રાજકોટ બસપોર્ટમાં આચાર સંહિતાના ભંગ બદલ પગલાં ભરવા ચૂંટણી કમિશનરને ફરિયાદ
આચાર સંહિતા અમલમાં હોવા છતાં મુખ્યમંત્રી અને વડાપ્રધાનના સરકારની યોજના ના પોસ્ટરો બસોમાંથી હટાવ્યા નહીં હોવાના આક્ષેપ
અગ્ર ગુજરાત, રાજકોટ
સિનિયર સામાજિક અગ્રણી, RTI એક્ટિવિસ્ટ ગજેન્દ્રસિંહ ઝાલા, કાઠી સમાજના અગ્રણી પ્રતાપભાઈ વાળા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ એસ.ટી બસપોર્ટ માં રોજિંદી 1200 થી વધુ બસોની અવરજવર રહે છે. અને આ આવતી બસોમાં અને રાજકોટ ડેપોની બસમાં આદર્શ આચાર સહિતનો ખુલ્લેઆમ ભંગ થતો હોય અને બસોની અંદર અને બસોની બહાર વડાપ્રધાન અને મુખ્યમંત્રી ના ફોટાઓ જાહેર જનતાને દેખાઈ તે રીતે પ્રદર્શિત થઈ રહ્યા છે. અને જેમાં રાજકોટ ડેપો ની બસોમાં પણ મુખ્યમંત્રી અને વડાપ્રધાનની જાહેરાતો મુસાફરોની નજરમાં આવે તે રીતે પ્રકાશિત થઈ રહી છે.
સમગ્ર રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીઓ આગામી તારીખ ૨૬ એપ્રિલના મતદાન થઈ રહ્યું હોય ત્યારે તારીખ 1 એપ્રિલના રોજ ચૂંટણી જાહેર થઈ હતી અને જાહેર થતાની સાથે જ રાજ્યભરમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા ની અમલવારી કરવાની થાય છે. જિલ્લા કક્ષાએ મુખ્ય ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર દ્વારા દરેક ડિપાર્ટમેન્ટના વડાઓને આ અંગે સૂચના પણ આપી દેવામાં આવી હોય છે કે નિષ્પક્ષ અને પારદર્શક ચૂંટણી યોજવા માટે ચૂંટણી આચારસંહિતા નું કડકાઈથી અમલીકરણ કરાવવું પરંતુ તેમ છતાં કેટલાક અધિકારીઓ ચૂંટણી આચારસંહિતાનું ઉલંઘન થતું હોવા છતાં આંખમિચામણા કરતા હોય છે. અને શાસક પક્ષની જી હજુરીયાગીરી કરી આચારસંહિતાનું અમલીકરણ કરાવતા નથી.
ઉપરોક્ત આગેવાનોએ વધુમાં જણાવ્યું છે કે ચૂંટણી જાહેર થયા બાદ 48 કલાક પછી પણ રાજકોટના ઢેબર રોડ પરના એસ.ટી બસપોર્ટ પર અવરજવર કરતી એસ.ટીની બસોમાં આચાર સહિતા નું પાલન થતું નથી અને ભૂતકાળમાં ચૂંટણીઓના સમય દરમિયાન ચૂંટણીની આચારસંહિતા અમલીકરણ થતા રાજકોટ ડેપોમાં આવતી તમામ બસોમાં થી મુખ્યમંત્રી અને વડાપ્રધાન ની તસ્વીરો હટાવવા માટે એસ.ટી તંત્ર દ્વારા બે ત્રણ કર્મચારી દ્વારા પોસ્ટરો હટાવવામાં આવ્યા હતા પરંતુ આ વખતે ડેપો મેનેજર અને સ્ટેન્ડ ઇન્ચાર્જની બેદરકારી અને લાપરવાહીના પગલે રાજકોટમાં આવતી બસો માં પોસ્ટરો યથાવત રહી ગયા છે. ડેપો મેનેજર ખુદ ડેપોમાં હોવા છતાં આ અંગે આચારસંહિતાના પાલન અંગે લેશમાત્ર દરકાર કરવામાં આવી નથી. જે પગલે એસ.ટીના રાજકોટના સિનિયર ડેપો મેનેજર પર આંખમિચામણા કરવા બદલ જિલ્લા ચૂંટણી અધિકારી જિલ્લા કલેકટર રાજકોટ અને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને લેખિત ફરિયાદ કરવામાં આવી છે.


