થાન નજીક આઈસરનું પાછળનું પાટિયું ખુલી જતાં ત્રણ પટકાયા, એકનું મોત
હવનમાં જતા પરિવારને નડ્યો અકસ્માત; કુવાડવા રોડના ગોવિંદભાઈ ગમારાનું સારવાર દરમિયાન નિધન
અગ્ર ગુજરાત, રાજકોટ
ધાર્મિક હવનમાં ભાગ લેવા પરિવાર સાથે નીકળેલી સફર દુર્ઘટનામાં ફેરવાઈ હતી. થાનગઢ પંથકના રાણીપર ગામ નજીક આઈસર ટ્રકના પાછળના ભાગનું પાટિયું અચાનક ખુલી જતાં તેમાં બેઠેલા ત્રણ લોકો રોડ પર પટકાયા હતા. ગંભીર ઈજા પામેલા કુવાડવા રોડ વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ ગાંડુભાઈ ગમારાનું સારવાર દરમિયાન મોત નિપજતાં સમગ્ર પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
મળતી માહિતી મુજબ, ગોવિંદભાઈ ગાંડુભાઈ ગમારા (ઉં. 50) સહિત પરિવારના આશરે 25 સભ્યો થાનગઢ નજીક આવેલી સુરાપુરા દાદાની ડેરી ખાતે યોજાયેલા હવન પ્રસંગમાં હાજરી આપવા આઈસર ટ્રકમાં જઈ રહ્યા હતા. સવારે આશરે 8 વાગ્યાના સમયે રાણીપર ગામ પાસે ટ્રકના પાછળના ભાગનું પાટિયું અચાનક ખુલી જતાં ગોવિંદભાઈ, પારસ હિતેષભાઈ ગમારા (ઉં. 18) અને કિશન ભરતભાઈ ફાંગલિયા (ઉં. 18) ચાલતા વાહનમાંથી નીચે પટકાયા હતા.
અકસ્માત બાદ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે પ્રથમ થાન હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યારબાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. જોકે ગોવિંદભાઈને માથા અને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે પારસ અને કિશનની હાલ ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલના અમૃતદેહગૃહમાં ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ અને અન્ય હકીકતો અંગે તપાસ ચાલી રહી છે.
મૃતક ગોવિંદભાઈ પાંચ ભાઈઓમાં સૌથી મોટા હતા. તેમના પરિવારમાં પત્ની, બે દીકરીઓ અને એક દીકરો છે. પરિવારના મોભીના અચાનક અવસાનથી સગાસંબંધીઓ અને સમગ્ર પરિવાર પર શોકનું મોજું ફરી વળ્યું છે. હવનના પવિત્ર પ્રસંગે નીકળેલો પરિવાર પળવારમાં દુઃખદ ઘટનાનો ભોગ બનતા શોકમાં ગરકાવ થઈ ગયો છે.


