મતદારોને રીઝવવા રાજકીય પક્ષોએ આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્ટને હથિયાર બનાવ્યું
કાળઝાળ ગરમીમાં સભાથી રીલ સુધી પહોંચ્યા પક્ષો: AI દ્વારા વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં પ્રચાર-પ્રસાર શરૂ કર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે રાજકોટમાં ભાજપ અને આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયાનો સહારો લેવામાં આવ્યો છે. આર્ટીફિશિયલ રીલ દ્વારા મતદારોને ખુશ રાખવા પ્રયાસ થઈ રહ્યો છે. કાળઝાળ ગરમીમાં સભા-રેલી કરતા પણ રીલ વધારે જન સુધી પહોંચી શકે છે જેથી જનતા સુધી પહોંચવા AIન્? ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો પદયાત્રા અને પત્રિકા વિતરણ થકી ઘર ઘર સંપર્ક કરી રહ્યા છે. આ પદયાત્રા રેલી સભામાં પણ કાર્યકર્તાઓની પંખી હાજરી ચિંતાનો વિષય બની રહેતા આ વખતે હવે ઉમેદવારોમાં રેલીથી રીલ સુધીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉમેદવારો દરરોજ પોતાના વિસ્તારની રીલ બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કરી રહ્યા છે અને તેમાં પણ સ્ટેપ આગળ AI મદદથી પણ રીલ બનાવી સોશિયલ મીડિયા થકી મતદારોના વિશાળ વર્ગને આકર્ષવા માટે પ્રયાસ થઇ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
ભાજપના ઉમેદવાર દ્વારા AI મારફત રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં રાજકોટની જનતાને ખરેખર BJPએ શું આપ્યું ત્યાંથી રીલની શરૂઆત કરી આગામી ચૂંટણીમાં જીત કોની થશે તેનો સીધો સવાલ પ્રજાને પૂછીશું કહી આર્ટિફિશિયલ મતદારોને સવાલો કરવામાં આવી રહ્યા છે અને તેમાં રોડ, રસ્તા, સફાઈ, ટીપરવાન, ઓનલાઇન વેરા વસુલાત જેવી બાબતોને આવરી લઇ સબ સલામતના દાવા સાથે રીલ તૈયાર કરવામાં આવી છે. જો કે અંતમાં સ્થાનિક ચૂંટણીમાં પણ સ્થાનિક મુદ્દાના બદલે અયોધ્યા રામ મંદિર અને ઓપરેશન સિંદૂરના ફોટા મૂકી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીના શહેર અધ્યક્ષ દિનેશ જોશી દ્વારા પણ AI મદદથી ખાસ રીલ તૈયાર કરવામાં આવી છે. જેમાં તેઓ રાજકોટના મતદારોને રાજકોટના રોડ રસ્તાની હાલત યાદ છે ને તેવો સવાલ પૂછી રીલની શરૂઆત કરી રહ્યા છે. આ ઉપરાંત રાજકોટમાં સુવિધાઓ મેળવવા મનપા કચેરીએ લાગતી લાઈનો, અપૂરતી સુવિધા અને 30 વર્ષનું ભાજપ સરકારનું શાસન છતાં યોગ્ય સુવિધા ન આપ શક્યાના આક્ષેપ સાથે એક મોકો આમ આદમી પાર્ટીને આપવા માટે મતદારોના વિશાળ સમૂહને અપીલ કરવામાં આવી રહી છે.
પ્રચાર માટે પૂરતો સમય ન મળ્યો હોવાની ચર્ચા
મહાનગર પાલિકાની ચૂંટણી માટે મતદાન ને હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા છે ત્યારે કાળઝાળ ગરમીના કારણે નેતાઓ પૂરતો સમય પ્રચારમાં ફાળવી શકતા નથી. ભાજપ દ્વારા છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરતા આ વખતે ભાજપના ઉમેદવારોને વિસ્તારના તમામ લોકો સુધી પહોંચવા માટે પૂરતો સમય ન મળ્યો હોવાનો ગણગણાટ ચાલી રહ્યો છે.
મતદાન પર ગરમીની અસર થવાની સંભાવના
રિપીટ થયેલા ઉમેદવારો તો માની રહ્યા છે ગત ચૂંટણીમાં 21 દિવસ જેટલો સમય મળતા 3 વખત વિસ્તારમાં પ્રચાર થઇ ચુક્યો હતો આ વખતે એક વખત પણ માંડ માંડ પૂર્ણ થઇ શકશે. તેવામાં ગરમીના કારણે ઓછું મતદાન થશે તો તે રાજકીય પક્ષોની ચિંતામાં વધારો જરૂરથી કરાવશે. તેમાં પણ ભાજપમાં આંતરિક જૂથવાદ અને ટિકિટ ફાળવણી બાદની નારાજગી પક્ષને નુકશાન પહોંચાડે તો નવાઈ નહિ.


