી. વરાછા સેન્ટર પર પણ ભારે હોબાળો અને અફરાતફરી મચી જતાં આખરે સ્થાનિક પોલીસને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો. જેટલા લોકર ધારકોના લોકર ખૂલ્યા તેઓ પોતાની રોકડ રકમ દાગીના સહિતનો સામાન લઈને નીકળી ગયા હતા.
પોલીસ દફતરે નોંધાયેલી ફરિયાદીની વિગત અનુસાર, ફરિયાદી રમેશભાઈ જીવરાજભાઈ વાઘાણી (રહે. સુંદરમ પાર્ક, ડભોલી રોડ, સુરત)એ વર્ષ 2020માં પોતાની પત્ની હિરેનબેનના નામે સિંગણપોર કોઝવે રોડ પર આવેલા નક્ષત્ર સેફ વોલ્ટમાં B/202 નંબરનું લોકર લીધું હતું. માસિક ₹1,700 ભાડું ચૂકવતા હતા. ગત તા. 8 મે, 2026ના રોજ ફરિયાદીના સાળા વિનોદભાઈ અને ભરતભાઈ લોકર પર ગયા ત્યારે તેમના તમામ સોનાના દાગીના સુરક્ષિત હતા. પરંતુ, બે મહિના બાદ પ્રસંગ હોવાથી જ્યારે તેઓ દાગીના કાઢવા ગયા ત્યારે લોકરમાં માત્ર એક મંગળસૂત્ર, બે કડલી અને ત્રણ વીંટી જ બચ્યા હતા, જ્યારે બાકીના 63 તોલાના દાગીના ગાયબ હતા!


