ગોંડલ અક્ષરમંદિરમાં ૯૨માં પાટોત્સવની ઉજવણી
ધ્વજાપૂજન સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ ખાતે અક્ષરમંદિરના 92માં પાટોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી બાદ, 06:00 વાગ્યે અક્ષર ચોકમાં ઠાકોરજીની વૈદિક મહાપૂજા અને ધ્વજાપૂજનનો શુભારંભ થયો. ભગવાન સ્વામિનારાયણના 108 મંગલકારી નામના ઉદઘોષ સાથે આહુતિ પણ અર્પણ કરવામાં આવી.ઘણી મોટી સંખ્યામાં હરિભક્તો પણ ઠાકોરજીની ષોડશોપચાર પૂજા વિધિમાં સંમિલિત થયા.
સવારે 07:15 કલાકે અક્ષર બેન્ડની સુમધુર સુરાવલીઓ અને કિર્તનોની રમઝટના રંગે, અક્ષર-પુરુષોત્તમ મહારાજ અને ગુણાતીત ગુરુપરંપરા સંગે ધ્વજાયાત્રાનો પ્રારંભ થયો. સનાતન ધર્મની ગૌરવવંતી ગરિમાને સદાય ગગનગામી રાખવાનો શ્રેય જેના ફાળે છે, મંદિરમાં બિરાજિત ભગવાનના કેશ તરીકે જેનું સ્થાન કળશ પર અનન્ય છે તે ધ્વજાના યાત્રા દ્વારા વધામણા કરવામાં આવ્યા. પૂ.સંતો સાથે સર્વે ભક્તો પણ ધ્વજાયાત્રામાં સામેલ થયા.
ત્યારબાદ 08:00 વાગ્યે અક્ષર મંદિરમાં ઠાકોરજીને પંચામૃત અભિષેકનો મંગલ આરંભ થયો. સંસ્થાના વિદ્વાન વક્તા પૂ.સોમપ્રકાશ સ્વામી, રાજકોટ મંદિરના કોઠારી પૂ.બ્રહ્મતીર્થ સ્વામી, અને ગોંડલના કોઠારી પૂ.દિવ્યપુરુષ સ્વામી તેમજ પૂ.સ્થાનિક સંતોના હસ્તે વેદોક્ત વિધિ બાદ દૂધ,દહીં,ઘી,સાકર અને મધથી ઠાકોરજી પર અભિષેક કરવામાં આવ્યો. આ અદ્ભુત અભિષેક દર્શન સાથે, સૌને ઠાકોરજીના અભિષેકનો લ્હાવો પ્રાપ્ત થાય તે માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવ્યું હતું. તે અનુસાર પ્રત્યેક હરિભક્તને પ્રત્યક્ષ અભિષેકનો લાભ પ્રાપ્ત થયો.
પંચામૃત અભિષેક બાદ અક્ષરપુરુષોત્તમ મહારાજ, ઘનશ્યામ મહારાજ અને પ્રથમ ખંડમાં બિરાજિત ધામ,ધામી અને મુક્તની મૂર્તિઓને, નવા વાઘા, માથે મુંગટ,હાથમાં રૂમાલ અને છડી, તો પગમાં મોજડી સહિત નૂતન શણગારો ધારણ કરાવવામાં આવ્યા. વિવિધ વ્યંજનો દ્વારા સુંદર અન્નકૂટ ધરાવીને આરતી ઉતારી, સૌએ ઠાકોરજીના ચરણે ભક્તિ અર્ઘ્ય અર્પણ કર્યું.


