વડોદરામાં પોલીસે માર મારતા ડિપ્રેશનમાં ઝોમેટોના ડિલિવરી બોયનો આપઘાત
અટલાવદરમાં ૮માં માળેથી પડતુ મૂકી જીવન ટૂંકાવ્યું : આત્મહત્યા નહી પણ મર્ડર હોવાનો પરિવારજનોનો આક્ષેપ : સામાન્ય બોલાચાલીમાં પોલીસે બેફામ માર માર્યાની રાવ
અગ્ર ગુજરાત, વડોદરા
વડોદરાના અટલાદરામાં આવેલા માધવનગરમાં રહેતા યુવકે આઠમાં માળેથી કૂદીને આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે, પોલીસના મારના ડરથી યુવાને ડિપ્રેશનમાં આવીને ટેરેસ પરથી નીચે ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. આ આત્મહત્યા નથી, પણ મર્ડર છે. જોકે, આ મામલે ACPએ કહ્યું હતું કે, સમગ્ર મામલે તટસ્થ તપાસ કરવામાં આવશે.
માધવનગર વુડાના મકાનમાં રહેતા 31 વર્ષીય દિલીપ વસાવા નામના યુવકનો અન્ય મિત્રો સાથે ઝઘડો થયો હતો. જેમાં પોલીસની ગાડી બોલાવવામાં આવી હતી, જેને લઈને પરિવારજનોનો આક્ષેપ છે કે, પોલીસ દ્વારા ઢોર માર મારવાથી ગભરાઈને ટેરેસ પરથી નીચે પડતું મૂકી હતું. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા પોલીસ અધિકારી ઘટનાસ્થળે ગયા આવ્યા હતા. પરિવારજનોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી હતી. જ્યારે એસીપી દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો આશ્વાસન આપવામાં આવ્યું હતુ.
મૃતકની બહેન કાજલ વસાવાએ જણાવ્યું હતું કે, હું ઘરમાં હતી ત્યારે નીચે કંઈક બોલાબોલી થતી હતી. મને ખબર નહોતી કે શું મામલો છે, પણ જ્યારે મારા ભાભી ઉપર આવ્યા ત્યારે ખબર પડી કે પોલીસવાળા મારા ભાઈને ખૂબ જ મારી રહ્યા છે. મારો ભાઈ નીચેથી ડાયરેક્ટ ઉપર ગયો અને પછી નીચે પડવાનો અવાજ આવ્યો. હું દોડીને નીચે ગઈ ત્યારે મારો ભાઈ ત્યાં જ ખલાસ થઈ ગયો હતો. પોલીસવાળા પણ ત્યાં જ ઊભા હતા.
વધુમાં જણાવ્યું હતું કે, અંદરોઅંદર છોકરાઓ કંઈક મગજમારી કરતા હતા, પણ જે છોકરા સાથે ઝઘડો થયો હતો એણે ફરિયાદ નથી કરી. તો પછી ફરિયાદ કોણે કરી અને શેના માટે કરી એની અમને કંઈ જ જાણ નથી. અમને ખુદને ખબર નથી કે, પોલીસે એને એટલો બધો માર માર્યો કે એ ડિપ્રેશનમાં આવી ગયો અને ઉપરથી ઝંપલાવી દીધું. આ આત્મહત્યા નથી, પણ મર્ડર છે. મારા ભાઈનો કોઈ જ ગુનાહિત ઇતિહાસ નથી. મારો ભાઈ ઝોમેટોમાં ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો.
તેઓએ કહ્યું કે, અટલાદરા પોલીસ સ્ટેશનના ત્રણ પોલીસવાળા બે-ત્રણ ગાડીઓ લઈને આવ્યા હતા. મારા ભાભી જ્યારે તેમને રોકવા ગયા તો પોલીસે એમને પણ ધમકાવ્યા કે ‘તું પણ રસ્તામાંથી હટી જા નહીં તો તને પણ મારીશું.’ માધવનગરની પબ્લિકે જોયું છે કે પોલીસે તેને દંડા વડે ખૂબ જ માર માર્યો હતો. હવે આ નાના નાના છોકરાઓનું શું થશે? તેમનું ભવિષ્ય શું? ઘરમાં મારો ભાઈ જ એક કમાનાર વ્યક્તિ હતો.
મૃતકની પત્ની પાયલબેન વસાવાએ જણાવ્યું હતું કે, મારા પતિ અને એમના મિત્ર વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. તેઓ અંદરોઅંદર ઝઘડતા હતા, તે દરમિયાન કોઈએ પોલીસ બોલાવી લીધી. પોલીસ આવ્યા પછી, ત્રણ પોલીસકર્મીઓએ ભેગા મળીને મારા પતિને ખૂબ જ માર માર્યો હતો. આ સમયે મેં પોલીસવાળાને વિનંતી કરી હતી કે, ‘એમને મારશો નહીં, એમને માથામાં વાગેલું છે અને અગાઉ ઓપરેશન પણ કરાવેલું છે.’
વધુમાં જણાવ્યું હતું કે, પોલીસના મારથી ડરીને મારા પતિ ત્યાંથી ભાગી ગયા અને ટેરેસ પર ચઢી ગયા. પોલીસના અત્યાચાર અને મારથી કંટાળીને તેમણે ત્યાંથી છલાંગ લગાવી દીધી હતી. મારા પતિને મારવાનો પોલીસને આટલો બધો હક કોણે આપ્યો? જે પોલીસકર્મીઓએ મારા પતિ પર હાથ ઉપાડ્યો છે, તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. સાથે જ જેણે ખોટી ફરિયાદ કરી હતી તેને પણ હાજર કરવામાં આવે, પોલીસના માર અને દબાણને કારણે જ તેમણે ટેરેસ પરથી છલાંગ લગાવી છે. અમને ન્યાય મળવો જોઈએ.


