ગુજરાત બોર્ડના ૧૫ લાખ વિદ્યાર્થીઓની આતુરતાનો અંત
ધો.૧૨નું સોમવારે, ધો.૧૦નું બુધવારે પરીણામ
સાયન્સ અને સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ એક જ દિવસે જાહેર કરવાની તૈયારીઓ: શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ અંગે કરાશે સત્તાવાર જાહેરાત: પરિણામ ઉચું જવાની શક્યતા
અગ્ર ગુજરાત, રાજકોટ
ઉજ્જવળ કારર્કિદી માટે બોર્ડની પરીક્ષા મહત્વનું સ્ટેપ ગણવામાં આવે છે. ધો.૧૦ અને ધો.૧૨ના છાત્રો માટે બોર્ડની પરીક્ષાએ કારર્કિદીની દિશા નક્કી કરવા માટેનું પગથીયું માનવામાં આવે છે. ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-માર્ચમાં ધો.૧૦ અને ધો.૧૨ના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી જેનું સંભવિત પરીણામ મે મહિનાના પ્રથમ સપ્તાહમાં આવી જશે તેવી ચર્ચા વચ્ચે અપેક્ષિત તારીખ સામે આવી છે. તેમાં તા.૪ મે સોમવારે ધો.૧૨ સાયન્સ, સામાન્યા પ્રવાહ અને ૬ મે બુધવારે ધો.૧૦નું પરિણામ જાહેર થઈ જશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી- માર્ચ માસમાં લેવાયેલી ધો.10 અને 12ની પરીક્ષાના અંદાજે દોઢ માસ પછી 15.28 લાખ વિદ્યાર્થીની પરિણામની આતુરતાનો અંત આવશે. આગામી સપ્તાહમાં શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના પરિણામ જાહેર કરવાની તૈયારી કરવામાં આવી છે. જેમાં ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ તા. 4થી મે, સોમવારે જાહેર કરાશે. જ્યારે ધો.10નું પરિણામ તા. 6 મે, બુધવારે જાહેર કરવાનું આયોજન કરાયું છે. આમ, 4 મે અને 6 મેના રોજ બોર્ડ દ્વારા ધો.10 અને 12ના પરિણામ જાહેર કરી દેવાશે. આ અંગે બોર્ડ દ્વારા આગામી દિવસોમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું.
શિક્ષણ બોર્ડ દ્વારા 26 ફેબ્રુઆરીથી ધો.10 અને 12ની પરીક્ષાઓ લેવામાં આવી હતી. જે 18 માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. શિક્ષણ બોર્ડની પરીક્ષામાં આ વખતે ધો.10 અને 12ના મળી કુલ 1527724 વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાં ધો.10ના 907175 વિદ્યાર્થી નોંધાયા હતા. ધો.10ના કુલ વિદ્યાર્થીઓ પૈકી 769994 નિયમિત વિદ્યાર્થી, 19825 ખાનગી, 70702 રિપીટર, 5386 ખાનગી રિપીટર અને 41286 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા હતા. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહ માટે કુલ 501286 વિદ્યાર્થી નોંધાયા હતા, જે પૈકી 437279 નિયમિત, 35174 ખાનગી, 15813 રિપીટર, 7873 ખાનગી રિપીટર અને 5147 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા હતાં.
ધો.12 સાયન્સમાં 119263 વિદ્યાર્થી પૈકી 111294 નિયમિત, 7690 રિપીટર અને 279 પૃથ્થક વિદ્યાર્થી નોંધાયા હતાં. પરીક્ષા પૂર્ણ થયાના બીજા જ દિવસથી બોર્ડ દ્વારા મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. આ વખતે મૂલ્યાંકન માટે કુલ 454 કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા હતા અને 75821 શિક્ષકોને જોડવામાં આપવામાં આવ્યા હતા. ધો.10ની મૂલ્યાંકન કામગીરી માટે 213 કેન્દ્ર અને 39962 શિક્ષકો નિયુક્ત કરાયા હતાં. આ ઉપરાંત, ધો.12 સામાન્ય પ્રવાહ માટે 172 કેન્દ્રો પર 29804 શિક્ષકો અને ધો.12 વિજ્ઞાન પ્રવાહ માટે 69 કેન્દ્રો પર 9055 શિક્ષકો મારફતે મૂલ્યાંકન કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મૂલ્યાંકન સહિતની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ હવે બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેમાં 4 મે સોમવારના રોજ ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવાનું આયોજન કરાયું છે. જ્યારે 6 મે બુધવારના રોજ ધો.10નું પરિણામ જાહેર કરવામાં આવશે. આ વખતે પણ બોર્ડ દ્વારા ધો.12ના બંને પરિણામો એક જ દિવસમાં જાહેર કરવાની તૈયારીઓ કરી છે અને સંભવત એક-બે દિવસમાં પરિણામને લગતી સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
ગુજકેટનું પરિણામ પણ ધો.12 સાથે જ જાહેર કરી દેવાશે
શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે ધો.12 સાયન્સના પરિણામ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરવામાં આવે છે. જેથી 4 મે સોમવારના રોજ ધો.12 સામાન્ય પ્રવાહ અને સાયન્સના પરિણામ સાથે જ ગુજકેટનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા 29 માર્ચના રોજ ઈજનેરી- ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટ લેવામાં આવી હતી. આ વખતે નોંધાયેલા 1.36 લાખ વિદ્યાર્થીઓ પૈકી 1.32 લાખ વિદ્યાર્થીઓએ ગુજકેટ આપી હતી.
રિઝલ્ટ જોવા માટેની પ્રક્રિયા
સૌથી પહેલાં gseb.org પર જાવ
અહીં SSC Result 2026 પર ક્લિક કરો
અહીં તમારા સીટ નંબર દાખલ કરો
સબમિટ પર ક્લિક કરો
તમારું પરિણામ સ્ક્રીન પર જોવા મળશે
તમે પરિણામનો સ્ક્રીનશૉટ લઈ શકો અને ડાઉનલોડ પણ કરી શકો છો
પરિણામ વ્હોટસએપ પરથી પણ જાણી શકાશે
એસએસસી (ધોરણ 10,12)નું પરિણામ જાણવું હોય તો SSC (Seat Number) લખીને 56263 પર એસએમએસ મોકલવાનો રહેશે. જ્યારે ધોરણ 12ના સાયન્સના વિદ્યાર્થીએ GJ12S (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે. સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીએ GJ12G (Seat Number) લખીને 58888111 પર મૅસેજ મોકલવાનો રહેશે.


