વેરાવળમાં SMCના દરોડા મામલે પાંચ પોલીસ અધિકારીઓને લીવ રીઝર્વમાં મુકયા
SMC એ નોંધાવેલ ગુનાના 21 આરોપીઓ સાત દિવસના પોલીસ રિમાન્ડ પર સોપાયા
ઉચ્ચકક્ષાએથી પોલીસ અધિકારીઓ અને કર્મીઓ સામે થયેલ કાર્યવાહીના પગલે પોલીસબેડામાં ખળભળાટ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વેરાવળના કોળીવાળા વિસ્તારમાં 8 જુલાઈના રોજ SMCની ટીમે એક જુગાર ક્લબ પર દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમ્યાન જુગારીઓ અને સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ ટીમને ઘેરી લીધેલ ત્યારે પરિસ્થિતિ ગંભીર બની જતા SMCના PSI ને હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટના અંગે સીટી પોલીસમાં બે ગુનાઓ નોંધવામાં આવ્યા હતા. જેમાં 40 નામજોગ આરોપીઓ ઉપરાંત આશરે 200 લોકોના ટોળા સામે રાયોટિંગ, સરકારી ફરજમાં રૂકાવટ, હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો છે. જે અનુસંધાને પોલીસે ઝડપી પાડેલ 21 આરોપીઓને રજુ કરતા કોર્ટે ગુનાની ગંભીરતા ધ્યાને લઈ તેમના 7 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. હવે પોલીસ રિમાન્ડ દરમિયાન સમગ્ર કાવતરું, હુમલામાં સામેલ અન્ય શખ્સો તથા જુગારના નેટવર્ક અંગે ઊંડી તપાસ હાથ ધરશે.
આ સમગ્ર ચકચારી ઘટનાને લઈને જુનાગઢ રેંજના ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ પણ કડક વલણ અપનાવતા એલસીબી ઈન્ચાર્જ પીઆઈ એસ.વી.રાજપુત, વેરાવળ સીટી પીઆઈ જે. એન. ગઢવી તથા એલસીબી પીએસઆઈ એચ. એલ. જેબલિયા, એ.સી. સિંધવ, સીટી પીએસઆઈ પી.પી. પ્રજાપતિ ને લીવ રિઝર્વમાં મોકલવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત મોડીસાંજે જીલ્લા પોલીસવડાએ સીટી પોલીસની ડીસ્ટાફ બ્રાન્ચના નટુભા બસીયા, અજીતસિંહ પરમાર, નરવણસિંહ ગોહિલ, પ્રદીપસિંહ ખેર ને ફરજમુક્ત કરવાનો આદેશ કર્યો છે. આ ઘટના સંદર્ભે એક તરફ સીટી પોલીસની બ્રાન્ચના કર્મીઓ સામે કાર્યવાહી થઈ છે. તો બીજી તરફ જીલ્લાની બ્રાન્ચના કર્મીઓ સામે પણ આગામી દિવસોમાં કાર્યવાહી થશે કે પછી બચાવી લેવાશે તેવી ચર્ચાએ જોર પકડયું છે. પોલીસ વિભાગમાં ઉચ્ચકક્ષાએથી થયેલ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરવામાં આવશે નહીં. હવે સમગ્ર જીલ્લાની નજર આ કેસની આગળની તપાસ પર રહેશે.
ઘટના સંદર્ભે SIT ની રચના કરવામાં આવી
SMC ના દરોડા હુમલા ફાયરીંગના બહુચર્ચિત કેસમાં પોલીસમાં ઉચ્ચકક્ષાએથી વિભાગીય કાર્યવાહી તેજ બની છે. જેમાં ઘટનાને ગંભીરતાથી લઈ રેંજ આઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાએ ઘટનાની નિષ્પક્ષ અને સઘન તપાસ માટે ડીવાયએસપી ચેતન ખટાણાની અધ્યક્ષતામાં SITની રચના કરી છે. હવે SIT તપાસમાં વધુ શું સામે આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે. ત્યારે હવે SIT તપાસમાં વધુ શું સામે આવે છે તેના પર સૌની નજર મંડાઈ છે.


