15 કોર્પોરેશનમાં માત્ર 49.02% મતદાન, જ્યારે પંચાયતોમાં 60%થી વધુ ઉત્સાહ
લોકશાહીની પરીક્ષા પૂર્ણ ; 25,551 ઉમેદવારોના ભાગ્યનો કાલે ફૈસલો
હીટવેવમાં પડેલા મતનો ફટકો કોને? ; ભાજપને નુકશાનની અટકળો, કોંગ્રેસ આશાવાદી ; નગરપાલિકા અને પંચાયતોમાં AAP ની એન્ટ્રીની શક્યતા
ત્રિકોણીય જંગ રસપ્રદ બન્યો ; મતદાન ટકાવારીથી વધ્યું સસ્પેન્સ: પરિણામ પહેલા રાજકીય ગણિત ગરમાયું; ગામડાંનો વધેલો ટ્રેન્ડ બદલશે રાજકીય દિશા?
પક્ષો વચ્ચે ચિંતા અને આશા બંને કાલનો લોકચુકાદો નક્કી કરશે સ્થાનિક સત્તાનું સંતુલન
અગ્ર ગુજરાત, રાજકોટ
ગઇકાલે સ્થાનિક સ્વરાજયની સંસ્થાની ચૂંટણીનું મતદાન યોજાયું હતું. જે એકંદરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયું હતું. ૨૬મીએ કાળઝાળ ગરમી પડતા તેની અસર મતદાન પર જોવા મળી હતી. જેમાં બપોરે ૧૨ થી ૪ વાગ્યા સુધી પાંખી હાજરી જોવા મળી હતી. બાદમાં બે કલાકમાં મતદારોએ ઉત્સાહ દાખવતા ૫૯ થી ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. જેમાં મનપામાં ૪૯ ટકા, નગરપાલિકામા ૫૯ ટકા, જિલ્લા પંચાયતમાં ૬૧ ટકા અને તાલુકા પંચાયતમાં ૬૧ ટકા મતદાન થયું છે.
રાજ્યની અંદાજે 10 હજાર બેઠકો માટે મેદાનમાં ઉતરેલા 25 હજારથી વધુ ઉમેદવારોનું રાજકીય ભાવિ હવે ઈવીએમ (EVM) મશીનોમાં કેદ થઈ ગયું છે. વહીવટી તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે સમગ્ર પ્રક્રિયા કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર પાર પાડવામાં આવી છે. હવે સૌની નજર 28 એપ્રિલ પર ટકેલી છે, જ્યારે મતગણતરી હાથ ધરવામાં આવશે અને ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો જાહેર થશે. સ્થાનિક પ્રશ્નો અને વિકાસના મુદ્દાઓ પર થયેલા આ જંગમાં જનતાએ કોના પર મહોર મારી છે, તે જોવું રસપ્રદ રહેશે.
ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સાંજે 6 વાગ્યા સુધીમાં મધ્યમ મતદાન જોવા મળ્યું છે, જેમાં રાજ્યનું સરેરાશ મતદાન 57% નોંધાયું છે. સવારે 9 વાગ્યે જે મતદાન માત્ર 4% થી 7% ની આસપાસ હતું, તે બપોરે 1 વાગ્યા સુધીમાં 20% થી 30% પર પહોંચ્યું અને અંતિમ કલાકોમાં મતદારોએ ભારે ઉત્સાહ બતાવતા આંકડો 57% ને પાર કરી ગયો છે. હવે તમામ ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. ભારે ગરમીના કારણે બપોરે 12થી 4 વાગ્યા સુધીમાં મતદાન ઓછું થયું છે.
આ ચૂંટણીમાં 2027માં યોજાનારી ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોનો પાયો નખાઈ જશે તેવું મનાય છે. પાલિકા પંચાયતની કુલ 9268 બેઠકો પર 25551 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. ત્યારે જનપ્રતિનિધિને ચૂંટવા માટે કુલ 4.02 કરોડ મતદારો તેમના અધિકારનો ઉપયોગ કરશે.
તાપીમાં ભાજપના બે જૂથો વચ્ચે ઘર્ષણ
તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બુહારી ગામે મતદાન મથક નજીક ભાજપના જ બે જૂથો વચ્ચે આંતરિક અથડામણ થતા વાતાવરણ ગરમાયું હતું. પ્રદેશ યુવા મોરચાના પૂર્વ મંત્રી સૂરજ દેસાઈ અને જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી અમિત પટેલના સમર્થકો વચ્ચે થયેલી આ તું-તું મેં-મેંના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે, જેમાં પૂર્વ મંત્રી જાહેરમાં અપશબ્દો બોલતા નજરે પડે છે. આ ઘટનાને પગલે ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. જોકે, મામલો બિચકતા વાલોડ પોલીસ અને ધારાસભ્ય મોહન ઢોડિયાએ તાત્કાલિક સ્થળ પર પહોંચી મધ્યસ્થી કરી મામલો થાળે પાડ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.
