સોમનાથ કોરિડોર માટે 250 મિલ્કતોની સંપાદનની કાર્યવાહી પુરી થતા તંત્રનું ડીમોલેશન શરૂ
પઠાણવાડા, ભોંયવાડા, જુના મંદિર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે બૂલડોઝરની કામગીરી હાથ ધરાઈ
અગ્ર ગુજરાત, ગીર સોમનાથ
વિશ્વવિખ્યાત પ્રખ્યાત યાત્રાધામ સોમનાથ નગરમાં ચાલી રહેલા કોરિડોર વિકાસ પ્રોજેક્ટને હવે ગતિ આપવાની કામગીરીનો પ્રારંભ થયો છે. જેમાં આજે સોમનાથ મંદિર આસપાસના વિસ્તારોમાં તંત્ર દ્વારા ડીમોલેશન કામગીરીનો પ્રારંભ કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચહલપહલ સાથે તંત્રની સક્રિયતા જોવા મળી હતી.
આજે સવારે સોમનાથ મંદિર પરિસર નજીક આવેલ પઠાણવાડા, ભોંયવાડા તેમજ જુના સોમનાથ મંદિર સહિતના આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રના જેસીબી મશીનો વડે મકાનો પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ તમામ વિસ્તારો સંવેદનશીલ હોવાનું ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. ડીમોલેશન સમયે સ્થળ પર જીલ્લા પોલીસવડા, નાયબ કલેક્ટર સહિતના અધિકારીઓ ખડેપગે હાજર રહી કામગીરીનું મોનીટરીંગ કરી રહ્યા હતા. તંત્ર દ્વારા સમગ્ર ડીમોલેશનની કામગીરી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જરૂરી તમામ આગોતરા પગલાં લેવામાં આવ્યા હતા.
આ સમગ્ર પ્રક્રિયામાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે, સોમનાથ કોરીડોર પ્રોજેકટ માટે લગભગ 250 થી વધુ મિલકતધારકોએ સ્વૈચ્છિક રીતે પોતાની મિલકતો સરકારને સુપ્રત કરી છે. સરકાર સાથે સહકાર આપતા આસમીઓએ વિકાસકાર્ય માટે સહભાગિતા દર્શાવતા તંત્રને સહેલાઈ મળી છે. સોમનાથ કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત મંદિર પરિસરનો સર્વાંગી વિકાસ કરવાનો સરકારનો હેતુ છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ યાત્રાળુઓ માટે આધુનિક સુવિધાઓ, વિશાળ પ્રવેશ માર્ગ, સુવ્યવસ્થિત પાર્કિંગ અને સુદ્રઢ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ થશે. ધાર્મિક અને પ્રવાસનના વૈશ્વિક નકશા પર અગત્યનું સ્થાન ધરાવતા સોમનાથ મંદિરને વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત બનાવવા આ કોરિડોર પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થવાનો છે. હાલ ચાલી રહેલી ડીમોલેશન કામગીરીને લઈ સ્થાનિકોમાં વિવિધ પ્રતિસાદ જોવા મળી રહ્યો છે, છતાં સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે.


