વોર્ડ નં.૨ના ઉમેદવારોએ પ્રજાને આપેલું ચૂંટણીલક્ષી આશ્વાસન
‘આપ’ આવશે તો હોસ્પિટલમાં દર્દીઓ ઘટશે
વોર્ડ નં.૨માં રોડ-રસ્તા, પાણી સહિતની પ્રાથમિક સુવિધાની સમસ્યાઓના નિરાકરણને પ્રાથમિકતા અપાશે
મનપામાં આપ જીતશે તો સૌ પ્રથમ શહેરના વિવિધ વિસ્તારોના પાણીના ટાંકાઓ અને ગટરોની સાફ-સફાઇ કરાશે
દર મહિને જનતાની સુવિધા માટે લોક દરબાર યોજાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વર્ષે ભાજપ, કોંગ્રેસ ઉપરાંત આમ આદમી પાર્ટીએ પણ ૭૦ ઉમેદવારો ઉભા રાખતા ત્રિપાંખીયો જંગ સર્જાશે તેવું રાજકીય નિષ્ણાંતોમાં ચર્ચાઇ રહ્યું છે. ત્યારે વોર્ડ નં.૨ના આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જનતાને વિશ્વાસ અપાવ્યો છે કે મનપામાં આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો શહેરની મોટા ભાગની હોસ્પિટલોમાં દર્દીઓમાં ઘટાડો થશે તેમજ લોકોની સમસ્યા જાણવા માટે દર મહિને લોક દરબાર યોજવામાં આવશે.
‘અગ્ર ગુજરાત’ કાર્યાલયની મુલાકાતે આવેલા આમ આદમી પાર્ટીના વોર્ડ નં.૨ના ઉમેદવાર ચિંતનભાઇ દવે, હેતલબેન મકવાણા અને હંસાબેન ધમ્મરે જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં રાજકોટમાં પાણીજન્ય રોગચાળાએ ભયંકર ભરડો લીધો છે. શહેરમાં માર્ચ મહિનામાં લેવામાં આવેલા નમૂના પણ ફેઇલ થયા છે. તેમજ રોડ-રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓના કારણે પ્રજા ત્રાહિમામ પોકારી ગઇ છે. વોર્ડ નં.૨માં પણ લોકોને પ્રદુષિત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. તેમજ વારંવાર ગટરો પણ ઉભરાઇ રહી છે. આ સમસ્યાઓમાંથી આમ આદમી પાર્ટી પ્રજાને મુકિત આપશે.
આપના ઉમેદવારોએ જણાવ્યું હતું કે પ્રચાર દરમિયાન લોકો ફરિયાદ કરી રહ્યાં છે કે અગાઉના ચુંટાયેલા પ્રતિનિધિ કે અધિકારીઓ લાઇટ, રસ્તા, ગટર, પાણી સહિતના પ્રશ્નો બાબતે ફોન ઉપાડતાં નથી. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. એકને એક ભૂગર્ભ ગટરની વારંવાર મરામત કરવામાં આવે છે. રીપેર થયા બાદ થોડાક જ દિવસમાં તે ગટર ફરી ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે. જેના કારણે પ્રજાના પૈસાનો દુરૂપયોગ થઇ રહ્યો છે. આ તમામ સમસ્યાઓનું નિરાકરણ માત્ર આમ આદમી પાર્ટી પાસે હોવાની ખાત્રી આપી હતી.
ચિંતન દવે, હેતલબેન મકવાણા અને હંસાબેન ધમ્મરે વધુમાં કહ્યું હતું કે મોટા ભાગના વોર્ડમાં રોડ ઊંચા અને ઘરના દરવાજાઓ નીચા આવી ગયા છે. જેના કારણે ચોમાસા દરમિયાન લોકોના ઘરમાં પાણી ભરાઇ રહ્યાં છે. આમ આદમી પાર્ટીની સરકાર આવશે તો રોડ ખોદી નવા બનાવવામાં આવશે. જે ઘરના ઉમરાથી નીચા હશે. જેનાથી લોકોના ઘરમાં પાણી ભરાવાની સમસ્યાનું કાયમી ઉકેલ આવશે તેમજ ખખડધજ રોડમાંથી પણ નાગરિકોને મુકિત મળશે. પ્રાથમિક સુવિધાઓ માટે વારંવાર રજુઆત કરવા છતાં પણ તેનો નિવેડો આવતો નથી અને પ્રજાના સૂચનોને પણ શાસકો ઘોળીને પી રહ્યાં છે. આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે આમ આદમી પાર્ટી દ્વારા દર મહિનાની પહેલી તારીખે જનતાનો દરબાર ભરવામાં આવશે. તેમાં પ્રજાને થતી સમસ્યાઓ સાંભળી તેના નિરાકરણ માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ પ્રજાજનો દ્વારા કરવામાં આવેલા સૂચનોને પણ પ્રાધાન્ય આપવામાં આવશે.
આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જીત અંગે જણાવ્યું હતું કે હાલ આઇબીના રિપોર્ટ અંગે વોર્ડ નં.૨માં ચિંતનભાઇ દવે ૧૬૦૦ મત, હેતલબેન મકવાણા ૨૧૦૦ મત અને હંસાબેન ધમ્મર ૭૦૦ મતથી વિજેતા થશે ઉપરાંત ૭૦ બેઠકમાંથી ૫૦ ટકા બેઠક એટલે કે 3૪ સીટ ઉપર આપનો વિજય થશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
પ્રજાનો આર્થિક ભારણને હળવું કરાશે
ઉમેદવારોએ જણાવ્યું હતું કે લોકોના આવકના સ્ત્રોતમાંથી 3૦ ટકા બાળકોની ફીમાં અને ૪૦ ટકા હેલ્થ પાછળ ખર્ચાઇ જાય છે. જેના કારણે લોકોને જીવન નિર્વાહ મુશ્કેલ બન્યો છે. આ દોઝખ પરિસ્થિતિમાંથી લોકોને રાહત આપવામાં આવશે. દરેક વોર્ડમાં હાઇટેક સરકારી શાળાઓ અને આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવશે. જેમાં લોકોને આધુનિક સારવાર મળી રહેશે. જેનાથી તેઓને પોતાની આવકમાંથી થતો ખર્ચો બચાવી શકાશે. જેનાથી તેઓનું આર્થિક ભારણ પણ ઘટશે.


