વોર્ડ નં.૨ના રહેવાસીઓને શુધ્ધ પાણી મળશે : કોંગ્રેસ
જનસંપર્ક યાત્રા દ્વારા લોકોએ ડ્રેનેજ, દુષિત પાણી, રોડ-રસ્તાના પ્રશ્નોની કરેલી રજુઆતોના નિરાકરણને પ્રાથમિકતા અપાશે
છેલ્લા એક વર્ષથી પ્રાથમિક સુવિધાઓથી વોર્ડ નં.૨ના રહેવાસીઓ વંચિત : કોર્પોરેટરો અને તંત્ર જવાબ નહી આપતું હોવાની વ્યથામાંથી મુકિત મળશે : ‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા વોર્ડ નં.૨ના કોંગ્રેસના ઉમેદવારોનું પ્રજાને વચન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાનના ગણતરીના કલાકો જ બાકી રહ્યાં છે. વોર્ડ નં.૨માં દુષિત પાણી, ભૂગર્ભ ગટર અને રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાનું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોંગ્રેસની વોર્ડ યાત્રા દરમિયાન લોકોએ પોતાની વ્યથા ઠાલવી હતી. ઉપરોકત પ્રશ્નોને કોંગ્રેસ મનપામાં ચૂંટાતા પ્રાથમિકતા આપશે તેવું વચન વોર્ડ નં.૨ના કોંગ્રેસના ઉમેદવારો દ્વારા લોકોને આપવામાં આવ્યું છે.
‘અગ્ર ગુજરાત’ની મુલાકાતે આવેલા વોર્ડ નં.૨ના કોંગ્રેસના ઉમેદવાર ગીતાબેન પરમાર, નયનાબા જાડેજા, ભાવેશભાઇ વાઘેલા અને સલીમભાઇ કારીયાણીયાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૨માં છેલ્લા એક વર્ષથી દુષિત પાણીની સમસ્યા સર્જાઇ રહી છે. ડ્રેનેજના ભંગાણના કારણે તંત્ર દ્વારા વિતરણ કરવામાં આવતાં પાણીમાં ડ્રેનેજની ગંદકી ભળી જતાં પીડા અને જીવાતવાળા પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે તેવી ફરિયાદો લોકોમાં ઉઠી રહી છે. આ પાણીના કારણે લોકોના આરોગ્ય ઉપર પણ જોખમ તોળાઇ રહ્યું છે. બીમારીના પણ અસંખ્ય કેસ સામે આવી રહ્યાં છે. વોર્ડ નં.૨માં અને મનપામાં કોંગ્રેસની સરકાર આવશે તો લોકોને પીવાનું શુધ્ધ પાણી મળી રહેશે.
વધુમાં ઉમેદવારોએ કહ્યું હતું કે તંત્ર દ્વારા માત્ર ૧૫ મીનીટ ઓછા ફોર્સથી પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેનાથી મોટા ભાગના વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણી નહી મળતાં અનેક પરિવારોને આ સમસ્યા સતાવી રહી છે. ઓછું અને દુષિત પાણી આવવાના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યામાંથી લોકોને રાહત મળે તે માટે સત્તા આવતાં જ વોર્ડ નં.૨ સહિત સમગ્ર રાજકોટમાં પૂરતા ફોર્સ સાથે ૨૫ મિનિટ શુધ્ધ પાણીનું વિતરણ કરવામાં આવશે. તેમજ ડ્રેનેજના જે પ્રશ્નો છે. તેનો કાયમી ઉકેલ લાવવા સૌ પ્રથમ ભૂગર્ભ ગટરની સાફ સફાઇ કરવામાં આવશે તેમજ પાણીની પાઇપ લાઇન તેમજ ભૂગર્ભ ગટરની પાઇપ લાઇન નવી નાંખવામાં આવશે તેનું આયોજન કરવામાં આવશે.
કોંગ્રેસની વોર્ડ યાત્રા દરમિયાન લોકોએ વ્યથા ઠાલવતાં જણાવ્યું હતું કે તંત્ર દ્વારા ફરિયાદોના નિકાલ માટે ઓનલાઇન પોર્ટલની વ્યવસ્થા કરવામાં આવી છે. આ પોર્ટલ પર સ્થાનિકો દ્વારા અનેક વખત રજુઆતો કરવામાં આવી છે. જેમાં તેઓને અરજી મળી ગઇ છે અને તેનું નિરાકરણ કરવામાં આવ્યું હોવાના જવાબો મળી ગયા છે. પરંતુ પરિસ્થિતિ જૈસે થે જેવી જ જોવા મળી રહી છે. ઓનલાઇન પોર્ટલ પણ છેતરામણું હોવાના આક્ષેપો ઉમેદવારો દ્વારા કરવામાં આવ્યા હતાં.