અમદાવાદના ખોખરામાં 2 બૂથના સ્થળ બદલી નખાતા હોબાળો
અમદાવાદના ખોખરામાં પણ એક ચોંકાવનારી ઘટના બની હતી. મતદારો જ્યારે ત્યાં મતદાન કરવા પહોંચ્યા તો તેમણે ખબર પડી કે તેમના પોલિંગ બુથના સ્થળ બદલી નખાયા છે. જેના કારણે ઘણા લોકો મતદાન કર્યા વિના રહી ગયા હતા. મતદારોને આ વિશે જાણકારી અપાઈ જ નહોતી. જેને લઈને ફરિયાદો પણ નોંધાઈ છે.
આણંદમાં વોર્ડ નં. 13ના કોંગ્રેસના ઉમેદવાર પર જીવલેણ હુમલો
આણંદ શહેરમાં ચૂંટણીના માહોલ વચ્ચે હિંસક ઘટના સામે આવી છે, જેમાં કરમસદ-આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે. ભાજપના ઉમેદવારના સમર્થકો પર આ હુમલાનો આરોપ લાગ્યો છે, જેના પગલે ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક રાજકીય માહોલ તંગ બન્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
ધ્રોલ, દેડિયાપાડા, ખેડા, ભાવનગર, ડાંગનાં ગામોમાં ચૂંટણી બહિષ્કાર
ધ્રોલ તાલુકાના પિપરટોડા ગામના રહીશોએ રસ્તાની અસુવિધાના મામલે, દેડિયાપાડાના દુથર ગામના ગ્રામજનોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો. ખેડાના ચિખલોડ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. મહીસાગરમાં ખાતું પગીના મુવાડામાં ચૂંટણી બહિષ્કાર કરાયો હતો. ભાવનગરના મહુવાના ઉમણીયાવદર ગામમાં પણ ચૂંટણીનો બહિષ્કાર જોવા મળ્યો હતો. ભદ્રોડ જિલ્લા પંચાયત હેઠળ આવતા ગામ લોકોએ વિકાસના પ્રશ્નોને લઈને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. ડાંગના આહવા તાલુકાના કોટમદર ગામે ડુબાઉ નાળાના મુદ્દે ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડેહલી ગામે પાયાની સુવિધાઓના અભાવે લોકોએ મતદાનનો વિરોધ નોંધાવ્યો હતો.
2021ની સરખામણીમાં 2026માં મતદાનની ટકાવારી
સંસ્થાઓ 2021 2026
મહાનગરપાલિકાઓ 46.10 51.00
નગરપાલિકા 58.82 59.53
જિલ્લા પંચાયતો 65.80 61.77
તાલુકા પંચાયતો 66.60 62.45
ભરૂચમાં વીજળી ગુલ થતા લાઇટ મીણબતીના પ્રકાશમાં મતાધિકારનો ઉપયોગ
ભરૂચ શહેરના ઇકરા બૂથ પર મતદાન પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે અચાનક વીજળી ડૂલ થઈ ગઈ હતી. વીજળી ગુલ થવાના કારણે મતદાન કેન્દ્રની અંદર ઘોર અંધારું છવાઈ ગયું હતું. આ ટેકનિકલ ખામીને કારણે શરૂઆતમાં મતદાન પ્રક્રિયામાં અડચણ આવી હતી. જોકે, લાંબા સમય સુધી લાઈટ ન આવતા મતદારો અને ત્યાં હાજર સ્ટાફ મુશ્કેલીમાં મુકાયો હતો.
વીજળી જતી રહેતા મતદારોએ હાર માનવાને બદલે અનોખો રસ્તો અપનાવ્યો હતો. મતદારોએ પોતાના મોબાઈલની ટોર્ચ અને મીણબત્તીના પ્રકાશમાં મતદાન કરવાની મજબૂરી અનુભવી હતી. મીણબત્તીના આછા પ્રકાશમાં લોકોએ બેલેટ યુનિટ પર પોતાના પસંદગીના ઉમેદવારને વોટ આપ્યો હતો. તંત્ર દ્વારા વૈકલ્પિક વીજ વ્યવસ્થા ઉભી કરવામાં વિલંબ થતા લોકોમાં રોષ પણ જોવા મળ્યો હતો.


