ચમત્કારને નમસ્કાર! વેકેશનમાં ખાનગી શાળાઓ શરૂ રાખવા સંચાલકોની પીછેહટ
વેકેશન બેચના નામે ફી ખંખેરવાનો ગાળિયો ફેલ : કોંગ્રેસના વિરોધ બાદ ખાનગી શાળાઓ બેકફૂટ પર
વિદ્યાર્થીઓએ CM પોર્ટલ અને DEO કચેરીએ ફરિયાદોનો મારો ચલાવતા લેવાયો નિર્ણય : શનિવારથી બંધ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેર અને જિલ્લામાં “વેકેશન બેચ”ના નામે ખાનગી શાળાઓ દ્વારા સરકારના જાહેર કરાયેલા વેકેશનનો ભંગ કરીને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચાલુ રાખવાના મુદ્દે ભારે વિવાદ ઉભો થયો હતો. આ મુદ્દે કોંગ્રેસના વિદ્યાર્થી નેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણાધિકારી સમક્ષ કડક રજૂઆત કરીને કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.
રજુઆત બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં પણ ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને CM પોર્ટલ તેમજ રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ ફરિયાદોનો મારો શરૂ થયો હતો. સતત વધતા વિરોધ અને દબાણ વચ્ચે આજે રાજકોટ ખાનગી શાળા સંચાલક મંડળે મહત્વપૂર્ણ નિર્ણય લઈ આવતી શનિવારથી તમામ ખાનગી શાળાઓ સંપૂર્ણપણે બંધ રાખવાની જાહેરાત કરી છે.
ઉલ્લેખનીય છે કે અનેક શાળાઓમાં ખાસ કરીને ધોરણ 10 અને 12 બાદ “વેકેશન બેચ”ના નામે વિદ્યાર્થીઓને બોલાવી વધારાની ફી ઉઘરાવવામાં આવતી હોવાના આક્ષેપો સામે આવ્યા હતા. કોંગ્રેસે આ સમગ્ર મામલાને શિક્ષણના વ્યાપારીકરણ સાથે જોડીને વિદ્યાર્થીઓ પર વધારાના માનસિક દબાણનો મુદ્દો ઉઠાવ્યો હતો અને જરૂર પડ્યે તો શૈક્ષણિક કાર્ય ચાલુ રાખનાર સંસ્થાઓ પર હલ્લાબોલની ચિમકી પણ ઉચ્ચારી હતી.
રોહિતસિંહ રાજપૂતે પોતાની રજૂઆતમાં સ્પષ્ટ જણાવ્યું હતું કે વેકેશનનો હેતુ વિદ્યાર્થીઓને માનસિક અને શારીરિક આરામ આપવાનો છે, પરંતુ કેટલાક ફી લાલચુ શાળા સંચાલકો વેકેશનને પણ કમાણીનું સાધન બનાવી રહ્યા છે. તેમણે વેકેશન દરમિયાન ચાલુ રહેલી શાળાઓ પર સરપ્રાઈઝ ચેકિંગ અને કડક કાર્યવાહી કરવાની માંગણી પણ કરી હતી.
નવાઈની બાબત એ છે કે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ ગઈકાલે વેકેશન અંગે પરિપત્ર જાહેર કર્યો હોવા છતાં તેમાં ક્યાંય સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો કે વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય શરૂ રાખી શકાશે નહીં અથવા નિયમ ભંગ બદલ કાર્યવાહી થશે. જેના કારણે જિલ્લા શિક્ષણાધિકારીની કામગીરી સામે પણ સવાલો ઊભા થયા છે. વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચર્ચા છે કે સતત વિરોધ છતાં શિક્ષણ તંત્ર શાળા સંચાલકો સામે નરમ વલણ કેમ અપનાવી રહ્યું હતું.
કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકરો દ્વારા ઉગ્ર વિરોધની ચેતવણી અને વિદ્યાર્થીઓની ફરિયાદો બાદ આખરે ખાનગી શાળા સંચાલક મંડળને વેકેશન દરમિયાન શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાની ફરજ પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
આ અંગે કોંગ્રેસના નેતા રોહિતસિંહ રાજપૂતનો સંપર્ક કરતા કહ્યું હતુ કે આ નિર્ણય એ વિદ્યાર્થીઓના હક્કોની જીત છે. વિદ્યાર્થીઓને બળજબરીથી પૈસાની લાલચે શિક્ષણ આપવુ તે કદાપિ ના ચલાવી લેવાય. આ નિર્ણય સંચાલક મંડળે વિદ્યાર્થીઓના ભારે વિરોધ બાદ લીધો છે જો કે આ કડકાઈપૂર્વક સ્પષ્ટતા જીલ્લા શિક્ષણાધિકારીએ કરવાની હતી. જો હજુ પણ કોઈ પણ શાળા વેકેશનમા શરૂ રાખવાની ફરિયાદ અમને મળશે તો અમે તો હલ્લાબોલ કરીશુ જ!


