પુસ્તકો સમયસર નહી મળતા શાળાઓમાં અભ્યાસક્રમનું આયોજન શિક્ષકો માટે મુશ્કેલ
સામગ્રી મોડી આવવાથી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિ પર ગંભીર અસર
અગ્ર ગુજરાત, રાજકોટ
અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જીલ્લા રાજકોટ દ્વારા પ્રાંતમાં રાજ્ય સરકાર તથા શિક્ષણ વિભાગ સમક્ષ શિક્ષણ વ્યવસ્થા અને વિદ્યાર્થીઓના હિતને કેન્દ્રમાં રાખી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે.
મહાસંઘ દ્વારા રજૂઆતમાં જણાવાયું છે કે પ્રાથમિક શાળાઓમાં ગુણવત્તાસભર શિક્ષણ માટે સમયસર શૈક્ષણિક સાહિત્ય ઉપલબ્ધ થવું અત્યંત આવશ્યક છે. દર વર્ષે SSA અંતર્ગત શાળાઓમાં એલ.સી. બુક્સ, શિક્ષક હાજરીપત્રક, વિદ્યાર્થી હાજરી પત્રક, સમરી બુક, HPC સામગ્રી તથા અન્ય શૈક્ષણિક સાધનોનું વિતરણ કરવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવે છે.
પરંતુ તાજેતરમાં શૈક્ષણિક સાહિત્યના વિતરણમાં થયેલા વિલંબને કારણે શાળાઓમાં શિક્ષણકાર્ય પ્રભાવિત થયું હોવાનું મહાસંઘે નોંધ્યું છે. શિક્ષકોને અભ્યાસક્રમનું યોગ્ય આયોજન કરવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને વિદ્યાર્થીઓને પણ સમયસર શૈક્ષણિક લાભ પ્રાપ્ત થઈ શક્યો નહોતો. ખાસ કરીને સ્વઅધ્યયન પોથી અને અન્ય સહાયક સામગ્રી મોડેથી મળવાને કારણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિ પર અસર પડી છે.
આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ જિ રાજકોટ કારોબારી શ્રી નયનભાઈ વ્યાસ અને આશિષભાઈ નિમાવત તેમજ સમગ્ર ટીમ દ્વારા માંગ કરવામાં આવી છે કે આવનારા શૈક્ષણિક વર્ષમાં તમામ જરૂરી શૈક્ષણિક સાહિત્ય જૂન માસના પ્રથમ સપ્તાહમાં જ રાજ્યની તમામ શાળાઓમાં પહોંચે તે માટે સુવ્યવસ્થિત આયોજન કરવામાં આવે. સાથે સાથે વિતરણ પ્રક્રિયામાં પારદર્શિતા જળવાઈ રહે અને સમયસર કામગીરી પૂર્ણ થાય તે માટે અસરકારક મોનિટરિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવે.
મહાસંઘે વધુમાં જણાવ્યું છે કે સમયસર અને પૂરતું શૈક્ષણિક સાહિત્ય ઉપલબ્ધ થવાથી શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે અને વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન મળશે. શિક્ષણ અને બાળકોના હિતને પ્રાથમિકતા આપીને સરકારશ્રી દ્વારા આ બાબતે તાત્કાલિક અને યોગ્ય પગલાં લેવામાં આવે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


