બનારસ-ઓખા એકસપ્રેસ ટ્રેનમાં બેગ ભૂલી જનાર મુસાફરને સામાન પરત કરાયો
જામનગર સ્ટેશન ખાતે RPFના જવાનોની સરાહનીય કામગીરી
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનના રેલવે સુરક્ષા બળ (RPF) એ પોતાની સતર્કતા, તત્પરતા અને પ્રામાણિકતાનો પરિચય આપતા એક મુસાફરનો ખોવાયેલો કિંમતી સામાન સુરક્ષિત પરત કરીને પ્રશંસનીય કાર્ય કર્યું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, તારીખ 04 મે 2026 ના રોજ વહેલી સવારે 04:50 વાગ્યે જામનગર આરપીએફ પોસ્ટ પરથી માહિતી મળી હતી કે, ટ્રેન સંખ્યા 22970 ડાઉન બનારસ–ઓખા એક્સપ્રેસના કોચ B/3, બર્થ સંખ્યા 63 પર એક મુસાફરની બેગ જામનગર સ્ટેશને ઉતરતી વખતે છૂટી ગઈ છે.
માહિતી મળતાની સાથે જ આસિસ્ટન્ટ સબ-ઇન્સ્પેક્ટર મોહનલાલ શર્મા અને કોન્સ્ટેબલ અરશીભાઈએ ખંભાળિયા સ્ટેશને ટ્રેન આવતા (05:45 વાગ્યે) સંબંધિત કોચમાં તપાસ કરી હતી, જ્યાંથી મુસાફરની કાળા રંગની લેપટોપ બેગ સુરક્ષિત હાલતમાં મળી આવી હતી. ત્યારબાદ મુસાફરનો સંપર્ક કરીને તેને આરપીએફ પોસ્ટ, ખંભાળિયા ખાતેથી પોતાનો સામાન મેળવી લેવા માટે બોલાવવામાં આવ્યો હતો. મુસાફર દિનેશ કુમાર (ઉંમર 28 વર્ષ), રહેવાસી: બલિયા (ઉત્તર પ્રદેશ), સવારે 09:30 વાગ્યે ત્યાં હાજર થયો હતો. તેણે જણાવ્યું કે તે પીએનઆર (PNR) સંખ્યા 2832673646 હેઠળ બનારસથી જામનગર સુધી મુસાફરી કરી રહ્યો હતો અને ઉતરતી વખતે તેની બેગ ટ્રેનમાં જ છૂટી ગઈ હતી.
મળી આવેલી બેગમાં ડેલ કંપનીનું લેપટોપ, લેડીઝ પર્સ, રોકડ રકમ, એરબડ્સ અને ટ્રિમર સહિત કુલ ₹57,360 ની કિંમતનો સામાન હતો. જરૂરી કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ, સવારે 10:45 વાગ્યે આ સામાન મુસાફરને સુરક્ષિત રીતે સોંપી દેવામાં આવ્યો હતો. પોતાનો સામાન સુરક્ષિત પાછો મેળવીને મુસાફરે આરપીએફ (RPF) નો આભાર વ્યક્ત કર્યો હતો.
રાજકોટ ડિવિઝનના ડિવિઝનલ રેલવે મેનેજર (DRM) શ્રી ગિરિરાજ કુમાર મીના અને ડિવિઝનલ સિક્યોરિટી કમિશનર શ્રી કમલેશ્વર સિંહે આ પ્રશંસનીય કાર્ય માટે સંબંધિત રેલવે કર્મચારીઓની તત્પરતા, પ્રામાણિકતા અને કર્તવ્યનિષ્ઠાની પ્રશંસા કરી હતી. આ ઘટના આરપીએફની ઉત્કૃષ્ટ કાર્યશૈલી અને મુસાફરોની સુરક્ષા પ્રત્યેની તેમની અતૂટ પ્રતિબદ્ધતા દર્શાવે છે.