વોર્ડ નં.૨માં રોડ-રસ્તાની પણ સમસ્યા લોકોને સતાવી રહી છે. સત્તાધારી પક્ષ અને તંત્ર દ્વારા રોડ ખોદી નાંખવામાં આવ્યા છે. જેમાં નવીનીકરણ કરવાના બદલે જૂની માટી જ ખાડાઓમાં નાંખી દેવામાં આવી છે અને રોડનું નિર્માણ કરવામાં આવ્યું હોવાના દાવાઓ કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસ સત્તામાં આવતાની સાથે જ વોર્ડ નં.૨માં પ્રજાને રોડ-રસ્તાની સારામાં સારી સુવિધાઓ આપવામાં આવશે. અત્યાર સુધી સત્તાધીશો દ્વારા ગ્રાન્ટનો કયાં ઉપયોગ કરવામાં આવ્યો છે તેનો પણ કોઇ હિસાબ આપવામાં આવ્ઋયો નથી. આ તમામ હિસાબો કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે અને સત્તામાં આવ્યા બાદ મળતી ગ્રાન્ટનો પ્રજાલક્ષી વિકાસ કાર્યોમાં ઉપયોગ કરવામાં આવશે.
વધુમાં ચારેય ઉમેદવારોએ જણાવ્યું હતું કે વોર્ડના કેટલાક વિસ્તારોમાં આજે પણ સ્ટ્રીટલાઇટની સુવિધા નથી. જેના કારણે આવારા તત્વો પણ બેફામ બન્યાં છે. બજરંગવાડી કોપરસિટીની પાછળની શેરીમાં આ સમસ્યા ઘણા સમયથી હતી. જે રજુઆત કરવા છતાં પણ ત્યાં અંધારા જોવા મળ્યાં હતા. આ અંગે કોંગ્રેસે કોર્પોરેશનમાં રજુઆત કરીને ત્યાં સ્ટ્રીટલાઇટો શરૂ કરાવી હતી .આ જ પ્રકારના અનેક વિસ્તારોમાં ફરિયાદો મળી છે. ત્યાં આગામી દિવસોમાં અંધારાઓ દૂર કરવામાં આવશે અને સ્ટ્રીટલાઇટો ઝળહળતી થશે. તેમ અંતમાં જણાવ્યું હતું.
નગરસેવકોની વ્યાખ્યા લોકોને સમજાશે
ઉમેદવાર નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે વોર્ડ નં.૨માં ભાજપના કોર્પોરેટરો જયમીન ઠાકર, દર્શિતાબેન શાહ, મીનાબા જાડેજા અને મનીષ રાડીયા લોકોના ફોન નહી ઉપાડતાં હોવાની રાવ કરવામાં આવી છે. તેમજ ચૂંટણી બાદ વિસ્તારોમાં મુલાકાત પણ લેતા નથી. ત્યારે આગામી દિવસોમાં કોંગ્રેસની સત્તા આવશે તો નગરસેવકોની પ્રજાપ્રત્યે શું ભૂમિકા છે તેની વ્યાખ્યા સમજાવવામાં આવશે. એક નગરસેવક તરીકે શું જવાબદારી હોય છે તે પણ કોંગ્રેસ કામ દ્વારા શીખવશે. સત્તાધીશોએ માત્ર શાસન જ ભોગવ્યું છે. જેથી ખરા અર્થમાં લોકોની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી .
ભાજપના જ શાસનમાં ડ્રગ્સ અને દારૂનું દૂષણ
રાજકોટ સહિત રાજયભરમાં દારૂ અને ડ્રગ્સ છાશવારે ઝડપાઇ રહ્યાં છે. ભાજપના શાસનમાં ડ્રગ્સ અને દારૂના દુષણે પગદંડો જમાવ્યો છે અને તેના કારણે યુવાધન બરબાદ થઇ રહ્યું છે. રાજકોટમાં પણ જયાં જોવો ત્યાં ડ્રગ્સ અને દારૂ મળી રહે છે. અસામાજીક તત્વો દ્વારા બેફામ નશાનો કારોબાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ સહિત રાજયભરમાં કરોડોનો દારૂ અને ડ્રગ્સ પકડાઇ રહ્યાં છે. આ નશાની બદીને પણ કોંગ્રેસ દ્વારા ડામવામાં આવશે.


