રાહુલ ગાંધી-ખડગેની અટકાયતના વિરોધમાં
જિલ્લા પંચાયત ચોકમાં કોંગ્રેસનું ઉગ્ર પ્રદર્શન : 30થી વધુ કાર્યકરોની અટકાયત
ધર્મેન્દ્ર પ્રધાનના પ્રતિક મુખોટાને ઝાપટો મારી કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર ; પોલીસ સાથે ધક્કામુક્કી બાદ આગેવાનો સહિત કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયતમાં લેવાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
દિલ્હીમાં લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અટકાયત તેમજ પેપર લીક મુદ્દે વિરોધ નોંધાવી રહેલા યુવાનો પર થયેલી પોલીસ કાર્યવાહીના વિરોધમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ બુધવારે જિલ્લા પંચાયત ચોક ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજ્યું હતું. શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો જોડાયા હતા. કેન્દ્ર સરકારની નીતિઓ સામે આક્રોશ વ્યક્ત કરતા કાર્યકરોએ ભારે સૂત્રોચ્ચાર કર્યો હતો અને કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ ઉઠાવી હતી.
વિરોધ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરોએ ધર્મેન્દ્ર પ્રધાનના પ્રતિકરૂપ મુખોટાને ઝાપટ મારી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ઘટનાને પગલે સ્થળ પર મોટી સંખ્યામાં પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓને રોકવાનો પ્રયાસ કરવામાં આવતા કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ધક્કામુક્કી તથા ખેંચતાણના દ્રશ્યો સર્જાયા હતા. પરિસ્થિતિ વધુ બગડે તે પહેલાં પોલીસે શહેર કોંગ્રેસના આગેવાનો સહિત 30થી વધુ કાર્યકરોને ટીંગાટોળી કરી અટકાયતમાં લીધા હતા. આ સમગ્ર ઘટનાક્રમને પગલે જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં થોડા સમય માટે ભારે હોબાળો અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે દેશમાં લોકશાહી મૂલ્યો પર સતત પ્રહાર થઈ રહ્યા છે અને વિરોધનો અવાજ ઉઠાવનારાઓને દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમનું કહેવું હતું કે પેપર લીક જેવી ગંભીર ઘટનાથી લાખો યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં થયા છે, છતાં જવાબદારો સામે કાર્યવાહી કરવાને બદલે સરકાર વિરોધ કરનારાઓને જ નિશાન બનાવી રહી છે. યુવાનો પોતાના હક્ક અને ભવિષ્ય માટે લડી રહ્યા છે, ત્યારે તેમના પર લાઠીચાર્જ કરીને સરકાર પોતાની નિષ્ફળતા છુપાવવાનો પ્રયાસ કરી રહી હોવાનું કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું.
કોંગ્રેસના નેતા ગોપાલ અનડકટે જણાવ્યું હતું કે દેશમાં વિરોધ નોંધાવવો હવે જાણે ગુનો બની ગયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. ભાજપ સરકારની નીતિઓ સામે બોલનાર દરેક વ્યક્તિને દેશવિરોધી ગણાવવાની માનસિકતા લોકશાહી માટે ખતરનાક છે. પેપર લીકના કારણે હજારો નહીં પરંતુ લાખો યુવાનોના સપનાઓ પર પાણી ફરી વળ્યું છે. આવા સંજોગોમાં યુવાનોને ન્યાય અપાવવાના બદલે તેમની પર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે, જે અત્યંત નિંદનીય છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે વિરોધ પ્રદર્શન દરમિયાન રાહુલ ગાંધી સાથે ગેરવર્તણૂક થઈ હતી અને તેમને ઈજા પણ પહોંચી હતી. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે સત્તાનો દુરુપયોગ કરીને વિરોધ પક્ષને દબાવી શકાય તેમ નથી અને કોંગ્રેસ લોકશાહી માટેની પોતાની લડત ચાલુ રાખશે. શહેર કોંગ્રેસ પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશમાં દરેક નાગરિકને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો બંધારણીય અધિકાર છે, પરંતુ વર્તમાન સરકાર વિરોધના દરેક અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહી છે. પેપર લીક જેવી ગંભીર ઘટના સામે અવાજ ઉઠાવનાર યુવાનો પર લાઠીચાર્જ કરવામાં આવ્યો અને તેમની સાથે એકતા દર્શાવવા પહોંચેલા રાહુલ ગાંધી તથા કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેની પણ અટકાયત કરવામાં આવી હતી. જોકે બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા, છતાં આ સમગ્ર ઘટનાએ લોકશાહી વ્યવસ્થાને લઈને ગંભીર પ્રશ્નો ઉભા કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે વધુમાં કહ્યું હતું કે દેશના યુવાનો પોતાના વ્યક્તિગત હિત માટે નહીં પરંતુ આવનારી પેઢીના ભવિષ્ય માટે લડી રહ્યા છે. કોંગ્રેસ પક્ષ તેમની આ લડતમાં તેમની સાથે મજબૂતીથી ઉભો રહેશે અને અન્યાય, દમન તથા તાનાશાહી સામે ક્યારેય ઝૂકશે નહીં. લોકશાહી મૂલ્યોની રક્ષા માટે કોંગ્રેસનો સંઘર્ષ સતત ચાલુ રહેશે અને સરકારને જવાબદેહ બનાવવામાં આવશે.
વિરોધ પ્રદર્શનને કારણે જિલ્લા પંચાયત ચોક વિસ્તારમાં થોડા સમય માટે ટ્રાફિકની અવરજવર પણ પ્રભાવિત થઈ હતી. ભારે સૂત્રોચ્ચાર, પોલીસ અને કાર્યકરો વચ્ચેની ધક્કામુક્કી તેમજ અટકાયતની કાર્યવાહીના કારણે આસપાસના વિસ્તારમાં ભારે ચહલપહલ જોવા મળી હતી. પોલીસે પરિસ્થિતિ કાબૂમાં લઈને અટકાયતમાં લેવાયેલા કાર્યકરોને પોલીસ વાહનો મારફતે સ્થળ પરથી ખસેડ્યા બાદ સ્થિતિ ફરી સામાન્ય બની હતી. આ સમગ્ર વિરોધ પ્રદર્શન શહેરમાં દિવસભર ચર્ચાનો વિષય બન્યું હતું.
મૂળભૂત અધિકારો બંધારણનો આત્મા, સરકાર આત્માને તોડી રહી છે ; શક્તિસિંહ ગોહિલનો ભાજપ પર આકરો પ્રહાર
દિલ્હીના જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શનના મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના પૂર્વ સાંસદ શક્તિસિંહ ગોહિલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી કેન્દ્ર સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો કે સરકાર લોકશાહીના મૂળભૂત અધિકારોનું હનન કરી રહી છે અને વિરોધનો અવાજ દબાવવા માટે પોલીસ અને સત્તાનો દુરુપયોગ કરી રહી છે.
ગોહિલે જણાવ્યું કે બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારો દેશનો આત્મા છે, પરંતુ ભાજપ સરકાર આ આત્માને તોડવાનો પ્રયાસ કરી રહી છે. ધરણા, રેલી અને સરકાર સામે અવાજ ઉઠાવવાનો અધિકાર દરેક નાગરિકને છે, છતાં આજે વિરોધ પ્રદર્શન માટે પણ પોલીસની પરવાનગી લેવી પડે છે. કોંગ્રેસના શાસનમાં વિરોધ પ્રદર્શન માટે સ્થળ, છાંયડો અને પાણી જેવી સુવિધાઓ પણ આપવામાં આવતી હતી, જ્યારે આજે શાંતિપૂર્ણ વિરોધ કરનારાઓ પર લાઠીચાર્જ થઈ રહ્યો છે.
NEET પેપર લીક મુદ્દે ગોહિલે કહ્યું કે 21 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે, જેને તેઓ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. તેમના મતે શિક્ષણ હવે સેવા નહીં પરંતુ વેપાર બની ગયું છે. સરકારી શાળાઓ અને કોલેજોની સ્થિતિ નબળી બની રહી છે અને સામાન્ય પરિવારોને સંતાનોને ભણાવવા ઘરબાર ગીરવે મૂકવાની નોબત આવી છે. પૈસાના જોરે પેપર લીક કરાવી ડોક્ટર બનનારા લોકો ભવિષ્યમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરશે તેવી ચિંતા પણ તેમણે વ્યક્ત કરી હતી.
ગોહિલે દાવો કર્યો કે 2024માં ગુજરાતમાંથી પ્રથમ વખત NEET પેપર લીક થયું હતું અને તે સમયે જ તેમણે સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. જો સરકાર ત્યારે કડક કાર્યવાહી કરતી તો 2026માં ફરી પેપર લીક જેવી ઘટના ન બની હોત. OMR શીટમાં ગેરરીતિ અને ગોઠવણ કરીને વિદ્યાર્થીઓને ફાયદો પહોંચાડવાનો પ્રયાસ થયો હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું કે રાહુલ ગાંધી દ્વારા શરૂ કરાયેલા ‘છાત્રો કી ગુંજ’ અભિયાન અંતર્ગત દેશભરના વિદ્યાર્થીઓ સાથે સીધો સંવાદ કરીને તેમની સમસ્યાઓ જાણી આગળ લડત ચલાવવામાં આવશે.
સોનમ વાંગચૂકના આંદોલનનો ઉલ્લેખ કરતાં ગોહિલે કહ્યું કે સરકાર જ્યારે અહંકારી બને છે ત્યારે લોકોમાં આક્રોશ ફેલાય છે અને લોકશાહી બચાવવા વિરોધ કરનારાઓને સમર્થન આપવું કોંગ્રેસની ફરજ છે.
અંતમાં તેમણે ભાજપ સરકાર પર પ્રહાર કરતાં કહ્યું કે, ડરી ગયેલી ભાજપને સત્તાની ખુરશી જતી રહેવાનો ભય સતાવી રહ્યો છે. તેથી વિરોધ કરનારાઓને જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે. પરંતુ વિરોધનો અવાજ દબાવવાથી સરકારની સત્તા બચવાની નથી. તેમણે NEET પેપર લીક અને વિદ્યાર્થીઓના મોતની નૈતિક જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રીના રાજીનામાની પણ માંગ કરી.


